બ્રિટિશહિંદની ગવર્નર-જનરલ સલાહકાર
સમિતિના સભ્ય થોમસ બેબિંગ્ટન મેકુલેએ વૈદિક તેમજ બુનિયાદી શિક્ષણ પ્રણાલિના ભારતમાં
પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરાવી તે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને હમણાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં.
આ ઐતિહાસિક બનાવ ભારત માટે ટ્રેજિક ટર્નિંગ પોઇન્ટ હતો. દેશનું ભવિષ્ય તેણે સદંતર બદલી
નાખ્યું અને આર્યભટ્ટ, શ્રીધર, પાણિનિ, ચાણક્ય, કૌટિલ્ય, બ્રહ્મગુપ્ત, કણાદ, વરાહમિહિર,
ભાસ્કર, ચરક, સુશ્રુત, બ્રહ્મદેવ, શ્રીપતિ, અચ્યુત પિષારટિ, નીલકંઠ સોમયાજી વગેરે જેવા
વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓના દેશને વખત જતાં ડિગ્રીધારી સ્નાતકોના દેશમાં ફેરવી નાખ્યો.
બ્રિટિશહિંદના ગોરા લાટસાહેબોને તેમના વહીવટી કામકાજમાં મદદરૂપ થઇ શકે તેવા 'શિક્ષિત'
તેમજ અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા બાબુઓની આવશ્યકતા હતી, એટલે થોમસ મેકુલેએ સૂચવેલી પ્રાથમિક
કક્ષાની શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં ૧૮૩૮માં દાખલ કરાઇ. ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોની વિદાય
લીધી ત્યારે તેમની શિક્ષણ પ્રણાલિ ફગાવી દઇને બુનિયાદી તાલીમની મૂળ ભારતીય સિસ્ટમ જરૂરી
ફેરફારો સાથે અમલમાં મૂકવાની જરૂર હતી. પરંતુ એમ ન બન્યું, એટલે આજે તેનું પરિણામ નજર
સામે છે. શિક્ષણની ગુણવત્તા બાબતે ભારત કાઠું કાઢી શક્યું નથી. આ રહ્યું તેનું સજ્જડ
ઉદાહારણ--
Programme for International Student
Assessment/PISA કહેવાતી વૈશ્વિક સંસ્થા વિવિધ
દેશોમાં ૧૫ વર્ષની વયના વિદ્યાર્થીઓનું વાંચન, ગણિત તેમજ વિજ્ઞાન ચકાસવા માટે તેમની
સમાન ધોરણે કસોટી લે છે. PISAની એક કસોટી અંતર્ગત ભારત સહિત જગતના
૭૪ દેશોએ ભાગ લીધો, જેમાં ચીનના વિદ્યાર્થીઓ વાંચન, ગણિત અને વિજ્ઞાન એ ત્રણેય કેટેગરીમાં
પ્રથમ ક્રમે આવ્યા. બીજી તરફ ભારતનો નંબર અનુક્રમે ૭૨મો, ૭૩મો અને ૭૪મો હતો. આ શરમજનક
રીઝલ્ટ ભારતની કથળેલી શિક્ષણ પદ્ધતિનું સૂચક છે. વળી એ વાતનું પણ સૂચક છે કે આપણી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીને વિચારવાનો મૂળભૂત
અધિકાર જ આપતી નથી. અમેરિકામાં (તથા ચીન અને જાપાન સહિતના અમુક દેશોમાં) પરીક્ષા વખતે
દરેક વિદ્યાર્થીનું મૂલ્યાંકન તેની સમજશક્તિના તથા સર્જનશક્તિના આધારે કરાય છે, જ્યારે
આપણી શિક્ષણ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીમાં સમજશક્તિ કે સર્જનશક્તિ હોવી જરૂરી નથી. માત્ર
સ્મરણશક્તિ હોય એ પૂરતું છે--બલકે એમ કહો કે સારા માર્કસ લાવવા હોય તો પોપટનેય આંટી
જતો memory
power અનિવાર્ય
છે. વિદ્યાર્થી તેના જે તે વિષયને બરાબર સમજ્યા બાદ પોતાની ભાષામાં સચોટ જવાબ રજૂ કરે
તો શુષ્ક પાઠ્યપુસ્તકનો ‘મર્યાદાભંગ’ કર્યા બદલ માર્ક્સ કપાયા વગર રહે નહિ.
અમેરિકાએ ૧૯૦૭માં લગભગ આવી જ શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી. પચાસ વર્ષ પછી ૧૯૫૭માં રશિયાએ સ્પુતનિક નામનો પહેલો સેટેલાઇટ ચડાવ્યો ત્યારે અમેરિકા કેમ પાછળ રહી ગયું તેનાં કારણો શોધવા તત્કાલીન પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે તપાસ સમિતિનું ગઠન કર્યું. સમિતિએ અહેવાલમાં જણાવ્યું કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓની સર્જનશક્તિને તેમજ વિચારશક્તિને છૂટો દોર આપવાને બદલે પાઠ્યપુસ્તકોમાં તેમને બાંધી રાખવામાં આવતા હતા. પરિણામે સાયન્સ અને ટેક્નોલોજિના ક્ષેત્રે તેઓ પૂર્ણ કળાએ ખીલી શકતા ન હતા. સમિતિની ભલામણોના અનુસંધાનમાં સરકારે એવી શિક્ષણ પદ્ધતિ ઘડી કે જેના મુજબ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ જણાવાય અને મેક્મિલન-મેક્ગ્રોહિલ અને મેરિલ પબ્લિશિંગ કંપની જેવા પ્રકાશકો શ્રેષ્ઠ લેખકોને રોકી તેમની પાસે અભ્યાસક્રમ મુજબનાં પુસ્તકો તૈયાર કરાવી લે. એક જ વિષય પર વિવિધ પ્રકાશકોનાં ૧૦-૧૨ પુસ્તકો બજારમાં મૂકાય, જેમાંથી વિદ્યાર્થી મનપસંદ પુસ્તકો ખરીદી લે. વિષયને બરાબર સમજી લીધા બાદ વિદ્યાર્થીએ પરીક્ષામાં જો સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો તેણે પુસ્તકોના લખાણને વળગી રહેવાને બદલે પોતાની મૌલિક ભાષામાં સ્પષ્ટ, રસાળ અને સચોટ જવાબ લખી સમજશક્તિનું અને સર્જનશક્તિનું પણ પ્રમાણ આપવું રહ્યું.
આ જાતની
શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં દાખલ કરાય તો ભારત માત્ર સ્નાતકોનો નહિ, વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓનો
દેશ બને. અમેરિકાની માફક આપણી પેટન્ટ ઓફિસો પણ અવનવી વૈજ્ઞાનિક શોધખોળોની પેટન્ટ અરજીઓથી
ઉભરાય. આ બધું જો કે ત્યારે શક્ય બને કે જ્યારે ૧૭૫ વર્ષ પહેલાં થોમસ મેકુલેના હસ્તે
જેનાં બીજ રોપાયાં તે શિક્ષણ પ્રણાલિનું જર્જરિત વૃક્ષ સરકાર ધરમૂળથી ઉખેડી નાખે. પરંતુ
સરકાર પાસે એવી અપેક્ષા ન રાખવી જોઇએ અને રાખો તો શેખચલ્લી તરીકેનો શિરપાવ વેઠવાની
તૈયારી રાખવી જોઇએ.
નોંધ : આ બ્લોગ પર પ્રસ્તુત લેખ ૧૦૦મી પોસ્ટ છે.
નોંધ : આ બ્લોગ પર પ્રસ્તુત લેખ ૧૦૦મી પોસ્ટ છે.





