Friday, May 3, 2013

બુ‌નિયાદી ‌શિક્ષ્‍ાણના ભારતમાં જ્યારે બાબુશાહી ‌શિક્ષ્‍ાણનાં મૂળિયાં નખાયા

બ્રિટિશહિંદની ગવર્નર-જનરલ સલાહકાર સમિતિના સભ્ય થોમસ બેબિંગ્ટન મેકુલેએ વૈદિક તેમજ બુનિયાદી શિક્ષણ પ્રણાલિના ભારતમાં પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરાવી તે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને હમણાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં. આ ઐતિહાસિક બનાવ ભારત માટે ટ્રેજિક ટર્નિંગ પોઇન્ટ હતો. દેશનું ભવિષ્ય તેણે સદંતર બદલી નાખ્યું અને આર્યભટ્ટ, શ્રીધર, પાણિનિ, ચાણક્ય, કૌટિલ્ય, બ્રહ્મગુપ્ત, કણાદ, વરાહમિહિર, ભાસ્કર, ચરક, સુશ્રુત, બ્રહ્મદેવ, શ્રીપતિ, અચ્યુત પિષારટિ, નીલકંઠ સોમયાજી વગેરે જેવા વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓના દેશને વખત જતાં ડિગ્રીધારી સ્નાતકોના દેશમાં ફેરવી નાખ્યો. બ્રિટિશહિંદના ગોરા લાટસાહેબોને તેમના વહીવટી કામકાજમાં મદદરૂપ થઇ શકે તેવા 'શિક્ષિત' તેમજ અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા બાબુઓની આવશ્યકતા હતી, એટલે થોમસ મેકુલેએ સૂચવેલી પ્રાથમિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં ૧૮૩૮માં દાખલ કરાઇ. ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોની વિદાય લીધી ત્યારે તેમની શિક્ષણ પ્રણાલિ ફગાવી દઇને બુનિયાદી તાલીમની મૂળ ભારતીય સિસ્ટમ જરૂરી ફેરફારો સાથે અમલમાં મૂકવાની જરૂર હતી. પરંતુ એમ ન બન્યું, એટલે આજે તેનું પરિણામ નજર સામે છે. શિક્ષણની ગુણવત્તા બાબતે ભારત કાઠું કાઢી શક્યું નથી. આ રહ્યું તેનું સજ્જડ ઉદાહારણ--

Programme for International Student Assessment/PISA કહેવાતી વૈશ્વિક સંસ્થા વિવિધ દેશોમાં ૧૫ વર્ષની વયના વિદ્યાર્થીઓનું વાંચન, ગણિત તેમજ વિજ્ઞાન ચકાસવા માટે તેમની સમાન ધોરણે કસોટી લે છે. PISAની એક કસોટી અંતર્ગત ભારત સહિત જગતના ૭૪ દેશોએ ભાગ લીધો, જેમાં ચીનના વિદ્યાર્થીઓ વાંચન, ગણિત અને વિજ્ઞાન એ ત્રણેય કેટેગરીમાં પ્રથમ ક્રમે આવ્યા. બીજી તરફ ભારતનો નંબર અનુક્રમે ૭૨મો, ૭૩મો અને ૭૪મો હતો. આ શરમજનક રીઝલ્ટ ભારતની કથળેલી શિક્ષણ પદ્ધતિનું સૂચક છે. વળી એ વાતનું પણ સૂચક છે કે  આપણી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીને વિચારવાનો મૂળભૂત અધિકાર જ આપતી નથી. અમેરિકામાં (તથા ચીન અને જાપાન સહિતના અમુક દેશોમાં) પરીક્ષા વખતે દરેક વિદ્યાર્થીનું મૂલ્યાંકન તેની સમજશક્તિના તથા સર્જનશક્તિના આધારે કરાય છે, જ્યારે આપણી શિક્ષણ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીમાં સમજશક્તિ કે સર્જનશક્તિ હોવી જરૂરી નથી. માત્ર સ્મરણશક્તિ હોય એ પૂરતું છે--બલકે એમ કહો કે સારા માર્કસ લાવવા હોય તો પોપટનેય આંટી જતો memory power અનિવાર્ય છે. વિદ્યાર્થી તેના જે તે વિષયને બરાબર સમજ્યા બાદ પોતાની ભાષામાં સચોટ જવાબ રજૂ કરે તો શુષ્ક પાઠ્યપુસ્તકનો ‘મર્યાદાભંગ’ કર્યા બદલ માર્ક્સ કપાયા વગર રહે નહિ.


અમેરિકાએ ૧૯૦૭માં લગભગ આવી જ શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી. પચાસ વર્ષ પછી ૧૯૫૭માં રશિયાએ સ્પુતનિક નામનો પહેલો સેટેલાઇટ ચડાવ્યો ત્યારે અમેરિકા કેમ પાછળ રહી ગયું તેનાં કારણો શોધવા તત્કાલીન પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે તપાસ સમિતિનું ગઠન કર્યું. સમિતિએ અહેવાલમાં જણાવ્યું કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓની સર્જનશક્તિને તેમજ વિચારશક્તિને છૂટો દોર આપવાને બદલે પાઠ્યપુસ્તકોમાં તેમને બાંધી રાખવામાં આવતા હતા. પરિણામે સાયન્સ અને ટેક્નોલોજિના ક્ષેત્રે તેઓ પૂર્ણ કળાએ ખીલી શકતા ન હતા. સમિતિની ભલામણોના અનુસંધાનમાં સરકારે એવી શિક્ષણ પદ્ધતિ ઘડી કે જેના મુજબ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ જણાવાય અને મેક્મિલન-મેક્ગ્રોહિલ અને મેરિલ પબ્લિશિંગ કંપની જેવા પ્રકાશકો શ્રેષ્ઠ લેખકોને રોકી તેમની પાસે અભ્યાસક્રમ મુજબનાં પુસ્તકો તૈયાર કરાવી લે. એક જ વિષય પર વિવિધ પ્રકાશકોનાં ૧૦-૧૨ પુસ્તકો બજારમાં મૂકાય, જેમાંથી વિદ્યાર્થી મનપસંદ પુસ્તકો ખરીદી લે. વિષયને બરાબર સમજી લીધા બાદ વિદ્યાર્થીએ પરીક્ષામાં જો સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો તેણે પુસ્તકોના લખાણને વળગી રહેવાને બદલે પોતાની મૌલિક ભાષામાં સ્પષ્ટ, રસાળ અને સચોટ જવાબ લખી સમજશક્તિનું અને સર્જનશક્તિનું પણ પ્રમાણ આપવું રહ્યું.

આ જાતની શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં દાખલ કરાય તો ભારત માત્ર સ્નાતકોનો નહિ, વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓનો દેશ બને. અમેરિકાની માફક આપણી પેટન્ટ ઓફિસો પણ અવનવી વૈજ્ઞાનિક શોધખોળોની પેટન્ટ અરજીઓથી ઉભરાય. આ બધું જો કે ત્યારે શક્ય બને કે જ્યારે ૧૭૫ વર્ષ પહેલાં થોમસ મેકુલેના હસ્તે જેનાં બીજ રોપાયાં તે શિક્ષણ પ્રણાલિનું જર્જરિત વૃક્ષ સરકાર ધરમૂળથી ઉખેડી નાખે. પરંતુ સરકાર પાસે એવી અપેક્ષા ન રાખવી જોઇએ અને રાખો તો શેખચલ્લી તરીકેનો શિરપાવ વેઠવાની તૈયારી રાખવી જોઇએ.

નોંધ : આ બ્‍લોગ પર પ્રસ્તુત લેખ ૧૦૦મી પોસ્ટ છે.

Friday, April 12, 2013

ભારતીય શસ્ત્રાગારના આધુનિકરણમાં ભ્રષ્‍્ટાચારની અડચણ

રદેશી શસ્ત્રઆયાતના મામલે ભારતનું સ્થાન જગતના સૌ દેશો કરતાં મોખરે છે--અને તે સ્થાન ભારતે ૨૦૦૭ની સાલથી જાળવી રાખ્યું છે. સ્વાભાવિક રીતે એમાં ગર્વ લેવા જેવું કશું નથી. સ્વદેશી ટેક્નોલોજિને બાયપાસ કરી વિદેશી શસ્ત્રો પર મદાર રાખવા બદલ ખરેખર તો ગ્લાનિ થવી જોઇએ. ૨૦૦૭ની સાલમાં આપણે ૨.૧૭ અબજ ડોલરનાં શસ્ત્રો આયાત કર્યાં, તો ૨૦૧૦માં આયાતી શસ્ત્રોનું બિલ ૩.૧૧ અબજ ડોલરના આંકડે અને ૨૦૧૨માં વધીને ૧૨ અબજ ડોલરના આંકડે પહોંચ્યું. આટલો મનીપાવર ખર્ચીને ભારતીય સંરક્ષણ દળનો મસલપાવર માફકસરનો વધવો જોઇએ, પરંતુ એવું બન્યું નથી. આજની તારીખે ભારતનું શસ્ત્રાગાર શુષ્ક છે. જૂનવાણી શસ્ત્રોથી ભરપૂર છે. આધુનિક શસ્ત્રો તેમનું સ્થાન લઇ શક્યાં નથી--અને તે બદલ મુખ્ય કારણ શસ્ત્રખરીદીમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર છે. સંરક્ષણ મંત્રાલય તેના પર કાબૂ રાખી શક્યું નથી, એટલે નવાં શસ્ત્રોની ખરીદી પર લગામ નાખી છે.


બોફર્સ તોપના કટકી કૌભાંડથી લઇને તાજેતરમાં બ્રિટન-ઇટાલિ સાથે થયેલા અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સુધીના દરેક સોદામાં ભ્રષ્ટાચાર થયાના અનેક બનાવો બહાર આવ્યા છે. પરિણામે નવાં શસ્ત્રો માટે સંરક્ષણ મંત્રાલય સમક્ષ કોઇ પણ પ્રસ્તાવ મૂકાય ત્યારે તેમની ખરીદી પાછળ થનારા સંભવિત ભ્રષ્ટાચારને ટાળવા પ્રસ્તાવને ટલ્લે ચડાવવામાં આવે છે. સૂચિત શસ્ત્રોની ઉપયોગીતાને તેમજ આવશ્યકતાને સંરક્ષણ મંત્રાલય ધ્યાન પર લેતું નથી અથવા તો તેની અગવણના કરે છે. આના નતીજારૂપે બન્યું છે એવું કે શસ્ત્રોના કેટલાક જરૂરી સોદા છેલ્લાં કેટલાંક વર્ષથી પાર પડી શકાયા નથી. (જુઓ, કોઠો). લશ્કરની જે તે પાંખે શસ્ત્રોની માગણીના અમુક પ્રસ્તાવો ભારપૂર્વક રજૂ કર્યા છતાં મંત્રાલય દ્વારા તેમના પર કામગીરી હાથ ધરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે--

ભારતીય ખુશ્કીદળને ૧૫૫ મીલીમીટર વ્યાસનું નાળચું ધરાવતી કુલ ૧૮૦ હોવિટ્ઝર્સની ભારે આવશ્યકતા છે. આ જરૂરિયાત સ્વીડનની બોફર્સ કંપનીએ બનાવેલી આધુનિક તોપો વડે પૂરી શકાય તેમ છે, પણ સંરક્ષણ મંત્રાલયને એ મંજૂર નથી. બોફર્સ કંપનીને તેણે બ્લેકલિસ્ટ પર મૂકી છે, કેમ કે ૧૯૮૬માં એ કંપની સાથે કુલ ૪૧૦ તોપોનો સોદો થયેલો ત્યારે રૂા.૬૪ કરોડનું કટકી કૌભાંડ બહાર આવ્યું હતું. આ વિવાદિત મુદ્દો વળી પાછો ન ઉછળે એ માટે સંરક્ષણ મંત્રાલયે બોફર્સ જોડે કામ પાડવાનું ટાળ્યું છે. આ જક્કી વલણ સામે ખુશ્કીદળની વિટંબણા જુઓ. ત્રીસેક વર્ષ પહેલાં ખરીદાયેલી બોફર્સ હોવિટ્ઝર વડે આજે પણ તેણે કામ ચલાવવું પડે છે. આ તોપનું સ્થાન લઇ શકે તેવી એકેય હોવિટ્ઝર ખુશ્કીદળના યુદ્ધનિષ્ણાતોને મન હેઠે આવતી નથી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં દુશ્મનને પોતાના તીખા મિજાજનો પરચો આપનાર બોફર્સ તોપોનું રિપ્લેસમેન્ટ એક જ છે: ખુદ આધુનિક બોફર્સ તોપ ! પરંતુ સંરક્ષણ મંત્રાલયને એ વાત કેમેય કરી ગળે ઉતરતી નથી. 

બીજું ઉદાહરણ: સૈનિકો તેમજ શસ્ત્રસરંજામના વહન માટે વાહતુક હેલિકોપ્ટરો તાકીદે વસાવવાનાં થયાં છે, પરંતુ એ ખરીદીને પણ બ્રેક લાગી છે. યુરોપની અને રશિયાની હેલિકોપ્ટર કંપનીઓએ ૧૯૭ હેલિકોપ્ટરોનો ઓર્ડર મેળવવા લાંચ આપ્યાના રિપોર્ટ આવ્યા બાદ સંરક્ષણ મંત્રાલયે સી.બી.આઇ.ને તપાસ સોંપી છે. દરમ્યાન પરિવહન માટે ચાર દાયકા પુરાણા ચેતક અને ચિત્તા હેલિકોપ્ટરો વડે ગાડું ગબડી રહ્યું છે.

આયાતી શસ્ત્રોની છ દાયકા લાંબી ભારતીય તવારીખમાં બનેલા ભ્રષ્ટાચારના બનાવોનાં માઠાં ફળ આજે લશ્કરની ત્રણેય પાંખે ભોગવવાનાં થયાં છે. પોલિટિકલ ગજગ્રાહમાં વ્યસ્ત રાજકારણીઓ ભૂલે છે કે આવતી કાલનું યુદ્ધ ટેક્નોલોજિને આધિન રહેવાનું છે અને શસ્ત્રાગારની વર્તમાન સ્થિતિ જોતાં ભારતનો તેમાં ગજ વાગે એમ લાગતું નથી.

Tuesday, February 12, 2013

Line Of Control: ભારતે જ્યારે કુહાડા પર પગ માર્યો!

અડધો ડઝન પડોશી દેશોને સ્પર્શતી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ ૧૫,૧૨૦ કિલોમીટર લાંબી છે--અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે છ પૈકી એક પણ સરહદ એવી નથી કે જ્યાં પડોશી રાષ્ટ્ર દ્વારા એક યા બીજી રીતે કનડગત થતી ન હોય. 
  • કુલ ૪,૦૯૬ કિલોમીટર લાંબી ભારત-બાંગલા દેશ સીમા પૂર્વીય રાજ્યો માટે વર્ષો થયે સિરદર્દ બની છે, કેમ કે તે સરહદ મારફત વર્ષેદહાડે લાખો બાંગલાદેશી લોકોનાં ધાડાં ગેરકાનૂની રીતે ઘૂસણખોરી કરી રહ્યાં છે.
  • ભારત-ચીનની ૩,૪૮૮ કિલોમીટર સુધી ફેલાતી સરહદરેખા પર ચીનની વધતી જતી લશ્કરી હિલચાલ જોતાં નજીકના ભવિષ્યમાં તે સરહદ યુદ્ધભૂમિ બને તો કહેવાય નહિ. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના માથે ચીની ડ્રેગનનું આક્રમણ તોળાઇ રહ્યું છે.
  • નેપાળ તો ભારત સાથેની ૧,૭૫૧ કિલોમીટર લાંબી સીમારેખાને વર્ષોથી ગેરવાજબી ઠરાવતું આવ્યું છે. સરહદમાં ૬૦ સ્થળોએ તેણે સુધારા સૂચવ્યા છે, જેને લઇને અમુક નેપાળી સંગઠનો ભારત સામે ગેરિલા યુદ્ધે ચડ્યા છે. નેપાળી માઓવાદીઓનું બિહારમાં તેમજ ઉત્તર પ્રેદેશમાં ઘૂસી આવી ત્યાં જાનમાલને નુકસાન પહોંચાડવું હવે આમ વાત છે. 
  • ભાગલા વખતે આંકવામાં આવેલી ૩,૩૨૩ કિલોમીટર લાંબી ભારતપાક સીમારેખાની વાત કરો તો તેણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર એમ ચાર રાજ્યોના સરહદી વિસ્તારોને લશ્કરી છાવણીમાં ફેરવી દીધા છે. આ લાંબી સીમારેખાએ અત્યાર સુધી ચાર ભીષણ યુદ્ધો જોયાં છેઅને હજી ત્યાં વખતોવખત છમકલાં થતાં રહે છે. 
પાકિસ્તાન સાથેની સૌથી વધુ તંગ સરહદ હોય તો કાશ્મીરની કે જ્યાં ૭૪૦ કિલોમીટર લાંબી Line Of Control/અંકુશરેખા પસાર થાય છે. પાક પ્રેરિત આતંકવાદે તેને બારમાસી યુદ્ધભૂમિમાં ફેરવી દીધી છે પરિણામે ભારત માટે તે શૂળ સાબિત થઇ છે. ટ્રેજડિ તો એ વાતે છે શૂળનું દરદ ખુદ ભારતે ઊભું કર્યું છે. શી રીતે તે જુઓ-- 

આઝાદી પછી ઓક્ટોબર ૨૪, ૧૯૪૭ ના રોજ પાકિસ્તાને ભારત પર આક્રમણ કરી જમ્મુ-કાશ્મીરનો પશ્ચિમી તથા ઉત્તરી પ્રદેશ પચાવી પાડ્યો. ભારતીય જવાનો પાક હુમલાખોરોને મારી હટાવવા વીરતાપૂર્વક લડ્યા અને ગુમાવેલો પ્રદેશ ફરી હસ્તગત કરવા લાગ્યા. સમગ્ર રાજ્ય જો કે મુક્ત થાય એ પહેલાં જવાહરલાલ નેહરુએ યુનોના ઠરાવ નં. ૧૩ મુજબ જાન્યુઆરી ૧, ૧૯૪૯ ની મધરાતે અમલી બનતો યુદ્ધવિરામ સ્વીકારી લીધો. આ પગલું અવિચારી હતું, કેમ કે જમ્મુ-કાશ્મીરનો ૩૭% પ્રદેશ હજી પાક કબજામાં હતો અને યુદ્ધવિરામ વળી એવે વખતે જાહેર કરાયો કે જ્યારે પાક હુમલાખોરો પીછેહઠ કરી રહ્યા હતા. આમ, નેહરુની અક્ષમ્ય ભૂલે Line Of Ceasefire/યુદ્ધવિરામ રેખાને જન્મ આપ્યો. વખત જતાં તે Line Of Control તરીકે ઓળખાવાની હતી.
 ૧૯૪૮માં નક્કી થયેલી યુદ્ધવિરામ રેખા અસ્પષ્ટ હતી. જમ્મુ-કાશ્મીરના નકશામાં તેને સ્પષ્ટ રીતે આંકવા માટે ૧૯૭૧ ના યુદ્ધ પછી ભારતીય અને પાકિસ્તાની સૈન્યના અફસરો રૂબરૂ મળ્યા. ભૂપૃષ્ઠ બતાવતા નકશામાં પર્વતો, નદીનાળાં, ખીણો, હિમસરિતાઓ, ગામડાં વગેરેના સ્થાનનો અક્ષાંશરેખાંશ મુજબ સંદર્ભ પકડી તેમણે Line Of Control/અંકુશરેખા દોરી. જમ્મુકાશ્મીરના ભૂપૃષ્ઠ પર અંકુશરેખા બતાવતા મોટા કદના ૨૭ નકશા બનાવ્યા, જેમને યોગ્ય ક્રમમાં જોડ્યા પછી એક સંપૂર્ણ નકશો તૈયાર થતો હતો. પૂર્વમાં સંગમથી પશ્ચિમમાં સિયાચીન પાસે Point NJ-9842 નામના શિખર સુધીની ૭૪૦ કિલોમીટર લાંબી LoC આંકેલા તે નકશાની બે નકલો બની. એક નકલ ભારતે તો બીજી પાકિસ્તાને રાખી. વાસ્તવમાં તો ડિસેમ્બર ૧૭, ૧૯૭૧ના રોજ ભારત-પાક યુદ્ધ પૂરું થયાના દિવસે બન્ને લશ્કરોના અંકુશ હેઠળનો પ્રદેશ બતાવતી તે રેખા હતી, જેનાં ભૌગોલિક પાસાં વ્યૂહાત્મક રીતે ભારત માટે પ્રતિકૂળ હતાં. પુંચ, તિથવાલ, ઝોજીલા, બટાલિક, દ્રાસ, કારગિલ અને સિયાચીન એમ દરેક મહત્ત્વપૂર્ણ પ્રદેશમાં તે શિખરોની ટોચે પસાર થતી હતી. આથી જતે દહાડે પાછું યુદ્ધ થાય તો ખીણના લેવલે રહીને ભારતીય જવાનોને પર્વતીય ટોચ પરના દુશ્મન સૈન્યની ગોલંદાજી સામે લડવાનું ફાવે નહિ. ૧૯૭૧માં ભારત વિજયી બન્યું હોવા છતાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આપણા જવાનોને માફક આવતી LoC ન અંકાવી. આ ભૂલનાં માઠાં ફળ ભારતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે ભોગવવાં પડ્યાં. 

ભારતે ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે LoC પરમેનન્ટ પ્રોબ્લેમ બન્યો છે, જેનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. રાજકીય ટેબલ પર તેનો ઉકેલ કદી આવવાનો પણ નથી--અને છતાં આપણી સરકાર શાંતિમંત્રણાઓ કર્યે રાખે છે. દરમ્યાન LoC પર પાક સૈનિકો-આતંકવાદીઓ દ્વારા ભારતીય જવાનોની આહૂતિ લેવાઇ રહી છે. કાશ્મીરમાં મેંધાર ખાતેની અંકુશરેખાએ ફરજ બજાવતા ભારતીય ખુશ્કીદળના લાન્સ નાયક હેમરાજ તથા લાન્સ નાયક સુધાકર સિંહની પાક સૈનિકો દ્વારા ગયે મહિને કરાયેલી બર્બરતાભરી હત્યા તેનો તાજો દાખલો છે.

Thursday, January 3, 2013

Clinical Trials: તબીબી ‌વિજ્ઞાનના નામે માનવતાની કતલ

તબીબી સંશોધન માટે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની પ્રયોગશાળાઓમાં દર વર્ષે કરોડો પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે, જેમાં આપણે ત્યાંથી નિકાસ થતા રહેલા રીસસ પ્રકારનાં વાંદરાની સંખ્યા કદાચ સૌથી નોંધપાત્ર હશે. વાંદરાની શરીરરચના માણસને ઘણે અંશે મળતી આવે છે, એટલે નવી દવાની અસરો તથા આડઅસરો જાણવા માટે પહેલી પસંદગી વાંદરાને અપાય છે. પ્રયોગમાં વપરાતાં બીજા સજીવોમાં ઉંદર, ગીની પીગ, દેડકા વગેરે મુખ્ય છે. કેન્સર જેવા દુઃસાધ્ય રોગોના સંશોધન માટે અમુક પ્રાણીઓને નછૂટકે મારવા પડે તે સમજી શકાય, પરંતુ તબીબી સંશોધન/clinical trials ના નામે જનાવરોને બદલે માણસો પર ટ્રાયલ એન્ડ એરરના ધોરણે વિવિધ અખતરા થાય અને વળી પ્રયોગો દરમ્યાન   ક્યારેક તેમનો ભોગ પણ લેવાય તે સામાન્ય વ્યક્તિ માટે સમજ બહારની વાત છે. અલબત્ત, આવી માલપ્રેક્ટિસ ખુફિયા ઢબે વર્ષોથી ચાલે છે. કોઇ દેશની સરકાર તેના પર સંપૂર્ણપણે અંકૂશ લાદી નથી શકી, જેના નતીજારૂપે જગતમાં વર્ષેદહાડે હજારો જણા તબીબી સંશોધનનો શિકાર બની ભૂંડા મોતના હવાલે થાય છે.
 

નવી દવાઓની દર્દીના શરીર પર થતી સારીનરસી ઇફેક્ટની ચકાસણી માટે વિવિધ દેશોમાં હાલ બધું મળીને ૧,૩૩,૨૨૦ પ્રયોગો થઇ રહ્યા છે. સૌથી વધુ ૬૪,૧૬૭ પ્રયોગો અમેરિકામાં ચાલે છે. અહીં જો કે ભારતની જ વાત કરીએ, જ્યાં તબીબી સંશોધન/clinical trials નું બજાર છેલ્લાં પાંચેક વર્ષમાં એકધારું વધતું રહી આજે રૂા.૮,૦૦૦ કરોડના આંકડે પહોંચ્યું છે. નવી દવાઓના તબીબી સંશોધન માટે આપણે ત્યાં ૨,૦૫૯ જેટલા પ્રયોગો વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હાથ ધર્યા છે. આ બધા પ્રયોગો અબોલ પ્રાણીઓ સુધી મર્યાદિત હોત તો ઠીક, પણ ઘણા કેસમાં દવાના અખતરા કેન્સર પેશન્ટો પર, માનસિક વિકલાંગો પર, હાર્ટ પેશન્ટો પર તેમજ ગરીબ દર્દીઓ પર કરવામાં આવી રહ્યા છે. યાદ રહે કે ભારતની ૩૫ ટકા પ્રજા હજી પણ ગરીબી રેખા નીચે જીવે છે, જ્યારે દેશની ફક્ત ૨૦ ટકા પ્રજાએ તબીબી સારવાર માટે વીમો કઢાવ્યો છે. સારવારનો ખર્ચ ન વેઠી શકતા દર્દીઓને વિવિધ શહેરોમાંથી શોધી કાઢી તેમની સારવારનો તમામ ખર્ચ ફાર્મા કંપની ઉપાડી લે છે. ટ્રીટમેન્ટના નામે આવા  દર્દીને ઘણું કરીને તો એ જ દવાઓ આપવામાં આવે કે જેના માટે ફાર્મા કંપનીના નિષ્ણાતો રિસર્ચ કરવા માગતા હોય. દવાઓના ડોઝ વિવિધ માત્રામાં અપાય છે અને પછી તે ડોઝની શરીર પર અસર યા આડઅસર નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવે છે. બારીક અવલોકનોના આધારે નિષ્ણાતો દવામાં જરૂરી ફેરફાર આણતા રહે અને નવો તૈયાર કરાયેલો ડોઝ વળી પાછા દર્દી પર અજમાવી જુએ.

આ જાતનું ઊંટવૈદું કેટલોક વખત ચાલે, જેના અંતે તૈયાર થયેલી દવા માર્કેટ માટે સેઇફ ગણાય છે. અર્થાત ફાર્મા કંપની કોઇ પણ જાતના જોખમ વિના તેને બજારમાં વેચાતી મૂકી શકે છે. બીજી તરફ પરીક્ષણ દરમ્યાન પ્રયોગશાળાના દેડકાનો રોલ ભજવનાર દર્દીને આવું ઊંટવૈદું ક્યારેક ભારે પડે છે, કેમ કે દવાનું રિએક્શન તેણે શારીરિક યા માનસિક યાતનાઓ ભોગવીને વેઠ્યું હોય એ બનવાજોગ છે. સમયસર યોગ્ય સારવારના અભાવે ક્યારેક પરિણામ ઘાતક નીવડે એવું પણ બને ! છેલ્લાં ત્રણેક વર્ષ દરમ્યાન ભારતમાં કુલ ૧,૭૪૩ દર્દીઓ clinical trials દરમ્યાન માર્યા ગયા છે. 
 
આવા હતભાગીઓની સંખ્યા આગામી વર્ષોમાં હજી વધે તો નવાઇ નહિ, કારણ કે અમેરિકાની સેંકડો ફાર્મા કંપનીઓ તેમની નવી દવાઓનું તબીબી સંશોધન આપણે ત્યાં આઉટસો‌‌રસ‌‌િંગના ધોરણે ચલાવી રહી છે; એટલા માટે કે અમેરિકાની તુલનાએ ભારત clinical trials નું સોંધું ‘બજાર’ છે. એકાદ નવી દવાને clinical trials હેઠળ ચકાસવાનો ખર્ચ અમેરિકામાં ૨૦,૦૦૦ ડોલરથી ઓછો નથી, જ્યારે ભારતમાં એ જ કામ ૨,૦૦૦ ડોલરમાં પાર પડે છે. વળી મફત સારવાર માટે કે પછી મુઠ્ઠીભર પૈસા માટે પોતાના શરીરને clinical trials માટે તબીબોના હાથમાં સોંપી દેનાર સ્વૈચ્છિકોનો ભારતમાં તોટો નથી. (ભારતમાં આવા ૧,૫૦,૦૦૦ સ્વૈચ્છિકો છે). ફાર્મા કંપનીઓ એ વાતનો ફાયદો ઉઠાવીને પોતાના અમાનુષી પ્રયોગો પાર પાડે છે--અને ખેદની વાત તો એ કે આવા પ્રપ્રયોગોને વાજબી ઠરાવા માટે વિજ્ઞાનનું નામ વટાવી ખાવામાં આવે છે

Monday, December 24, 2012

One of the finest moments of 2012

Transit of planet Venus (seen as black dot) across the Sun...
...as I saw from my camera.



This picture was taken on June 6, 2012 with Canon 7D camera + 250mm zoom lens. Aperture f/32, shutter 1/8000 sec., ISO 100.

Thursday, December 13, 2012

ગુજરાતની ચૂંટણીઃ અજેન્‍ડા આક્ષ્‍ોપબાજીનો

ગુજરાતની વિધાનસભા ચૂંટણી મતદાર પ્રજાજનો માટે એવો મોકો છે કે જ્યારે તેઓ પોતાને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા ઉમેદવારને મત આપી પ્રતિનિધિ તરીકે પસંદ કરી લે. પસંદગી માટે યોગ્ય વ્યક્તિ કોણ (કે યોગ્ય પક્ષ કયો) એ મતદારોને પહેલાં તો જાણવાનો અવસર મળે તે જરૂરી છે અને જાણકારી માટે વિવિધ પ્રશ્નો વિશે સામસામા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જાહેરમાં ચર્ચા થવી આવશ્યક છે--જે રીતે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ટેલિવિઝન પર થાય છે. કમનસીબે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢાંચો એવો વિચિત્ર રીતે ગોઠવાયો છે કે પ્રજાજનોને સ્પર્શતા સડક, વીજળી અને પાણી કે પછી શિક્ષણ તથા ‍ઓૈદ્યોગિકરણ જેવા પ્રશ્નો દ્વીપક્ષી ડિબેટ તરીકે હાથ પર લેવાયા જ નથી.

વિશેષ કરીને વિરોધપક્ષ આવી સ્થિતિ માટે વધુ જવાબદાર છે, કારણ કે તેનો એકમાત્ર ચૂંટણી અજેન્ડા ગમે તે ભોગે મુખ્ય મંત્રીનું પત્તું કાપવાનો છે. બાકીના તમામ પ્રશ્નો (પછી ભલે પ્રજા માટે તે પ્રાણપ્રશ્નો હોય) તેને મન ગૌણ છે. વિરોધપક્ષે ખરેખર તો ગુજરાતના વિકાસ માટેની વધુ સારી બ્લૂપ્રિન્ટ રજૂ કરી મતદારોનો વિશ્વાસ જીતી લેવો જોઇએ, પણ એવું રચનાત્મક પગલું ભરવાને બદલે તેણે મુખ્ય મંત્રી પર વ્યક્તિગત આક્ષેપોનો મારો ચલાવ્યો. દાખલા તરીકે જૂનાગઢ ખાતેની સભામાં પ્રદેશ કોંગ્રેસના વડાએ તેમને વાંદરા તરીકે ઓળખાવ્યા. મુખ્ય મંત્રીને રાવણ તથા ઉંદર પણ કહેવામાં આવ્યા, જ્યારે અગાઉ કોંગ્રેસે તેમને ૨૦૦૨ની સાલના હિટલરનો અને મૌત કા સોદાગરનો શિરપાવ આપેલો તે સૌને યાદ છે. (મુખ્ય મંત્રી ખુદ પણ બેએક વખત વિષયલક્ષીને બદલે વ્યક્તિલક્ષી આક્ષેપો કરી પ્રમાણભાન ચૂક્યા છે).

રોજગારી, સંતોષકારક જીવનધોરણ, રસ્તા, અવિરત વીજપુરવઠો, પાણી, સ્વાસ્થ્યવ્યવસ્થા વગેરેની અપેક્ષા રાખતા ગુજરાતના મતદારોને ‘હિટલર’ જેવાં લેબલો જોડે આખરે શી લેવાદેવા? મતદારોને તો ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ’ અર્થાત્ પરિણામલક્ષી વહીવટકર્તા હોય એવો નેતા મળવો જોઇએ. ઉપરાંત ચૂંટણી ટાંકણે આડેધડ રીતે આપી દેવાતાં આવાં લેબલોમાં વજૂદ કેટલું એ પણ નક્કી કરવું રહ્યું. દાખલા તરીકે હિટલર જોડે મુખ્ય મંત્રીને સરખાવતી વખતે એમ કહેવાયું કે તેમણે ૨૦૦૨ના ગોધરાકાંડ પછી લઘુમતી કોમ પર અત્યાચાર કરવા માટે હિટલરની જેમ છૂટો દોર આપતા હુકમો જારી કર્યા. હકીકતમાં એ વખતે જેમને તૈનાત કરાયેલા એ સેન્ટ્રલ રિઝર્વ પુલિસના તથા લશ્કરના જવાનોને આદેશ ફરમાવવાનો રાજ્યના મુખ્ય મંત્રીને અધિકાર નથી. માત્ર રાજ્યની પુલિસને તેઓ સૂચના આપી શકે છે. આમ છતાં રાજ્યનો પણ રખે એકાદ પુલિસ અફસર હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવાની સૂચના ન પાળે તો મુખ્ય મંત્રી તેને બરતરફ કરી શકે નહિ, જ્યારે હિટલર એવી ‘ગેરશિસ્ત’ બદલ મોતની સજા આપતો તે સૌ જાણે છે. જાણીતી વાત એ પણ છે કે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસીઓ નિર્દોષ શીખો પર તૂટી પડ્યા ત્યારે દિલ્હીનું પુલિસતંત્ર નિષ્ક્રિય રહ્યું અને કોંગ્રેસી ટોળાંએ ૭૨ કલાકમાં ૨,૭૦૦ શીખોને રહેંસી નાખ્યા.

આ દલીલને મુખ્ય મંત્રીની તરફેણનું બચાવનામું ગણી લેવાની જરૂર નથી, કેમ કે વાતનો કેંદ્રીય ધ્વનિ સાવ જુદો છે. ગુજરાતમાં છેલ્લાં દસ વર્ષ એકેય કોમી રમખાણ વગર શાંતિમય રીતે વીત્યાં છે, માટે ગોધરાના વિવાદને ભૂલી વિચારવાનું એ રહે કે ગુજરાતને કાર્યક્ષમ, સ્વચ્છ, વિકાસલક્ષી અને પારદર્શક વહીવટ આપી શકે તેવો રાજકીય પક્ષ કયો ? વીજપુરવઠો, જળવ્યવસ્થા, શૈક્ષણિક સુધારા, રસ્તાનું નેટવર્ક, બંદરવિકાસ, રોજગારીની તકો વગેરેને લગતી વધુ સારી બ્લૂપ્રિન્ટ કયા પક્ષ પાસે છે ? 

બ્લૂપ્રિન્ટના નામે ચૂંટણીઢંઢેરામાં થોકબંધ વાયદાઓ આપી દેવાય એ પૂરતું નથી, બલકે તે વહેવારુ હોવી જોઇએ અને જે તે પક્ષે આર્થિક દ્રષ્ટિકોણે તેનું અંકગણિત સ્પષ્ટ કરવું જોઇએ. આ વખતે ગુજરાત કોંગ્રેસે ૧૨મું ધોરણ પાસ કરી ચૂકેલા લાખો વિદ્યાર્થીઓને લેપટોપની ભેટનો અને મહિલાઓને ‘ઘરનું ઘર’ની ભેટનો વાયદો આપ્યો છે, પણ તે માટેના અબજો રૂપિયા ક્યાંથી આવવાના છે તેની સ્પષ્ટતા કરી નથી. ભાજપે પણ આક્ષેપબાજી પડતી મૂકી તેના વાયદાઓ અંગેનું સ્પષ્ટીકરણ આપવું જોઇએ.

Tuesday, November 27, 2012

ચીન સાથે ભારતનો વેપાર: કોણ ખાટ્યું, કોણ ખોટમાં ગયું?

થોડા દિવસ પહેલાં (ઓક્ટોબર ૨૩, ૨૦૧૨ના રોજ) રેડિઓ સ્ટેશન વિવિધભારતી પર એક ન્યૂઝ આઇટમ સાંભળવા મળી: વર્ષ ૨૦૧૧-૨૦૧૨ દરમ્યાન ભારત અને ચીન વચ્ચે કુલ ૭૪ અબજ ડોલરનો આયાતનિકાસ વેપાર થયો અને તે વેપારને આગામી બે વર્ષમાં હજી વધારીને ૧૦૦ અબજ ડોલરના આંકડે પહોંચાડવાની બેઉ દેશોએ મૌખિક સમજૂતી કરી છે.

આ ટૂંકા સમાચાર સાંભળ્યા પછી એક વિચાર સહજ રીતે મનમાં આવ્યો કે પોણોસો અબજ ડોલરના માતબર આંકડામાં ભારતના આખરે કેટલા ટકા ? અરુણાચલ પ્રદેશના મામલે ભારતને વારંવાર દમદાટી મારતા ચીન સાથે વેપારમાં ભારતને દમ જણાય છે ખરો ? અર્થાત્ તે ખાટે છે કે પછી ખોટમાં જાય છે ? જવાબ મેળવવા માટે થોડુંક રિસર્ચ કર્યું ત્યારે જે વાસ્તવિકતાઓ જાણવા મળી તેણે આખું ચિત્ર સ્પષ્ટ કરી દીધું. એક નજર તેના પર નાખવા જેવી છે.

ભારત અને ચીન વચ્ચે આયાત-નિકાસ વેપાર ઘણાં વર્ષથી ચાલે છે. પરંતુ છેલ્લાં એક દાયકામાં તે વેપારમાં જે ઉછાળો જોવા મળ્યો છે એવો અગાઉ ક્યારેય નોંધાયો નથી. દા.ત. ૨૦૦૧ની સાલમાં બન્ને દેશો વચ્ચે ૨.૯૨ અબજ ડોલરનો વેપાર થયો, જ્યારે આજે આંકડો ૭૪ અબજ ડોલરે પહોંચ્યો છે. આમ, દસેક વર્ષના ગાળામાં ૨૫૦૦ ટકાનો વધારો થયો. વેપાર બેઉ પક્ષે સમાન ધોરણે વધે તો સમજ્યા, પણ અહીં એવું નથી. આ રહ્યો તેનો દાખલો. ચીનની વિવિધ કંપનીઓએ વેપારઅર્થે ભારતમાં ગયે વર્ષે ૨૯.૮ કરોડ ડોલર રોક્યા. આની સામે ભારતે ચીનમાં કરેલું મૂડીરોકાણ કેટલું હતું ? પૂરા ૪૩.૨ કરોડ ડોલર ! જુદા શબ્દોમાં કહો તો ચીનના દર ૧૦૦ ડોલરના મૂડીરોકાણ સામે ભારતે ૧૪૫ ડોલરનું રોકાણ કર્યું. આટો વેચીને ગાજર ખાવાનો ધંધો છે, પણ એ બાબતે કેંદ્ર સરકાર સભાન હશે કે કેમ તે કોણ જાણે.

ચીન સાથેના આયાતનિકાસ વેપારમાં ભારતને પડી રહેલા આર્થિક ફટકાનો બીજો દાખલો જુઓ. ટ્રક અને બસ જેવાં ભારે વાહનો માટે ટાયર્સ બનાવતાં અનેક એકમો ભારતમાં છે અને તેમનું વાર્ષિક ઉત્પાદન ઘરેલુ માગને પહોંચી વળવા ઉપરાંત નિકાસવેપાર ચલાવી શકે એટલું છે. આમ છતાં ૨૦૦૨માં ભારતે ચીનની કેટલીક ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને અહીં વ્યાપારી મંજૂરી આપી. ચીની બનાવટનાં ટાયર્સ ડમ્પિંગના ધોરણે ભારતનાં બજારોમાં ખડકાવાં લાગ્યાં. ૨૦૦૩માં આવાં ૮૮,૦૦૦ ટાયર્સની આયાત થઇ અને ૨૦૦૮માં આંકડો વધીને ૧૨,૦૦,૦૦૦ થયો. ભારે વાહનોનાં ટાયર્સનું ૩૦% ભારતીય બજાર આજે ચીને આંચકી લીધું છે. આ ટકાવારી વધી રહી છે, કેમ કે સ્વદેશી ટાયર્સની તુલનાએ ચીનનાં આયાતી ટાયર્સ ૩૦% સસ્તા હોય છે.

ત્રીજો દાખલો ઇલેક્ટ્રિકલ મશીનરી તેમજ પૂરજાઓનો છે, જેને માટે ચીન પર ભારતની નિર્ભરતા દસેક વર્ષમાં પુષ્કળ વધી છે. (૨૦૦૧ના સંદર્ભે ૬૦૦૦% વધી છે). આના નતીજારૂપે બન્યું છે એવું કે ચીનથી આયાત કરવામાં આવતા માલમાં ૨૭% ફાળો ઇલેક્ટ્રિકલ મશીનરી તેમજ પૂરજાઓનો છે. ભારતના વિવિધ શહેરોમાં આવાં સ્પેરપાર્ટ્સ બનાવતાં સેંકડો એકમોને તાળાં લાગી ગયાં છે. ચીની માલ સામે હરીફાઇ કરીને થાકી ગયેલી એક જાણીતી કંપનીએ કેટલાંક વર્ષથી ટેબલ ફેન બનાવવાનું બંધ કર્યું છે. હવે તે ચીનથી આયાતી પંખાના પૂરજા મંગાવી તેમનું અસેમ્બલિંગ કરે છે. ચીન સાથે વ્યાપારી સંબંધો ખીલવ્યા પછી તેમજ તાજેતરનાં વર્ષોમાં તેને વિકસાવ્યા પછી મહારાષ્ટ્રમાં થાણે અને ભીવંડી ખાતેના ૬૦% ઔદ્યોગિક એકમોના કામધંધા ઠપ્પ થયા છે. ન ભૂલવું જોઇએ કે અમેરિકાએ ૨૦૦૧માં ચીન માટે વ્યાપારનાં દરવાજાં ખોલી દીધાં ત્યાર પછી તેની અનેક ઇન્ડસ્ટ્રીઝ પર ચીને કબજો જમાવ્યો અને કુલ ૧૮,૦૦,૦૦૦ અમેરિકનો ચીનના વાંકે પોતાના નોકરી-ધંધા ખોઇ બેઠા. આજે અમેરિકાનું અર્થતંત્ર ઘણે અંશે ચીનનું મોહતાજ છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

હવે ભારત તેના ટૂંકી દ્રષ્ટિના રાજકારણીઓના વાંકે અમેરિકાનું પુનરાવર્તન કરવા જઇ રહ્યું છે. ભારત-ચીન વેપારને હજી વધારીને આગામી બે વર્ષમાં તેનો આંકડો ૧૦૦ અબજ ડોલરના આંકડે પહોંચાડવામાં આર્થિક ફાયદો તો ચીનના પક્ષે જ છે, કેમ કે એ દેશમાંથી આયાત કરતા માલનું લિસ્ટ ભારત સતત વધારી રહ્યું છે. એક તરફ ચીન અરુણાચલ પ્રદેશ પર બોમ્બગોળા વરસાવવાની તૈયારી કરતું હોય ત્યારે સરકાર તેના માથે નાણાં કેમ વરસાવવા માગે છે એ સમજાતું નથી.