વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!

ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (બાજુનો ફોટો) જૂન ૭ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મીડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે.

આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ.

કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ તે આતંકવાદની વિરૂદ્ધ ભારત સરકાર નરમ હાથે કામ લેતી રહી છે. પરિણામે છેલ્લાં વીસેક વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભારતીયોની (નાગરિકો તથા ખુશ્કી જવાનો) સંખ્યા ૮૪,૦૦૦ના આંકડાને વટાવી ગઇ છે. ખુવારીનો તે આંક જો વધુ લાગતો હોય તો જાણી લો કે તે ફિગર ૨૦૦પનો છે. ચાર વર્ષમાં હજી બીજા કેટલા લોકો મર્યા હશે તે કોણ જાણે!

પાક હસ્તકના કાશ્મીરમાં આજે ત્રણેક હજાર જેટલા યુવાન ‘જેહાદી’ઓ કુલ ૪૯ આતંકવાદી કેમ્પ્સમાં ખદબદી રહ્યા છે. કાશ્મીર ખીણમાં પોતાની આણ ફેલાવવા માટે તેઓ વારેતહેવારે સશસ્ત્ર હુમલા કરતા રહે છે. આ હુમલાઓને ખાળવા માટે ભારતના ખુશ્કીદળે સમગ્ર કાશ્મીરમાં બધું મળીને ૩૩,૦૦૦ જવાનોને તથા અફસરોને ડ્યૂટી પર ખડેપગે રાખવા પડે છે. રાષ્ટ્રીય રાયફલ્સ, રોમિયો ફોર્સ, રિઝર્વ પુલિસ વગેરે જેવા અન્ય લશ્કરી દળોને ગણો તો કાશ્મીરમાં તૈનાત ભારતીય જવાનોની સંખ્યા બે લાખ જેટલી બેસે છે. નવાઇની વાત છે કે આટઆટલી કડક વ્યવસ્થા હોવા છતાં કાશ્મીરમાં વર્ષે સરેરાશ ૨,પ૦૦ આતંકવાદી હુમલાઓ થાય છે, જેમાં કેટલાય ભારતીય જવાનો પોતાનો જાન ગુમાવે છે અથવા બૂરી રીતે જખમી બને છે.

બળાબળની દ્રષ્ટિએ જોવા બેસો તો એક તરફ માત્ર ત્રણેક હજાર આતંકવાદીઓ છે, તો બીજી તરફ ભારત પાસે બે લાખનું સંખ્યાબળ છે. હાઇ-ટેક શસ્ત્રો અને વિમાનો જુદાં! ભારત ધારે તો (કહો કે ભારતે વર્ષો પહેલાં ધાર્યું હોત તો) પાક પ્રેરિત આતંકવાદનો ગણતરીના દિવસોમાં સફાયો કરી શકે, પરંતુ રાજકારણના આટાપાટામાં સપડાયેલી કોઇ સરકારને તેમાં રસ નથી. લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને પાક હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ્સ પર છાપામાર હુમલો કરવામાં ભારતને કોણ રોકી શકે? પરંતુ નહિ, એવું પગલું ભરીને જગત આખાની નારાજગી વહોરી લેવાનું કોઇ સરકારને પાલવતું નથી. અમેરિકાની ગૂડબૂકમાં રહેવું એ ભારતીય રાજીનીતિની વણલખી નીતિ છે. પરિણામે આતંકવાદને મૂંગા મોઢે સહન કર્યે રાખવા સિવાય આરો રહેતો નથી.

દરમ્યાન મેજર ઋષિકેશ રામાણી જેવા સપૂતો એક પછી એક કરીને વીરગતિ પામતા રહે છે, બીજે દિવસે સમાચારોમાં તેમની વીરગાથા લખાય છે અને માટીપગા નેતાઓ સદ્ગત સપૂતોને એકાદ ખિતાબ વડે સન્માનિત કરી પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. આ ક્રમ હવે તો આપણને કોઠે પડી ગયો છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

આતંકવાદ અલંકારિક શબ્દોથી નહિ, પણ અમોધ શસ્ત્રોથી જ નાથી શકાય! આ સિમ્પલ વાત દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ ક્યારે સમજશે?

Comments

  1. Hats off to such a brave son of INDIA!!! but till how long we the so called patriot INDIANS will keep witnessing the non productive chaos of KASHMIR... ?????We have to have become united against the lingering strategy for resolution of Kashmir issue.... otherwise more brothers and friends like Rushikesh will give away their lives for non productive cause and the most critical land issue ( i personally feel that Strategically Pakistan is also as equal stakeholder for the land of J&K ....)-Jai Hind.

    ReplyDelete
  2. વધુ શરમજનક વાત એ છે કે સરકાર લશ્કરની કદર કરવાનું ચુકી રહી છે! દેશ માટે સિયાચીનમાં માઈનસ ૫૦ ડીગ્રી વચ્ચે કે રાજસ્થાનના વિષમ રણમાં કે ઉતર-પૂર્વના જંગલોમાં ક જમીનથી દુર આકાશ અને પાણીમાં રહી ફરજ બજાવતા લશ્કરને પ્રાથમિક સુવિધાઓ પણ ઘણી વખત મળતી નથી. નિવૃત અફસરોની ૨ દાયકાથી ચાલી આવતી 'વન રેન્ક વન પેન્શન' માંગ સરકારે હજુ સુધી પૂરી કરી નથી. સરહદે ઘાયલ થયા પછી પેન્શન જીવન નિર્વાહ માટે એકમાત્ર આધાર હોય છે. લશ્કરની નોકરી તો ૩૦ કે ૪૦ વર્ષે પૂરી થઇ જતી હોય. એ કિસ્સામાં પણ બાકીનું જીવન પેન્શનના જોરે જ કાઢવાનું હોય. પણ એ ચૂકવામાં સરકાર દગડાઈ કરે છે.
    કોઈ પણ દેશનો વિકાસ ક્યારે થાય?
    સરહદો સલામત હોય ત્યારે..
    સરહદો ક્યારે સલામત હોય?
    લશ્કર બળુકું હોય ત્યારે ...
    લશ્કર બળુકું હોવું એટલે શું?
    પૂરતા શસ્ત્રો, પુરતો પગાર, પુરતી સુવિધા હોય, પ્રોત્સાહન હોય...
    લશ્કરની દેશ માટે કૈંક કરી છુટવાની ભાવના મારી પરવારે એવા પુરતા પ્રયાસો થઇ રહ્યા છે.
    એક સમયે લશ્કરમાં ઉત્સાહથી જોડવા યોવાનોની લાઈન લાગતી, આજે બેકાર રહેવા કરતા ફોજમાં જોડાવું શું ખોટું એમ માનીને લશ્કર પર પસંદગી ઉતરે છે. સાથે સાથે સેના છોડી રહ્યા હોય એવા જવાનોની સંખ્યા વધી રહી છે ....
    આ બધી બાબતો વિકાસ માટે જાત જાતના પ્લાન જાહેર કરતી સરકાર માટે કદાચ ગૌણ હશે.
    એ દેશની ખાજો દયા....

    ReplyDelete
  3. તમારી વાત સાથે સહમત છુ કે જો "ભારત ધારે તો (કહો કે ભારતે વર્ષો પહેલાં ધાર્યું હોત તો) પાક પ્રેરિત આતંકવાદનો ગણતરીના દિવસોમાં સફાયો કરી શકે", આપણા જવાનો તો ગણતરી ના કલાકો મા આ પ્રશ્ન નો ઉકેલ લાવી શકે તેમ છે. પણ જો સરકાર ધારે તો!!!!!! પણ સરકાર ની આવી નિર્ણય શક્તિ તો પરચો આપણને નજીક ના ભવિષ્યા મા થવાનો નથી ઍ તમે વધારે સારી રીતે સમજો છો.

    રહી વાત આખરી ફકરા મા રહેલા સવાલ ની.... "આતંકવાદ અલંકારિક શબ્દોથી નહિ, પણ અમોધ શસ્ત્રોથી જ નાથી શકાય! આ સિમ્પલ વાત દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ ક્યારે સમજશે?"

    તો ઍ વાત તો ઍ ત્યા બેઠેલા લોકો તો પહેલે થી સમજે છે, અને ઍ લોકો ખુબજ સારી રીતે સમજે કે "અમોધ શસ્ત્રો" નો બ્રસ્ટ્રાચાર શિવાય આતંકવાદ સામે પણ ઉપિયોગ થઈ શકે. કદાચ ક્યારેક આપણા જવાને કોઈ આતંકવાદી ની મારી નાખવા (કે સામનો કરવા) માટે આવા "અમોધ શસ્ત્રોનો" (સરકાર ની પરવાનગી વગર)ઉપયોગ કર્યો તો ઍ જવાને જાણે મોટો ગુનો કર્યો હાય ટેમ તેની પર અદાલતી કેસ ચલાવવા મા આવે.

    ગમે તે હોય પણ તમે ત્યા બેઠેલા લોકો ની આંખો ખૂલે તેવુ લખો છો, ઍ વાત નો ખુબજ આનંદ છે.

    ReplyDelete
  4. Thanks for writing such an inspiring atricle - please do continue -
    fully agree with you - politicians will never understand

    ReplyDelete
  5. Bhai, Kalam (pen) maaj avi Takaat lai aavo ke...Talwar karta pan ano ghaa vadhu oondo rahE.

    ReplyDelete
  6. I totally Agree with your article.. But If we consider just completed Nuclear treaty then do we have any other option by not being in Good-books of America.?

    ReplyDelete
  7. Dear Harshal,
    Once again I would like to publish ur this blog in my column in janmabhoomi...kindly give ur permission...and pls write ur personal contact details at my mail id vikas.nayak@gmail.com I want to communicate with u...rgds,Vikas

    ReplyDelete
  8. Dear Harshal,

    Your this blog has been published as a Guest-Blog in my column 'Blog Ne Zarookhe Thee...' of today's JanmabhoomiPravasi. This was your second blog published in my column. Can you please send me your mail address at my email vikas.nayak@gmail.com ? I want to communicate something....please write soon.
    Rgds,
    Vikas G. Nayak

    ReplyDelete
  9. Let military decide fate of country not babus and politician. But it will ruin our democracy....and right of speech... There is a need of clean people but this corrupt people will not allow clean person to function as head of country.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya