સંપાદકનો પત્ર
'Safari' December 2009
મુંબઇ પર અજમલ કસબ ઍન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કરી સેંકડો લોકોને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી દીધા તે બનાવને ગયા મહિને ૨૬મી તારીખે એક વર્ષ પૂરૂં થયું. આ પ્રસંગ નિમિત્તે સરકારે આતંકવાદીઓનો ભોગ બનેલા કમનસીબ ભારતીયો પ્રત્યે શોક જતાવ્યો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા પાકિસ્તાન સામે રોષનો શાબ્દિક બળાપો કાઢીને સંતોષ માન્યો. ટૂંકમાં, આગુ સે ચલી આતી પ્રણાલિનું આપણી સરકાર દ્વારા ફરી એક વખત વન્સ મોર થયું. ૨૬ મી નવેમ્બરનો દિવસ વીતી ગયો, એટલે શોકનો અને રોષનો જુવાળ શમી ગયો અને એક વર્ષ પહેલાં મુંબઇમાં જાણે કે કશું બન્યું નહોતું એમ બધું (રાબેતા મુજબ) ભુલાઇ ગયું. રાત ખતમ, એટલે બાત ખતમ !
પાકપ્રેરિત આતંકવાદ ભોગવવાનું ભારતના લમણે લખાયું છે. અઢી દાયકા પહેલાં કાશ્મીરમાં શરૂ થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓનો રેલો હવે છેક મુંબઇ સુધી પહોંચ્યો છે. આમ છતાં આતંકવાદને નાથવાની વાત આવે ત્યારે દિલ્હીની સરકારોનું વલણ હંમેશાં ઢીલુંપોચું રહ્યું છે. કંઇક હદે નફિકરૂં પણ રહ્યું છે, માટે મુંબઇના કેસમાં બન્યું તેમ દરેક આતંકવાદી હુમલા વખતે સરકારી તંત્ર ઊંઘતું ઝડપાય છે. આતંકવાદીઓના હાથે વારંવાર ફટકા ખાધા પછી આજે ભારતની સુરક્ષાવ્યવસ્થા ટકોરાબંધ હોવી જોઇએ. અલબત્ત, નથી. દેશની સુરક્ષાવ્યવસ્થાની સ્થિતિ શી છે તે જુઓ--- મુંબઇનું (તેમજ બીજા રાજ્યોનું) પુલિસતંત્ર આજની તારીખેય જૂનવાણી બોલ્ટ ઍક્શન રાયફલ્સ વાપરે છે. બીજી તરફ આતંકવાદી હુમલાખોરો આધુનિક AK-47 જેવી એસોલ્ટ રાયફલથી સજ્જ હોય છે. આધુનિક શસ્ત્રોથી સજ્જ આતંકવાદીનો મુકાબલો કરવામાં આપણી પુલિસની રાયફલનો પનો ક્યાંય ટૂંકા ગજાનો સાબિત થાય છે.
- મુંબઇના કેસમાં બન્યું તેમ સરેરાશ આતંકવાદી સેટેલાઇટ ફોન વડે તેમજ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેવાં લેટેસ્ટ ઉપકરણોથી લેસ હોય છે. આની સામે આપણી પુલિસનો આંતરિક સંદેશાવ્યવહાર હજી VHF/વેરી હાઇ ફ્રિક્વન્સીના રેડિઓમોજાં પર ચાલે છે. બહુમાળી મકાનો જેવા અવરોધો વચ્ચે VHF રેડિઓમોજાં ઘણી વાર અવરોધાય છે. કટોકટીની સ્થિતિમાં ચાલુ વાર્તાર્લાપે ખલેલ પડે એ કેમ ચાલે ?
- સંસદ, અક્ષરધામ, તથા મુંબઇની તાજમહાલ હોટલ જેવાં સ્થળોએ બન્યું તેમ આતંકવાદીઓ તથા પુલિસ વચ્ચેનું ‘યુદ્ધ’ બરોબરીનું હોતું નથી. સરહદપારથી આવેલા આતંકવાદી યુવાનો છાપામાર હુમલાની પાકી તાલીમ પામેલા હોય છે, જ્યારે આપણી પુલિસને એ જાતના આટાપાટાનો પાકો મહાવરો હોતો નથી. પરિણામે આતંકવાદીઓ સાથેની ઝપાઝપી વખતે સ્ફૂર્તિ, લપક તેમજ ઝડપી નિર્ણયો લેવાના મામલે પુલિસ કાચી પડે છે. NSG/નેશનલ સિક્યૂરિટી ગાર્ડના કમાન્ડો ઘટનાસ્થળે આવીને બાજી સંભાળે ત્યારે ભારતનું પલ્લું સહેજ ભારે બને છે--દરમ્યાન બહુ મોડું થઇ ચૂક્યું હોય છે.
- આતંકવાદી હુમલા વખતની કટોકટીનો માહોલ હોય ત્યારે સ્થાનિક પુલિસ, નેશનલ સિક્યૂરિટી ગાર્ડ, સ્પેશ્યલ ફોર્સિસ તથા આપણી જાસૂસી સંસ્થાઓ વચ્ચે આપસી ટ્યૂનિંગ સારી પેઠે જળવાતું નથી. દા.ત. એક ન્યૂઝ રિપૉર્ટ મુજબ મુંબઇ પર આતંકવાદી અટૅક થયો એ વખતે NSG ના કમાન્ડોને સ્થાનિક પુલિસ તરફથી ઠંડો પ્રતિભાવ મળતો હતો. હુમલાનો ભોગ બનેલા મકાનની આસપાસનો મેપ પુલિસતંત્ર પાસે અનેક વાર માગ્યા છતાં NSG ને એ પૂરો પાડવામાં આવ્યો નહિ. શહેરી ટ્રાફિકની ભીડભાડને ટાળી ઘટનાસ્થળે ત્વરિત પહોંચી શકાય એ માટે હેલિકોપ્ટરની સુવિધા પણ મુંબઇ પુલિસ NSG ના કમાન્ડોને આપી શકી નહિ.
- મુંબઇ પર આતંકવાદી હુમલો થવાનો છે તે અંગેની છૂપી બાતમી ભારતની રિસર્ચ ઍન્ડ એનાલિસિસ વિંગ/RAW કહેવાતી જાસૂસી સંસ્થાને આગોતરી મળી ચૂકી હતી. સંભવિત હુમલા અંગે કેન્દ્ર સરકારના સુરક્ષા સલાહકારને RAW દ્વારા માહિતી આપી દેવામાં આવી હતી. કોણ જાણે કેમ, પણ એ બાતમીને ગંભીરતાથી લેવામાં ન આવી. આ લાપરવાહીના નતીજારૂપે મુંબઇ પર હુમલો થયો. પરંપરા મુજબ હુમલાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી અને દોષનો ટોપલો છેવટે ભારતીય નૌકાદળના ગુપ્તચર ખાતાના માથે ઢોળી દેવામાં આવ્યો.
- મુંબઇની ઘટના બાદ કેન્દ્ર સરકારે ભારતના તટવર્તી પ્રદેશોને સુરક્ષિત બનાવવા માટે જાસૂસીનાં હાઇટેક વીજાણું ઉપકરણો વસાવવાનો નિર્ણય લીધો હતો. આ વાતને એક વર્ષ જેટલો સમય વીતી ગયો, છતાં એ દિશામાં હજી ઠોસ પગલાં લેવાયાં નથી.
- શસ્ત્રોનાં આધુનિકરણ માટે સંરક્ષણ મંત્રાલયે કુલ ૪૦ અબજ ડૉલરનું જંગી બજેટ ફાળવ્યું છે. ૨૦૧૨ ની સાલ સુધીમાં તે રકમ વિવિધ શસ્ત્ર-સરંજામની ખરીદી પાછળ ખર્ચાવાની છે. બીજા લગભગ ૮૦ અબજ ડૉલર આગામી દાયકામાં ખરીદાનારાં શસ્ત્ર-સરંજામ માટે અનામત રાખવામાં આવ્યા છે. મુંબઇ પર ગયે વર્ષે થયેલા આતંકવાદી હુમલાને તેમજ ભવિષ્યમાં ભારતના એકાદ શહેર પર થઇ શકનારા હુમલાને અનુલક્ષીને વાત કરો તો ભારતને વિમાનવાહક જહાજો, લડાયક વિમાનો તેમજ ટૅન્કો ઉપરાંત ઍન્ટિ-ટેરરિઝમ વૉરફેર માટે કામ લાગી શકતાં શસ્ત્રોની (દા.ત. પુલિસ માટે એસોલ્ટ રાયફલ્સની) તેમજ ઉપકરણોની (દા.ત. નાઇટ વિઝન સિસ્ટમની તથા સારી ગુણવત્તાના બુલેટપ્રૂફ જાકિટની) તાતી જરૂર છે. પાક આતંકવાદીઓની સમુદ્રમાર્ગે થતી ઘૂસણખોરી ટાળવી હોય તો દરિયાના પહેરેગીર એવાં એવૉક્સ વિમાનોનો વ્યવસ્થિત કાફલો તાકીદે ઊભો કરવો રહ્યો.
- આતંકવાદ સામે કડક હાથે લડવાની તથા આતંકવાદી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી ચલાવવાની ઇચ્છાશક્તિનો આપણા રાજકીય આગેવાનોમાં હંમેશા અભાવ દેખાય છે. મુંબઇમાં અનેકને રહેંસી નાખનાર અજમલ કસબ એક વર્ષ પછીયે હજી આપણો સરકારી મહેમાન છે. જેલમાં બેઠો બેઠો તે અવનવી વાનગીઓની, પુસ્તકોની તેમજ હિન્દી ફિલ્મોની વિડિઓ સી.ડી.ની માગણી કરતો રહે છે અને આપણી નમાલી સરકાર તેની ફરમાઇશો વારાફરતી પૂરી કરતી રહે છે. એક અખબારી રિપૉર્ટ મુજબ જેલમાં કસબની ‘સારસંભાળમાં’ મુંબઇની સરકારને રોજનો સાડા આઠ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે--અને છેલ્લા એક વર્ષમાં કસબ પાછળ એ રીતે કુલ મળીને રૂ. ૩૧ કરોડનો ધુમાડો કરાયો છે. ખર્ચના આંકડાને ઘડીભર ભૂલી જાવ તો પણ વિચારવા જેવો મુદ્દો એ છે કે કસબની ‘સારસંભાળ’ પાછળ જે નાણાં ખર્ચાય છે તે સરવાળે આવે છે ક્યાંથી ? સ્વાભાવિક વાત છે કે એ રકમ દેશના કરદાતાઓએ એક યા બીજા પ્રકારના ટેક્સરૂપે પોતાના ખિસ્સામાંથી સરકારને આપી છે.




























