જ્ઞાનવિજ્ઞાનના વાચસ્પતિ રવજીભાઇ સાવલિયા (જૂન ૧, ૧૯૪૬--જૂન ૬, ૨૦૦૭)

ભણ્યા વિના કોઇનો ઉદ્ધાર નથી, પરંતુ માત્ર ભણતરથી કોઇનો ઉદ્ધાર થતો નથી એ પણ હકીકત છે. જીવનમાં કોઠાસૂઝ, ગણતર અને આત્મવિશ્વાસ ભણતર કરતાંય વધુ જરૂરી છે. આ વાતની તાદ્રશ પ્રતીતિ જેમણે વખતોવખત કરાવી તે રવજીભાઇ સાવલિયાની આજે બીજી પૃણ્યતિથિ છે. માત્ર મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા છતાં ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, જીવજગત, ઇતિહાસ, ધર્મપુરાણો, ફિલોસોફી વગેરે જેવા અનેકવિધ વિષયો પર તેઓ ટુ-ધ-પોઇન્ટ તેમજ ક્યારેક જે તે વિષયના તજજ્ઞને ઝાંખા પાડી દે તેટલું જ્ઞાન ધરાવતા હતા. આ જ્ઞાનીપુરુષનું ટૂંકું છતાં નવી પેઢી માટે પ્રેરણાદાયક જીવનચરિત્ર આજથી બે વર્ષ પહેલાં ‘સફારી’માં સંપાદકના પત્ર હેઠળ લખ્યું હતું, જેને અહીં બ્લોગના વાચકો માટે ફરી રજૂ કરૂં છું.
---------
ગુજરાતની એક સ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે થોડા વખત પહેલાં સામાન્ય જ્ઞાનની જાહેર પ્રશ્નોત્તરી યોજાઇ. વિદ્યાર્થીઓ જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછતા ગયા અને તેમની સામે બિરાજેલા વિદ્વાન દરેક સવાલના મુદ્દાસર અને સંતોષકારક જવાબ આપતા રહ્યા. લાંબી ચર્ચા થઇ એ પછી એક વિદ્યાર્થીએ સવાલ કર્યો--‘સાહેબ, તમે કેટલું ભણ્યા છો ?’

‘કંઇ જ નહિ, અંગૂઠાછાપ !’ સામેથી જવાબ મળ્યો.

‘એ ન બને.’ વિદ્યાર્થીએ કહ્યું. ‘ભણેલો વ્યક્તિ ન હોય એનામાં જ્ઞાનવિજ્ઞાનના અમારા દરેક સવાલના સચોટ જવાબ આપવાની ક્ષમતા હોય જ નહિ.’


‘કેમ ?’ વિદ્ધાને સામો સવાલ કર્યો. ‘તમે એવું શા માટે ધારી લો છો કે આપણે સ્થાપેલી સ્કૂલ-કોલેજો કે યુનિવર્સિટીના પગથિયાં જે ચડે એને જ ભણેલો વ્યક્તિ કહી શકાય ?’

મગજમાં અગાધ જ્ઞાન સમાવ્યું હોવા છતાં જાહેરમાં પોતાને કોઇ પણ જાતના શરમસંકોચ વિના ‘અંગૂઠાછાપ’ તરીકે ઓળખાવનાર એ વિદ્વાન હતા રવજીભાઇ સાવલિયા. અમરેલી જિલ્લાના બાબાપુર ગામમાં મેટ્રિક સુધી તેઓ ભણ્યા હતા, પણ વિજ્ઞાનના વિવિધ વિષયો પર તેમનું જ્ઞાન તજ્જ્ઞની કક્ષાનું હતું. આ જ્ઞાનને પ્રેક્ટિકલ રીતે અમલમાં મૂકી તેમણે સમાજલક્ષી શોધસંશોધનો કર્યાં. જુદી રીતે કહો તો વિજ્ઞાન અને ટેક્નોલોજિને ગામડાંના સામાન્ય લોકો સુધી તેમણે પહોંચતા કર્યા.

ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્રનાં ગામનાં ઘરોમાં સ્ત્રીઓને પરંપરાગત વલોણાં વડે રોજિંદા ધોરણે છાશ તૈયાર કરવામાં પડતા અડધાપોણા કલાકના શારીરિક કષ્ટને હંમેશ માટે નાબૂદ કરી દેતા યાંત્રિક વલોણાં રવજીભાઇએ ૧૯૭૨-૭૩ના અરસામાં બનાવ્યાં. ભારતનાં એ સંભવતઃ પહેલવહેલાં ઇલેક્ટ્રિક વલોણાં હતાં, જેમનાં થકી સાતેક મિનિટમાં છાશ તૈયાર કરી શકાતી હતી. સૌરાષ્ટ્રના સેંકડો ગામોની સ્ત્રીઓ માટે રવજીભાઇનાં સાવલિયાબ્રાન્ડ વલોણાં આશીર્વાદરૂપ સાબિત થયાં.


બીજું ઉદાહરણ--શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનોમાં હવા ભરવાના ઍર ફિલિંગ મથકો ઠેર ઠેર ન હોય. પરિણામે સાયકલના, ઊંટગાડીના તેમજ ટ્રેક્ટરના ટાયરોમાં હવા ભરવા માટે લોકોએ વખતોવખત દૂર સુધી ભટકવું પડે. રવજીભાઇના ગામ બાબાપુરમાં પણ એ જ સ્થિતિ હતી. વાહનોનાં ટાયરોમાં હવા ભરવાની સુવિધા ત્યાં નહોતી, એટલે લોકોએ બાજુના ગામમાં હવા ભરાવવા જવું પડતું હતું. ક્યારેક તો છેક અમરેલી સુધીનો ધક્કો ખાવો પડતો હતો. આ મામૂલી સમસ્યાનો તોડ રવજીભાઇએ ૧૯૮૨ના અરસામાં વાહનોમાં હવા ભરવાના ફૂટપંપ બનાવીને કાઢ્યો. સાયકલથી માંડીને ટ્રક સુધીના ગમે તે વાહનના ટાયરમાં એ ફૂટપંપ વડે બહુ સરળતાથી હવા ભરી શકાતી હતી, એટલે ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો સાવલિયાબ્રાન્ડ ફૂટપંપ ક્રાંતિકારી ઉપકરણ સાબિત થયો. આ લોકોપયોગી શોધ કરવા બદલ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે ૧૯૮૪માં રવજીભાઇને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યોગ રત્નના ખિતાબ વડે સન્માનિત કર્યા.
રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહના હસ્તે ઉદ્યોગરત્નનો ખિતાબ સ્વીકારતા રવજીભાઇ

યાંત્રિક વલોણાં અને ફૂટપંપ તો માત્ર બે ઉદાહરણો છે. વિજ્ઞાનને કેન્દ્રસ્થાને રાખી સમાજ માટે રવજીભાઇએ જે શોધસંશોધનો કર્યાં તેના ફળસ્વરૂપે સમાજને બીજાં ઘણાં ઉપકરણો તેમજ આઇડિયા મળ્યા છે. ઓછી વીજળીએ વધુ અનાજ દળી દેતી મોનોબ્લોક ઘરઘંટી, વર્ષેદહાડે ગુજરાતને વીજબચતના નામે બારેક કરોડ રૂપિયાનો ફાયદો કરાવી દેતી હીરા ઉદ્યોગ માટેની ઇલેક્ટ્રિક સગડી, આશરે ૭૮% વીજબચત કરતો ડાયમંડ પોલિશિંગ લેથ, ખંભાતમાં અકીક ઉદ્યોગના કારીગરોને અકીકની રજોટીના વાંકે થતા સિલિકોસિસના પ્રાણઘાતક રોગમાંથી છૂટકારો આપતું અકીક ગ્રાઇન્ડિંગ મશીન, ઓઇલરહિત ઍર કોમ્પ્રેસર વગેરે સાધનો રવજીભાઇના ફળદ્રુપ મગજની ઉપજ હતાં.

વિજ્ઞાન ક્ષેત્રે રવજીભાઇનું સંશોધન વળી એકાદ ઉપકરણની નવરચના સુધી સીમિત નહોતું. ઊર્જાની તેમજ પાણીની બચત માટે પણ તેમણે અનેક પ્રયાસો કર્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં તેમણે કૃત્રિમ વરસાદના સફળ પ્રયોગ કરી દેખાડ્યા હતા. સરકારે તેમના એ વૈજ્ઞાનિક સંશોધનમાં દિલચસ્પી દાખવી હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની સમસ્યા કદાચ વર્ષો પહેલાં હળવી બની ચૂકી હોત.


વૈજ્ઞાનિક સંશોધન રવજીભાઇ માટે આજીવન ચાલેલી ક્રિયા હતી. જીવનના આખરી દિવસોમાં તેમનું એક ક્રાંતિકારી વૈજ્ઞાનિક સંશોધન વાસ્તવિક આકાર પામવાની કાર્યવાહી હેઠળ હતું. સંશોધન હતું ૫૦% પેટ્રોલથી અને ૫૦% પાણીથી ચાલતું ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિન ! રવજીભાઇની એ શોધ તેમને માત્ર દેશમાં નહિ, વિદેશોમાં પણ ખ્યાતિ અપાવી શકે તેમ હતી. પરંતુ એ જશ તેમને મળે એ પહેલાં જૂન ૬, ૨૦૦૭ના રોજ અકાળે તેમનું અવસાન થયું. ‘સફારી’ના બ્રેઇનટ્રસ્ટને પોતાના જ્ઞાનનો વખતોવખત લાભ આપનાર ડિગ્રી વિનાના એ વિજ્ઞાનીને ‘સફારી’ની સલામ!

Comments

  1. અગાઊ આ સંપાદક નો પત્ર સફારી મા વાંચ્યો હતો.. તો પણ આજે ફરીથી વાંચવો ગમ્યો.. થૅંકયૂ......

    ReplyDelete
  2. Rajanikumar Pandya remembered Ravajibhai today morning as he called Ravajibhai's home.
    His memory evokes strong emotion. In a piece I wrote for a compilation, I mentioned, 'If I am granted any one dead person's life, I may not go for Ravishankar Maharaj's or Indulal Yagnik's but I would opt for Ravajibhai's.'
    (The whole piece is on my blog)

    ReplyDelete
  3. yes, gujarat will never have another ravjibhai perhaps !

    ReplyDelete
  4. Harshalji, it is well known fact and tragic too, that India has never shown any interest in persons who are capable with some special skills else, we would not have lost so many potential brains to foreign countries!
    This trend is continuing since Budhha.
    Wish that Ravjibhai do get rebirth but not in India, cos then again he would be lost..this opinion is rather too strong but it is fact too.

    ReplyDelete
  5. Mane garv chhe aa gujarati par!!!
    Safari tena vishe lakhyu tyare mane tena vishe khabar padi,Hu asha rakhu chhu ke Safari aava prenanadayi vyaktio na lekh avarnavar Safari ma
    aapta rahe...

    ReplyDelete
  6. gujarati mate lahkhyu te badal aabhar.
    tema khas kari ne ravjibhai vise.khub gamyu.avij rite aava bhulay gayela vyaktio vishe vadhare lakhe.ravjibhai na sanshodhan viseni mahiti aapava vinanti.

    ppradip301@gmail.com

    ReplyDelete
  7. mare harshal bhai no photo jovo che

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya