આતંકવાદ સામે ઇઝરાયેલની નીતિ અને ભારતની (કુણી) નીતિ
રશિયા ખાતે શાંતિમંત્રણામાં ભારતે હંમેશની જેમ પાકિસ્તાનને આતંકવાદ નાબૂદ કરવાની નમ્રતાભરી રિક્વેસ્ટ કરી અને જવાબમાં પાકિસ્તાને પણ હંમેશની જેમ જવાબમાં ‘જી હજૂર!’ કહીને મંત્રણાને પૂર્ણવિરામ મૂક્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મામલે રાજકીય લેવલે ગરમાગરમીનું જેવું વાતાવરણ છે લગભગ એવું જ (કેટલાક અંશે વધુ ગરમ) વાતાવરણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેલ્લાં છએક દાયકાથી છે. ભારતની જેમ ઇઝરાયેલ પણ આતંકવાદી હુમલાઓનો વખતોવખત ભોગ બનતું આવ્યું છે. વેસ્ટ બેન્ક અને ગાઝા સ્ટ્રીપ કહેવાતા પ્રદેશોમાં અડ્ડો જમાવીને બેઠેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠનો વારેતહેવારે ઇઝરાયેલને પોતાનું નિશાન બનાવ્યા કરે છે--અને ઇઝરાયેલ પોતાની કાઉન્ટર ટેરરિઝમની નીતિ અપનાવી વળતો પ્રહાર કરે છે, જેની તીવ્રતા પેલેસ્ટાઇનના આતંકવાદી હુમલા કરતાં ક્યારેક ચારથી પાંચ ગણી હોય છે. દા.ત. કેટલાંક વર્ષ પહેલાં પેલેસ્ટાઇનના એક આતંકવાદી જૂથે ઇઝરાયેલના બે નાગરિકોને બાન પકડ્યા ત્યારે વળતા જવાબરૂપે ઇઝરાયેલે કાકલૂદીનો સૂર છેડવાને બદલે વીરરસ દાખવ્યો. દિવસો સુધી ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ પેલેસ્ટાઇની આબાદી ધરાવતી ગાઝા સ્ટ્રીપ પર હવાઇ બોમ્બમારો કર્યો...