Vijaygupta Maurya

૧૯૦૯--૨૦૦૯
વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ



વિજયગુપ્ત મૌર્ય--જ્ઞાનવિજ્ઞાનનો ચલતોફિરતો જ્ઞાનકોશ

તારીખ તો બરાબર યાદ નથી, પણ વર્ષ ૧૯૫૭નું હતું. ભારતીય નૌકાદળનું યુદ્ધજહાજ INS રણજીત હિન્દી મહાસાગરમાં હંકારી રહ્યું હતું. મુંબઇથી મૂળ તો તે એડન જવા માટે નીકળેલું, પણ એડનમાં રોગચાળો ફાટી નીકળ્યાના સમાચાર મધદરિયે મળ્યા પછી જહાજે પૂર્વ આફ્રિકાની દિશા પકડી હતી. હવે તે કેન્યાના મોમ્બાસા બંદર તરફ આગળ વધી રહ્યું હતું. કાંઠો હજી કેટલાક કિલોમીટર દૂર હતો ત્યાં જહાજના વાયરલેસમાં મેસેજ ઝીલાયો. મેસેજ મોમ્બાસા બંદરેથી હતોઃ ‘આપના જહાજ પર વિજયગુપ્ત મૌર્ય નામના પત્રકાર હાજર છે? જો હોય તો એમને જાણ કરો કે તેઓને મળવા માટે અહીં ગુજરાતીઓની ભીડ જામી છે.’

‘નહિ, એ નામની કોઇ વ્યક્તિ અમારા જહાજ પર નથી!’ INS રણજીત પર ફરજ બજાવી રહેલા કોમોડર એસ. એમ. નન્દાએ પ્રત્યુત્તર આપ્યો. ‘અહીં એક જ પત્રકાર છે અને તેમનું નામ મિસ્ટર વાસુ છે, વિજયગુપ્ત મૌર્ય નહિ.’ નન્દાએ ફોનનું રીસિવર મૂક્યું.

આ સાંભળી કોમોડર નન્દાની બાજુમાં ઉભેલા પત્રકાર તરત બોલી ઉઠ્યા--‘એ હું જ છું... મારા વાચકો મને વિજયગુપ્ત મૌર્ય તરીકે ઓળખે છે.’

નન્દા આશ્ચર્ય પામી ગયા. સમુદ્રી પ્રવાસ દરમ્યાન મિસ્ટર વાસુ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરતી વખતે તેમના અસીમ જ્ઞાનનો પરચો નન્દાને બરાબર મળ્યો હતો. પરિણામે નન્દા એટલું તો જાણતા હતા કે મિસ્ટર વાસુ સામાન્ય પત્રકાર ન હતા. આમ છતાં કોઇ પત્રકારને મળવા માટે પારકા દેશમાં લોકમેદની જામે એ કોમોડર નન્દા માટે કલ્પના બહારની વાત હતી. થોડી વારે જહાજ મોમ્બાસા પહોંચ્યું ત્યારે તો નન્દાનું આશ્ચર્ય ઓર વધ્યું. મિસ્ટર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્ય જહાજમાંથી ઉતર્યા એટલે હારતોરા સાથે અનેક ગુજરાતીઓ તેમને ઘેરી વળ્યા. આ સૌ ગુજરાતીઓ મુંબઇથી પ્રગટ થતા અને પૂર્વ આફ્રિકામાં લગભગ ૨૨,૦૦૦ નકલોનો ફેલાવો ધરાવતા ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારના વાચકો હતા. સૌનો આનંદ એટલા માટે સમાતો નહોતો કે ‘પ્રવાસી’માં આખરી પાને ‘છેલ્લું પાનું’ શીર્ષક હેઠળ વર્ષોથી પીરસાતી જ્ઞાનવિજ્ઞાનની અદ્ભૂત વાંચનસામગ્રીના કલમબાજ વિજયગુપ્ત મૌર્યને નજરોનજર જોવાનો લહાવો તેમને મળ્યો હતો.

આ નાટ્યાત્મક પ્રસંગ આજે માનો યા ન માનો જેવો લાગે, પણ વિજયગુપ્ત મૌર્ય માટે આવાં પ્રસંગો પત્રકારત્વમાં તેમની સાડા ચાર દાયકા લાંબી કારકિર્દી દરમ્યાન ઘણી વખત આવ્યાં. હિમાચલ, સોહમ્, ચાણક્ય, મુક્તાનંદ વિશ્વયાત્રી, પંડિત કૌશિક શર્મા, વિ. મુ. વાસુ, ગોસ્વામી શ્રી વિજયરાયજી, વિજયતુંગ, વાચસ્પતિ, ઇન્દ્રધનુ, વસંતવિજય વગેરે કુલ ૧૭ ઉપનામોએ તેમણે ૧૯૪૫ થી ૧૯૯૧ સુધી અનેક સામયિકોમાં તેમજ અખબારોમાં જ્ઞાનવિજ્ઞાનનાં વિવિધ વિષયો પર હજારો લેખો આપ્યા. ખગોળશાસ્ત્ર હોય કે કીટકસૃષ્ટિ, પ્રાણીજગત હોય કે વનસ્પતિજગત, ભૂસ્તરશાસ્ત્ર હોય કે ભૌતિકશાસ્ત્ર, વિજયગુપ્ત મૌર્યની પકડ દરેક વિષય પર હતી. વળી મજૂબત હતી. જે તે વિષયમાં તેમનું પાંડિત્ય તો ખરૂં, ઉપરાંત અઘરામાં અઘરા વિષયને સરળ ભાષામાં રજૂ કરવાની અનોખી શૈલી તેમની પાસે હતી. આ બેઉ ખૂબીઓના સમન્વયે લાખો ગુજરાતી વાચકોને વિજયગુપ્ત મૌર્યની કલમના ચાહક બનાવ્યા હતા.

આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં માર્ચ ૨૬, ૧૯૦૯ ના રોજ વિજયશંકર મુરારજી વાસુ તરીકે પોરબંદરમાં જન્મેલા વિજયગુપ્ત મૌર્યએ માધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૩૩માં મુંબઇમાં વકીલાત ભણીને પોરબંદર પાછા ફર્યા અને વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો હોદ્દો સંભાળ્યો. મૂળ જીવ લેખકનો અને વળી પક્ષીદર્શનનો ભારે શોખ, એટલે પક્ષીઓ વિશે પોતાનું ઊંડું જ્ઞાન લેખોના સ્વરૂપે વ્યક્ત કરે અને તે લેખો ‘પ્રકૃત્તિ’ નામના સામયિકમાં નિયમિત રીતે છપાય.

માણસના જીવનમાં અમુક પ્રસંગો ટર્નંિગ પોઇન્ટ સાબિત થતા હોય છે. પોરબંદરના ન્યાયાધીશ વિજયશંકર વાસુને વખત જતાં વિજયગુપ્ત મૌર્ય બનાવવામાં નિમિત્ત બનેલો પ્રસંગ ૧૯૪૪માં આકસ્મિક રીતે જ બન્યો. થયું એવું કે મુંબઇમાં ગોરી સરકાર સામે આઝાદીની લડત ચલાવી રહેલા ડૉ. વસંત અવસરે નામના ક્રાંતિકારી સાથે વિજયશંકરનો ભેટો થયો. બ્રિટિશ સરકાર સામે ‘આંદોલન’ કર્યાના આરોપસર અવસરે અને તેમના સાથીદારોના નામે મુંબઇમાં અરેસ્ટ વૉરન્ટ જારી થયું હતું, એટલે ગિરફ્તારીથી બચવા એ ક્રાંતિકારી ડૉક્ટર મુંબઇથી નાસતા છૂપાતા પોરબંદર પહોંચ્યા હતા. વિજયશંકર વાસુને તેમણે પોતાનો કેસ લડવા વિનંતી કરી ત્યારે જવાબ મળ્યો, ‘ચિંતા નહિ કરો. તમારો કેસ હું લડીશ.’ ન્યાયાધીશ હોવાના નાતે જો કે એવું તેઓ કરી ન શકે, એટલે જજના મોભાદાર પદેથી તેમણે રાજીનામું આપ્યું. સામાન્ય વકીલની રૂએ ડૉ. અવસરેનો કેસ (વિનામૂલ્યે) લડવા માટે મુંબઇ ગયા અને અવસરેને ન્યાય અપાવ્યો.

આ બનાવે વિજયશંકર વાસુની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ ભલે મૂકી દીધું, પણ બીજી તરફ તેમનામાં રહેલા લેખકજીવને બેઠો કરી દીધો. મુંબઇમાં વસી જવાના નિર્ણય સાથે ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને માત્ર રૂા.૭૫ ના પગારે વિજયશંકર ટાઇપિસ્ટ તરીકે જોડાયા. આર્થિક સંઘર્ષ થકવનારો હતો. આમ છતાં તેમણે પોતાનો લેખનશોખ જીવંત રાખ્યો અને ‘પ્રકૃત્તિ’ સામયિકમાં લેખો આપતા રહ્યા. કેટલાંક વર્ષ બાદ મુંબઇના પ્રતિષ્ઠિત ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબાર સાથે જોડાવાનો તેમને મોકો મળ્યો અને વિજયગુપ્ત મૌર્યના નામે તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’ના અંતિમ પાને ‘છેલ્લું પાનું’માં પ્રાણીપંખીનાં લેખો આપવાનું શરૂ કર્યું. લેખોની સંખ્યા અને સાઇઝ શરૂઆતમાં સીમિત રહી, પરંતુ વખત જતાં બ્રહ્માંડ, વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, વનસ્પતિજગત વગેરે વિષયોને લગતાં વૈવિધ્યપૂર્ણ લેખો વિજયગુપ્ત મૌર્યની કલમે લખાતા ગયા તેમ ‘છેલ્લું પાનું’માં તેમને વધુ ને વધુ મહત્ત્વ અપાતું ગયું અને વિજયગુપ્ત મૌર્ય છેવટે આખા પાનાનું લેખનસંપાદન કરતા થયા. ૧૯૭૩ ના અરસામાં ‘જન્મભૂમિ પ્રવાસી’ છોડ્યા પછી તેઓ ફ્રી લાન્સ પત્રકાર તરીકે અખબારોમાં તેમજ સામયિકોમાં માહિતીસભર લેખો આપવા લાગ્યા. દરમ્યાન ‘શેરખાન’, ‘કપિનાં પરાક્રમો’, ‘સિંહ વાઘની સોબતમાં’, ‘શિકારીની તરાપ’, ‘કીમિયાગર કબીર’, ‘હાથીના ટોળામાં’, ‘કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ’, ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’, ‘ઝગમગતું ઝવેરાત’, ‘સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ’, ‘પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ’, ‘જિંદગી જિંદગી’ વગેરે પુસ્તકો પણ લખ્યાં.

ગુજરાતી પત્રકારત્વમાં લગભગ ૪૬ વર્ષની લાંબી કારકિર્દી ભોગવવા છતાં વિજયગુપ્ત મૌર્ય આર્થિક રીતે કદી બે પાંદડે થઇ ન શક્યા. ભારે મહેનતે તૈયાર કરાયેલા અકેક માહિતીસભર લેખનું યોગ્ય આર્થિક વળતર તેમને પ્રકાશકો તરફથી કદી મળ્યું નહિ. વળી ઊંચા વળતરની તેમણે કદી આશા કે અપેક્ષા રાખી પણ નહિ, એટલે જે મળ્યું તેનાથી સંતોષ માની સાદગીભયુર્ં જીવન તેમણે વીતાવ્યું. ગુજરાતી વાચકોને કંઇક નવું, રસાળ અને જ્ઞાનવર્ધક લખાણ પીરસવાની નેમ સાથે તેમણે કલમ ઉઠાવી હતી અને તે નેમને આજીવન તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. પાછલી ઉંમરે આંખોનું તેજ ઘટવા છતાં, કમરનો દુખાવો એકધારો રહેતો હોવા છતાં અને પાર્કિન્સનનો અસાધ્ય રોગ લાગૂ પડ્યો હોવા છતાં તેમણે પોતાની કલમનું તેજ ઝાંખું પડવા દીધું નહિ. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લેખનકાર્યમાં વ્યસ્ત રહ્યા. લાંબી માંદગી બાદ જુલાઇ, ૧૯૯૨માં તેમણે વિદાય લીધી અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો અજોડ દાખલો બેસાડતા ગયા.

જ્ઞાનવિજ્ઞાનની જે કેડી વિજયગુપ્ત મૌર્યએ કંડારી એ કેડીને તેમના પુત્ર નગેન્દ્ર વિજયે પણ કારકિર્દી તરીકે પસંદ કરી. પિતાની જેમ જ્ઞાનવર્ધક અને લોકોપયોગી સાહિત્ય પીરસવા માટે જ પત્રકારત્વ ચલાવવાની નેમ સાથે નગેન્દ્ર વિજયે (૧૪ વર્ષની વયે) કલમ ઉઠાવી અને ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં અભૂતપૂર્વ સામયિકો ગુજરાતને આપ્યાં. આ બેય સામયિકોએ વિજ્ઞાન જેવા અઘરા જણાતા વિષયમાં સરેરાશ ગુજરાતી વાચકને ઊંડો રસ લેતા કરી દીધો એને નગેન્દ્ર વિજયની સિદ્ધિ ગણવી રહી. નગેન્દ્ર વિજયે તેમની રસાળ કલમ વડે નવી પેઢીની વિચારશૈલી બદલી છે અને તેમના મગજમાં ચાલતી થોટ પ્રોસેસને ટૉપ ગિઅરમાં નાખી છે. પ્રત્યક્ષ રીતે તેમનાં જીવન બદલ્યાં છે. જુદી રીતે કહો તો સમાજલક્ષી તેમજ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ ચલાવવાના ઉચ્ચ સંસ્કારોનો પિતાએ આપેલો વારસો પુત્રએ બરાબર જાળવ્યો.

આ લખનારે આજથી અઢારેક વર્ષ પહેલાં ‘સફારી’ના કાર્યાલયમાં પાર્સલો સીવવાના કાર્ય સાથે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એક સંકલ્પ કર્યો હતો--ગમે તે ભોગ આપવો પડે, પણ જ્ઞાનવિજ્ઞાનનો શક્ય એટલો વધુ ફેલાવો કરવો. આ સંકલ્પના અન્વયે તમામ આર્થિક હિતો ભૂલીને ‘સફારી’ને એક ઝૂંબેશ તરીકે ચલાવ્યું, અંધજનો માટે ‘સફારી’ની શ્રાવ્ય આવૃત્તિ પ્રગટ કરી, ઇન્ટરનેટ પર ‘સફારી’ની વેબસાઇટ આરંભી અને અંગ્રેજી ભાષામાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કર્યું.

અલબત્ત, વાત ત્યાં પૂરી થતી નથી. હજી ઘણું કરવાનું બાકી છે. વિજયગુપ્ત મૌર્યની કલમે લખાયેલું સાહિત્ય પુસ્તક સ્વરૂપે આજની તેમજ આવતી કાલની પેઢી સુધી પહોંચતું કરવું છે; ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કરવું છે, જેથી નગેન્દ્ર વિજય લિખિત જ્ઞાનવિજ્ઞાનના લેખો ભારતભરમાં પ્રાદેશિક લેવલે પહોંચી શકે અને વખત આવ્યે ગુજરાતમાં ક્યાંક ‘નગેન્દ્ર વિજય સાયન્સ સેન્ટર’ સ્થાપવું છે, જેથી નવી પેઢીમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવી શકાય.

આ બધી મારી ઇચ્છાઓ નથી, બલકે નેમ છે. સંકલ્પ છે. કલમયોગી પત્રકાર વિજયગુપ્ત મૌર્યના પૌત્ર હોવાના નાતે એમ કરવું મારી ફરજ પણ છે.

Comments

  1. વિજ્ઞાન જેવા કંટાળા જનક વિષયને સરળ શૈલીમાં રજુ કરી અને આમ પણ વાચનનો કંટાળો ભોગવતા ગુજરાતી સમાજને વાચતા કરવા બદલ તેઓ ને શત-શત વંદન અને તે વારસો આગળ વધારવા બદલ આપનો ખુબ-ખુબ આભાર.

    ReplyDelete
  2. NAMASKAR,
    HARSHAL BHAI,

    AKHIL BHARTIYA VIDYARTHI PARISHAD -KARNAVATI MAHANAGAR dwara vidyarthi o na vyaktitva na vikas mate ek vyaktitva vikas shibir nu ayojan karvama aavyu chhe.aap aa karyakram ma udghatak tarike padharo tevi amari sahuni apeksha chhe.
    short notice par aapne bolavi rahya chhie pan jo aap aavsho to vidyarthio ne prerna mali raheshe.

    date:11-4-2009 time:9-15am to 10-00am
    place: M J LIBRARY HALL

    ABVP
    KARNAVATI MAHANAGAR
    CONT. NO. : 9427614723
    kkshah1981@yahoo.co.in

    ReplyDelete
  3. I've created Wikipedia page for Vijaygupta Maurya at http://en.wikipedia.org/wiki/Vijaygupta_Maurya using information in this article. It will be great if you could add any more information to keep memories of this great soul alive.

    Thanks.

    PS: I'm still working on Wikipedia article for my favorite author Nagendra Vijay however I just can't find enough information. It will be great if you could contribute to this article at http://en.wikipedia.org/wiki/Nagendra_Vijay.

    ReplyDelete
  4. Thank you for creating a page dedicated to Vijaygupt Maurya. You can find more about him on this page http://harshalpushkarna.blogspot.com/search/label/Vijaygupt%20Maurya

    I have plenty of materials/articles on Vijaygupt Maurya's and Nagendra Vijay's lives and times. However, most of them are in printed form. Meanwhile, you can visit Urvish Kothari's blog for information on Nagendra Vijay.

    ReplyDelete
  5. kharekhar harshal bhai aje lekh vanchya pachhi khyal avyo ke tame nagendrabhai na dikara chho. ane biju ke hu safari niyamit vanchu chhu. khub maja vae chhe

    ReplyDelete
  6. આપના દાદાનો પરિચય અહીં પ્રકાશિત કર્યો છે.

    http://sureshbjani.wordpress.com/2013/02/05/vijaygupta-maurya/
    સુધારા,વધારા, ફેરફાર સૂચવશો તો ગમશે.એમનો ચહેરો સરસ રીતે દેખાય તેવો - બને તો કલરમાં ફોટો આપવા વિનંતી.

    ReplyDelete
    Replies
    1. Thank you!
      A small correction નગેન્દ્ર વિજય instead of નાગેન્દ્ર વિજય.
      Unfortunately, I do not have colour photo of dadaji. The best suitable photo I had with me was published on this blog.

      Delete
  7. I've read a serial story of blast in mumbai harbor. I've forgotten the name of Publication & Title of a story, also I presume that was written by your Grand father. I wanted that book badly since I've started buying one from my first payment. but unfortunately neither I come to know author/ publication or name of the book. If you know that was written by your grandfather please share detail with me. My id: kalpeshpandya64@yahoo.co.in, kalpesh.ozone@gmail.com
    Regard
    Kalpesh Pandya

    ReplyDelete
  8. Hi im NIRAV
    i want buy the books like કાશ્મીરનું અગ્નિસ્નાન, કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ, સરકસ જીવનના જીવ સટોસટનાં સાહસો, સમુદ્રની સાહસકથા So please tell me where to buy these books or pls contact on 7383977981

    ReplyDelete
  9. Three generations of effort behind success of Safari, that's really the blessing to Gujarati people by God. It covers almost every aspect of life and universe in the most simplistic and understandable way. I wish if the acedamic contents would be avilable with that much simplicity and interest. Thanks for publishing story of the Pioneer Vijaygupta Maurya.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog