સંપાદકનો પત્ર

'સફારી' June, 2009

તાકીદે જોઇએ છે--ભારતનું ભાવિ બદલી શકતું નવું રાજ્યબંધારણ

આજથી ૬૨ વર્ષ પહેલાં લગભગ પ૬પ દેશી રાજરજવાડાંને એક ગાંસડે બાંધીને ભારત નામના અખંડ દેશનું સર્જન કરવામાં આવ્યું હતું. નાના-મોટા રાજ-રાજવીઓ સાથે રાજકીય વાટાઘાટો કરવામાં આશરે ૭૩ દિવસ વીતાવ્યા બાદ સરદાર પટેલે પ૬પ ચિભડાંનો સંયુક્ત ભારો બાંધ્યો ત્યારે જઇને ભારતમાં લોકશાહી સ્થપાઇ અને લોકશાહીની લગામ દેશના વડા પ્રધાન પંડિત નેહરુને સોંપવામાં આવી. બાંસઠ વર્ષ પછી આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. અલબત્ત, સહેજ જુદી રીતે. રાજરજવાડાં નહિ, પણ કુલ ૧૬ રાજકીય પક્ષો એક ગાંસડીએ બંધાયા છે. યુ.પી.એ. નામની તે ગાંસડી ફરી વડા પ્રધાન મનમોહન સિંહના કાંધે નાખવામાં આવી છે. આ પુનરાવર્તન જો કે પહેલી વારનું નથી. કેન્દ્રમાં ભેલપૂરી જેવી મિશ્ર સરકારો આપણને છેલ્લાં કેટલાંય વર્ષથી મળતી રહી છે. આ વખતે પણ મળી તેનું કારણ એ કે ભારતીય રાજ્યબંધારણના ખાટલે જ ખોડ રહી જવા પામી છે. જાન્યુઆરી ૨૬, ૧૯પ૦ના રોજ અમલી બનેલું રાજ્યબંધારણ આજના (તેમજ આવતી કાલના) અનિશ્ચિત તેમજ અસ્થિર રાજકીય સંજોગો વચ્ચે ધાર્યું કામ આપી શકે તેમ નથી. બ્રિટિશ સંસદીય લોકશાહીનું બંધારણ ભારતે (નજીવા ફેરફારો સાથે) અપનાવી લીધું એ કદાચ ખોટું થયું છે. બ્રિટનને તેનું બંધારણ એટલા માટે ફાવ્યું કે એ દેશ નાનો છે અને પ્રજા લગભગ સમાનધર્મી છે. સમાન જાતિની પણ છે. બ્રિટનમાં ધર્મના કે નાત-જાતના ધોરણે મતદારોને અલગતાવાદી જૂથોમાં વહેંચી શકાતા નથી.

બીજી તરફ ભારતનાં ૨૮ રાજ્યોને એકબીજા સાથે કોઇ વાતે સામ્ય નથી. દેશભરમાં હજારો ધર્મો-સંપ્રદાયો છે, આઠસોથી વધુ ભાષાઓ-બોલીઓ બોલાય છે અને નાત-જાત મુજબ લોકોની રહેણીકરણીમાં તેમજ વિચારસરણીમાં હદપારનું વૈવિધ્ય છે. આ પરિસ્થિતિએ ધર્મના, પ્રાન્તના તેમજ જાતિવાદના નામે દેશમાં હજારો રાજકીય પક્ષોને જન્મ આપ્યો છે. જાતિ-ધર્મની ધરી પર રચાયેલો દરેક પક્ષ પોતપોતાની અલાયદી વૉટબૅંક ધરાવે છે. મતલબ કે મતદારોના એક મોટા અને ચોક્કસ વર્ગને તે પોતાની છાબડીમાં ખેરવી લે છે. દેશભરમાં મતોનું વિભાજન એટલી હદે થાય છે કે કેન્દ્રમાં કોઇ એકાદ પક્ષ કદી ફાવી શકતો નથી અને સ્પષ્ટ બહુમતીની સરકાર રચી શકતો નથી. ચિભડાંની ભારી જેવી મિશ્ર સરકાર બને છે, જેને માટે આપણા બંધારણમાં કોઇ ચોક્કસ ધારાધોરણો નથી. વડા પ્રધાનની તેમજ પ્રધાનમંડળની નિમણૂંક કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને બંધારણે ૭૫(૧) મી કલમ હેઠળ આપ્યો છે, પરંતુ મિશ્ર સરકારના વડા પ્રધાન તરીકે જે તે વ્યક્તિને પસંદ કરતી વખતે કયાં ધોરણો પાળવાં તે અંગે બંધારણ મૌન છે. મિશ્ર સરકાર રચાયા પછી વડા પ્રધાનને સંસદ પ્રત્યે જવાબદાર ઠેરવતી બંધારણની ૭૮મી કલમ વહેલી મોડી નડતરરૂપ બને. આ કલમ મુજબ વડા પ્રધાનમાં અને તેમના પ્રધાનમંડળમાં સંસદનો વિશ્વાસ હંમેશાં બરકરાર રહેવો જોઇએ. બીજી તરફ લઘુમતી સરકાર માટે એ શક્ય નથી. વળી કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના વિરોધી પક્ષો જે તે રાજ્યમાં સરકાર રચીને બેઠા હોય તે ભારતીય લોકશાહીમાં માન્ય છે. પરિણામે વિવિધ રાજ્યોમાં વિરોધ પક્ષની સરકારો પર કેન્દ્રમાં શાસક પક્ષનો કશો કમાન્ડ યા કન્ટ્રોલ રહેતો નથી.

ભારતે સંસદીય બંધારણ તજીને પ્રમુખ પદ્ધતિનું નવું બંધારણ ઘડી કાઢવું જોઇએ, કેમ કે વર્તમાન બંધારણને વળગી રહેવામાં આવે ત્યાં સુધી લોકસભાની ચૂંટણીનું કશું મહત્ત્વ રહેતું નથી. દેશના વડા પ્રધાનની પસંદગી પ્રજા પોતાના મતો વડે કરી શકતી નથી. જે પક્ષને મત આપવાનું તેણે ટાળ્યું હોય એ પક્ષ ક્યારેક મિશ્ર સરકાર તરીકે તેના પર બળજબરી ઠોકી બેસાડાયો હોય છે. ખરેખર તો વિવિધતામાં એકતાનું સૂત્ર આજના રાજકીય સંજોગોમાં પોકળ સાબિત થયું છે, કેમ કે ધર્મવાદ, પ્રાન્તવાદ તેમજ જાતિવાદ તરફ ઢળી ગયેલા રાજકારણને પાપે દેશની રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતા જોખમમાં મૂકાઇ રહી છે. આજે ભારતનું દરેક રાજ્ય પોતપોતાનો રાજકીય ચોકો રચીને બેસી ગયું છે. દિલ્હીમાં મિશ્ર સરકાર સાથે તેને બારમો ચંદ્રમા છે. આ રાજકીય અંધાધૂંધીના માહોલમાં ભારતના પણ હાલ સોવિયેત રશિયા જેવા થાય અને પ૬પ રાજ-રજવાડાં વડે બનેલો અખંડ દેશ વળી પાછો નાના-મોટા ટુકડાઓમાં વહેંચાઇ જાય તો નવાઇ નહિ.

Comments

  1. બંધારણ એ દેશમાં કાયમ વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે! આજે તો સ્થિતિ એવી છે કે આપડે બંધારણની કોઈ વાત વર્તમાન સમયમાં લાગુ પડી શકે એમ નથી એવું કહીએ તો દેશ વિરોધી - ડોક્ટર આંબેડકર વિરોધી ગણી જાઈએ! એક તો બંધારણમાં કેટલીક જોગવાઈઓ હવે લાગુ પાડી શકાય એમ ન હોય અને એમાં પાછુ બધા પોતાની ઈચ્છા પ્રમાણે અર્થઘટન શરુ કરે એમાં બંધારણ સાવ ગરીબડું બની જાય છે. દર થોડા સમયે બંધારણ બદલવું જોઈ અથવા તેમાં ફેરફારો થવા જોઈએ એવી માંગ ઉઠતી રહેતી હોય છે! પણ ખરેખર બંધારણને કાર્યક્ષમ્ બનાવવા માટે ઈચ્છાશક્તિથી વધારે કોઈ બાબતની જરૂર છે ખરાં? થોડા સમય પહેલા એક સ્ટોરી માટે કેટલાક બંધારણ નિષ્ણાતો સાથે વાત થઇ હતી.
    ગુજરાત હાઈ કોર્ટના નિવૃત મુખ્ય ન્યાયમૂર્તિ બિપીનચંદ્ર જીવનલાલ દીવાને કહ્યું કે, 'ફેરફાર કરવા કરતાં તેનું ખોટું અને મન ફાવે એમ થતું અર્થઘટન અટકવાની જરૂર છે. જેમ કે બંધારણમાં સમાનતાના સીદ્ધાન્તી વાત છે પણ એ માટે અનામતની રાજનીતિ ખેલવાની વાત નથી. અર્જુનસિંહે મત મેળવવા માટે બંધારણના લીરેલીરા કાર્ય હતા. મંત્રીશ્રી અનામતના જોરે ઠોઠ વિદ્યાર્થીને માત્ર જ્ઞાતિના આધરે વિદ્વાન બનાવવા માંગતા હતા! એવું કંઈ કરવાનું બંધારણમાં લખ્યું નથી.'
    એ રીતે કાયદા નવા નવા બન્યા કરે પણ અમલ તો સરકારી રાહે જ થાય ને! અને પાછા કેટલાક મહાન કાયદા કાસાબ જેવા દેશને કરિયાવરમાં મળ્યો હોય એવી જેની સરભરા થતી હોય એવા આતંકવાદી- આરોપીને છટકબારી પૂરી પાડે છે. પૂર્વ સોલીસીટર જનરલ સોલી સોરાબજી કહે છે કે કાયદામાં અત્યારે એવી જોગવાઈ છે કે આરોપીનું બયાન તેના ગુનાનો પુરાવો ન ગણી શકાય (એટલે કાસાબ એમ કહે કે હું આતંકવાદી છું ને મુંબઈ માં લોકોના જીવ મેં લીધા છે વગેરે વગરે તો એ માન્ય ન ગણાય!) પણ એના સાંયોગિક પુરાવા (એટલેકે કોઈ સાક્ષી, જાત જાતના ટેસ્ટ, તેની પાસેથી મળેલી સામગ્રી, વગેરે) ભેગા કરવા પડે! (એ બધું ચાલે છે એટલે કસબના કેસનો અંત પણ ધૂમકેતુની પૂછડીની જેમ લંબાયા કરશે)
    જો કાયદામાં આરોપીના બયાનને જ પુરાવો ગણવાની જોગવાઈ હોય તો કસબને કેસ શરુ થાય એની ૨-૩ કલાકમાં જ ફાંસીનો નિર્ણય આપી શકાય.' એ રીતે આતંકવાદીઓ માટે જરા કડક સાબિત થયેલો પોટા નામનો કાયદો પણ સરકારે હટાવી દીધો છે. એક રીતે આતંકવાદીઓને મોકલું મેદાન આપ્યું છે!
    એન્ટી કરપ્શન લોમા એવી જોગવાઈ છે કે તમારી કુદરતી આવક કરતાં તમારી પાસે વધુ સંપતિ હોય તો તમે ભ્રષ્ટ છો એમ એમ માની લેવામાં આવે. જો આ કાયદાનો અમલ થાય તો કેટલાં રાજકારણીઓ સલવાઈ જાય? એ દેશની ખાજો દયા....

    ReplyDelete
  2. Pity the nation
    સાથીઓ એ દેશની ખાજો દયા !
    Pity the nation that is full of beliefs and empty of religion.
    દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
    જ્યાં ધરમનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
    Pity the nation that wears a cloth it does not weave and eats a bread it does not harvest.
    સૂત સફરાં અંગ પે-પોતે ન પણ કાંતે-વણે,
    જયાફતો માણે-ન ભૂમિપાક પોતાનો લણે,
    લોક જે દારૃ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
    વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી !
    Pity the nation that acclaims the bully as hero,
    and that deems the glittering conqueror bountiful.
    રંગ છે બહાદૂર ! બિરદાવી ફુલેકે ફેરવે,
    જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકના ટેરવે.
    ને દમામેં જીતનારાને ગણે દાનેશરી
    હાય, એવા દેશના જાણો ગયા છે દી’ ફરી !
    Pity a nation that despises a passion in its dream,
    yet submits in its awakening.
    ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળા,
    જીંદગીમાં એ પિશાચીના પછી ચાટે તળાં
    મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ના મૂક્તાં,
    એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં,
    Pity the nation that raises not its voice
    save when it walks in a funeral,
    boasts not except among its ruins,
    and will rebel not save when its neck is laid
    between the sword and the block.
    માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
    એ વિના જે હરફ હોઠે કાઢતાં યે થરથરે !
    જાણજો એ લોકને કાજે રહ્યા છે છાજિયાં-
    દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
    Pity the nation whose statesman is a fox,
    whose philosopher is a juggler,
    and whose art is the art of patching and mimicking
    લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા
    ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
    નામ કૂટીને કળાનું થીગડાં મારી ફરે,
    જ્યાં જુવાનો નકલ નખરામાંય ફિસિયારી કરે !
    Pity the nation that welcomes its new ruler with trumpeting,
    and farewells him with hooting,
    only to welcome another with trumpeting again.
    નવા રાજાને કહે વાજાં વગાડીને: જિયો !
    જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે: હૂડિયો !
    ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
    એ જ નેજા ! એ જ વાજાં ! એ જ ખમ્મા, વાહ વા !
    Pity the nation whose sages are dumb with years
    and whose strongmen are yet in the cradle.
    જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
    દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
    મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
    જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
    ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
    ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા !
    Pity the nation divided into fragments,
    each fragment deeming itself a nation.”
    જાણજો, એવી પ્રજાના પુણ્ય પરવારી ગયાં,
    દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા !
    ― Kahlil Gibran, The Garden of The Prophet
    ~ભાવાનુવાદ મકરંદ દવે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya