વિજયગુપ્ત મૌર્યનો સ્મરણાંજલિ કાર્યક્રમ--એક અવિસ્મરણીય અનુભવ

કોઇ માણસ લોકપ્રિયતાના ભલે ગમે તેટલા ઊંચા શિખર પાર કરે, પણ સંસારમાંથી તે વિદાય લે ત્યાર બાદ તેને ભૂલી જવાનો માનવસહજ સ્વભાવ છે. પોરબંદરના સાહિત્યપ્રેમી વતનીઓને જો કે એ બાબતે અપવાદ ગણવા રહ્યા, જેમણે પોરબંદરની ધરતી પર માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ જન્મેલા વિજયગુપ્ત મૌર્યને તેમના અવસાનના સત્તર વર્ષે થયે પણ યાદ રાખ્યા છે.

આ સદ્ગત લેખકની જન્મશતાબ્દિ નિમિત્તે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્યસમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વિજયગુપ્ત મૌર્યના માનમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોરબંદરમાં વિજયગુપ્ત મૌર્યને જેમણે નજરોનજર જોયેલા તેવા શ્રી નરોત્તમ પલાણ જેવા પ્રખર વિદ્ધાનોની તથા રામજીભાઇ પાલિયા જેવા સાહિત્યરસિકોની હાજરીએ તેમજ તેમના સંસ્મરણોએ પ્રસંગને સરસ ‘નોસ્ટાલ્જિક ટચ’ આપ્યો. કાર્યક્રમના અન્ય વક્તાઓએ પણ વિજયગુપ્ત મૌર્ય વિશે કેટલીક રસપ્રદ વાતો કરી, જે પૈકી કેટલીક અમારા માટે પણ અજાણી હતી. આખરમાં કેટલાક યુવાન કવિઓએ પોતાની મૌલિક કવિતાઓ રજૂ કરીને પોરબંદરમાં જળવાયેલા સાહિત્યના વારસાનો વખાણવાલાયક પરચો આપ્યો.

એકંદરે કાર્યક્રમ સુંદર તેમજ હ્ય્દયસ્પર્શી રહ્યો એ વાતનો આનંદ છે, પરંતુ વધુ આનંદ એ વાતે છે કે વિજયગુપ્ત મૌર્યને પોરબંદરની પ્રેમાળ અને સાહિત્યરસિક પ્રજા હજી ભૂલી નથી. સંસારમાંથી વિદાય લીધાના લગભગ બે દાયકે પણ કોઇ લોકપ્રિય વ્યક્તિની લોકચાહના બરકરાર રહે એથી મોટી શ્રદ્ધાંજલિ તેના માટે બીજી શી હોઇ શકે?

તા.ક. કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ વિજયગુપ્ત મૌર્યના કલમવારસ નગેન્દ્ર વિજયે કાર્યક્રમમાં વ્યક્ત કરેલા પોતાના વિચારો અહીં બ્લોગના વાચકો માટે રજૂ કરૂં છું...


મૂળ વતનની ભૂમિ પર ઘણા વખતે ફરી પગ મૂક્યાનો જે સહજ આનંદ દરેક વ્યક્તિને હોય તે આજે હું પણ અનુભવી રહ્યો છું. વધુ પ્રબળ લાગણી જો કે પોરબંદર મારૂં મૂળ વતન હોવા બદલના તેમજ આપના જેવા સાહિત્યપ્રેમી અને જાગૃત પોરબંદરનિવાસીઓ પ્રત્યેના ગૌરવની છે. આજનો કાર્યક્રમ આયોજિત કરી આપ સૌએ મને અહીં હાજર રહેવાનો જે સુખદ મોકો આપ્યો છે તે હજી ટૂંક સમય પહેલાં મારી કલ્પના બહારનો હતો. મારા સદ્ગત પિતાજી વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિના વર્ષે તેમની જન્મભૂમિ પર આટલી સહૃદયતા અને સ્નેહપૂર્વક તેમને યાદ કરાય એવી મને સ્વપ્નેય ધારણા ન હતી, કેમ કે સમયનું વહેણ જૂની સ્મૃત્તિઓને નિરંતર ઝાંખી પાડી અંતે ભુલાવી દેતું હોય છે.


એક પેઢી બદલાઇ ચૂકી છે. આથી વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ મનાવવા માટે મારે શું કરવું તે મૂંઝવનારી સમસ્યા હતી. પ્રશ્ન એ થયો કે આજે કેટલા લોકો જાણતા હોય કે આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં પોરબંદરની ધરતી પર વિજયશંકર મુરારજી વાસુના નામે એક ભેખધારી વ્યક્તિ જન્મી હતી, જેણે વિજયગુપ્ત મૌર્ય એવું ઉપનામ ધારણ કર્યા બાદ સતત અડધી સદી સુધી ગુજરાતની પ્રજા માટે પોતાની રસાળ કલમ દ્વારા અખૂટ જ્ઞાનનો ધોધ વહાવ્યો હતો? આ સ્થિતિમાં જન્મશતાબ્દિ નિમિત્તે જે પણ પ્રવૃત્તિ હાથ ધરૂં તેમાં સૌ પ્રથમ તો વિજયગુપ્ત મૌર્ય એટલે કોણ તેનો પરિચયાત્મક ખુલાસો મારે આપવો પડે, જે મને તેમની અનોખી સાહિત્યિક, સમાજલક્ષી અને સમૃદ્ધ કારકિર્દી જોતાં વિરોધાભાસ જેવું લાગતું હતું. પરંતુ સમયના વીતવા સાથે વિજયગુપ્ત મૌર્ય ભુલાવા માંડ્યા હોય એવી મારી ધારણાને આજના કાર્યક્રમે ભૂલભરેલી ઠરાવી છે--અને તે વાતનો મને આનંદ છે.

આજથી સો વર્ષ પહેલાં વીસમી સદીના આરંભે મુરારજી વાસુ નામના જે કંદોઇને ત્યાં મારા પિતાનો જન્મ થયો તેમને આખું પોરબંદર ભોપા મહારાજ તરીકે જાણતું હતું--અને રાજદરબાર સુધી તેમની શાખ હતી. કંદોઇને ત્યાં જન્મેલા પુત્ર વિશે સાધારણ રીતે એવી અપેક્ષા રખાય કે મોટો થયા બાદ તે ખાજલી-પેંડા બનાવે અને પિતાની દુકાન સંભાળી લે. પરંતુ મારા પિતાજીના ભાગ્યમાં મિઠાઇનાં ખોખાં વચ્ચે નહિ, પણ પુસ્તકોનાં થોથાં વચ્ચે જીવવાનું તેમજ મિષ્ટાન્નને બદલે જ્ઞાનવિજ્ઞાનના માહિતીલેખો રાંધવાનું લખાયું હતું. ભણતરનો વિષય કાયદાશાસ્ત્ર ખરો, પરંતુ રસના વિષયો પક્ષીશાસ્ત્રથી માંડીને ભૂસ્તરશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર સુધીના અનેક હતા. પોરબંદરના ખાડીવિસ્તારમાં તેમજ આસપાસના વગડાઉ પ્રદેશમાં ઋતુપ્રવાસી પંખીડાનું નિરીક્ષણ કરવું, લાયબ્રેરીમાં કલાકો વીતાવવા, ‘પ્રકૃત્તિ’ નામના પ્રતિષ્ઠિત સામયિકમાં તેમજ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના જર્નલમાં પ્રાણી-પંખીઓ વિશે નવી જાણકારી લખવી વગેરે પ્રવૃત્તિઓ તેમના માટે કાયદાના અભ્યાસ કરતાં વિશેષ હતી. જ્ઞાન મેળવવું અને મેળવેલું જ્ઞાન કલમના માધ્યમ દ્વારા બહોળા સમાજને આપવું તે છેવટે તેમની મુખ્ય પ્રવૃત્તિ અને સરવાળે કારકિર્દી બની.

વિજયશંકર મુરારજી વાસુને વિજયગુપ્ત મૌર્યની ભૂમિકા અપાવવામાં આપણા જાણીતા સાહિત્યરત્ન શ્રી ગુલાબદાસ બ્રોકર નિમિત્ત બન્યા. ન્યાયધીશના હોદ્દે પહોંચી ચૂકેલા મારા પિતાજીએ આઝાદીની લડત દરમ્યાન સંજોગવશાત્ પોરબંદર છોડીને મુંબઇમાં માસિક રૂ. ૭૫ના પગારે ટાઇપિસ્ટની નોકરી સ્વીકારવી પડી, જેના વડે કુટુમ્બનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આ વાત મુંબઇમાં જ વસતા શ્રી ગુલાબદાસ બ્રોકરે જાણી ત્યારે તેમણે ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ સાથે મારા પિતાજીની ઓળખાણ કરાવી અને પિતાજીના લેખો છાપવાની ભલામણ કરી.

‘ક્યા વિષય પર લખવાનું ગમે ?’ એવો પ્રશ્ન તંત્રીએ પૂછ્યો ત્યારે પિતાજીએ પક્ષીપરિચયના વિષય પર પસંદગી ઢોળી. તંત્રી સહમત થયા. વારાફરતી અકેક પક્ષીનો અત્યંત રોચક અને રમતિયાળ શૈલીમાં પરિચય આપતા લેખો એટલા લોકભોગ્ય અને લોકપ્રિય નીવડ્યા કે ટૂંક સમય પછી ‘જન્મભૂમિ’ની રવિવારીય પૂર્તિમાં દરેક પક્ષીદીઠ આખું પાનું ફાળવવામાં આવ્યું. માત્ર એક બાબત તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ને ખટકતી હતી. પિતાનું નામ વિજયશંકર મુરારજી વાસુ, એટલે લેખક તરીકે તેઓ ટૂંકમાં વિ. મુ. વાસુ લખતા હતા. લેખોની ગુણવત્તા પાસે એ નામ ‘સોપાન’ને ફિક્કું લાગતું હતું. કોઇ પ્રભાવશાળી ઉપનામ અપનાવવાનું તેમણે સૂચવ્યું. વિ. મુ. વાસુ ત્યાર પછી વિજયગુપ્ત મૌર્ય બન્યા, જેમાં વિજય તેમનું અસલ નામ હતું અને મારા દાદાના મુરારજી નામનું તેમણે મૌર્ય કરી નાખ્યું. વિજયની પાછળ ગુપ્ત એવો પ્રત્યય લાગવો તો સ્વાભાવિક હતો.

‘જન્મભૂમિ’ની રવિવારીય પૂર્તિ પ્રવાસીનો સંપૂર્ણ ચાર્જ સોંપાયા પછી તેમણે પંડિત કૌશિક શર્મા, હિમાચલ, મુક્તાનંદ વિશ્વયાત્રી વગેરે નવાં ઉપનામો ધારણ કર્યાં. પૂર્તિનો સૌથી લોકપ્રિય વિભાગ હોય તો ‘છેલ્લું પાનું’, જેણે વિજયગુપ્ત મૌર્ય નામ લોકજીભે રમતું કરી દીધું. મુંબઇમાં મારા વસવાટ દરમ્યાન મેં એવાં ઘર જોયાં છે કે જ્યાં રવિવારે ‘જન્મભૂમિપ્રવાસી’ની બબ્બે નકલો મંગાવવામાં આવતી હતી-જેથી ‘છેલ્લું પાનું’ પહેલાં વાંચવા માટે કુટુમ્બનાં સભ્યો વચ્ચે ગજગ્રાહ થાય નહિ. વિજયગુપ્ત મૌર્યને ગુજરાતભરમાં આવી જ લોકચાહના ‘અખંડ આનંદ’ માસિકમાં આપતી તેમની સવાલ-જવાબની કટાર ‘જ્ઞાનગોષ્ઠિ’એ અપાવી. મને યાદ છે કે એક વાર ઓપરેશન માટે હોસ્પિટલમાં તેમણે અઠવાડિયું રોકાવાનું થયું અને એક અંક પૂરતી ‘જ્ઞાનગોષ્ઠિ’ની કોલમ લખવાની અસમર્થતા તેમણે દર્શાવી ત્યારે અખંડ આનંદ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી મનુ સુબેદારે મેગેઝિનનું પ્રકાશન દસ દિવસ માટે અટકાવ્યું હતું. ‘અખંડ આનંદ’નો અંક ‘જ્ઞાનગોષ્ઠિ’ વિભાગ વગરનો પ્રસિદ્ધ થાય એ મનુ સુબેદારને માન્ય ન હતું, કારણ કે વાચકો એ વિભાગની ખોટ ચલાવી ન લે એવી તેમને ખાતરી હતી.

જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોને વાચકો માટે રસપ્રદ બનાવી જાણતા મારા પિતાને જે મામૂલી આર્થિક મળતર મળતું તે મને પહેલેથી કઠતું રહ્યું હતું. પુરસ્કારની રકમ વધારવા માટે તેઓ ક્યારેય માગણી ન કરતા તે પણ મને ગમતું નહિ. આ બાબત અંગે ક્યારેક હું બળાપો કરૂં ત્યારે તેમનો જવાબ એ હોય કે, ‘મારા થકી વાચકોને જ્ઞાન મળે છે એ જ મારો પુરસ્કાર છે.’

આ વાક્ય શરૂ શરૂમાં તો મને જચતું નહિ, પણ જાણ્યેઅજાણ્યે છેવટે તે મારૂં જીવનસૂત્ર બન્યું. ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં જ્ઞાનવિજ્ઞાનનાં સામયિકો હું પ્રકાશિત કરી શક્યો હોય તો એ મારા પિતાની ઊચ્ચ વિચારધારાને આભારી છે. આજે ‘સફારી’ ગુજરાતનું બહોળો ફેલાવો ધરાવતું અકેમાત્ર મેગેઝિન છે કે જેમાં એક પણ જાહેરખબર લેવાતી નથી. પહેલા કવરથી છેલ્લા કવર સુધી વાચકો માટે જ્ઞાનવિજ્ઞાનનો ભંડાર જ ખડકેલો હોય છે. ‘સફારી’ની ઓડિયો સી.ડી. પ્રગટ કરાય છે, જે તેમને વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ બધાનું શ્રેય મારા પિતાજીને જાય છે, છતાં એક વાતની ચોખવટ કરૂં કે પિતાની ઊચ્ચ વિચારધારાને હું જીવનમાં ઊતારી શક્યો અને ઊંચી કક્ષાનું ‘સફારી’ ચલાવી શક્યો તે ઘણા અંશે મારા પુત્ર ચિ. હર્ષલ પુષ્કર્ણાને આભારી છે, જેણે ત્રીજી પેઢીએ દાદાનો વારસો જાળવ્યો છે. ‘સફારી’માં લેખનથી માંડીને વહીવટ સુધીની બાબતોનો ઘણોખરો કાર્યભાર તેણે સંભાળી લીધો. આજથી ૬૫ વર્ષ પહેલાં સરસ્વતીનો વાસ ધરાવતા ઘરમાં મારો જન્મ થયો તે મારા જીવનની પ્રથમ ઘટના હતી અને બીજી એટલી જ સુખદ ઘટના એ કે વિજયગુપ્ત મૌર્યના બૌધિક અને નૈતિક સંસ્કારો સાથે ચિ. હર્ષલ મારા ઘરે જન્મયો, જ્યાં પણ માતા સરસ્વતીનો વાસ હતો--અને છે.

વિજયગુપ્ત મૌર્ય દ્વારા ગુજરાતની પ્રજાને તેમજ મારા પરિવારને મળેલા વારસાની આજે તેમની જન્મશતાબ્દિ નિમિત્તે આપ સૌએ કદર કરી આજનો પ્રસંગ યોજ્યો એને હું મારા જીવનની ત્રીજી સુખદ ઘટના તરીકે યાદ રાખીશ અને જીવું છું ત્યાં સુધી આપ સૌની કદરદાનીનું ઋણ મારા શિરે રહેશે.
ધન્યવાદ
વંદેમાતરમ્

Comments

  1. very touching speech of gratitude by Nagendrabhai. I could visualise & listen him speaking!

    ReplyDelete
  2. vijaygupt maurya ne vandan, nagendrabhai ne salam, harshalbhai ne shabbash :)

    ReplyDelete
  3. Harshalji,

    After reading comments of my two favourite writers/columnist I think it would be too much to say more except- Vijayguptji/Nagendraji/Harshalji the wonderful trio has brought upon people, a shower of power of knowledge! Thanks from the heart.

    ReplyDelete
  4. i really missed chance to listen "Nagendra Uncle" live...

    ReplyDelete
  5. પોરબંદરની પ્રજાનો આભાર,ધન્યવાદ કે તેઓએ "ગુજરાતીઓ ચોપડાના જ પુજક છે" નું મહેણું ખોટું ઠેરવ્યું, યોગ્ય લેખકની કદર થતી જ રહે છે અને થતી રહેવી જોઇએ.

    વિજયગુપ્ત સાહેબ અંગે નગેન્દ્ર સાહેબની સ્પીચ તેમજ સ્પિરિટને તાદ્ર્શ્ય કરવા/જાળવવા બદલ હર્ષલજીને દિલી અભિનંદન. થેંક્યુ સર.

    ReplyDelete
  6. well i have like to say that in 60 and 70 decade i read vijaybhai gyangoshti regulairly.. at present nagendrabhai and harshalbhai do remarkeble work. abhinandan to both of them..i have one request that pl reprint the vijaybhai works...all the best

    ReplyDelete
  7. Thanks for sharing this, I've been an ardant Safari reader, this happens to be my first read on your blog and I must say, its all Genetics! :) Always wondered how unique the nomenclature was for Vijay-Gupt-Maurya, thanks for solving a pleasant riddle. Many regards to first and second generation of Gupt dynasty, wish the third generation will take it much further!

    ReplyDelete
  8. Vijaygupta Mourya himself was an ocean of knowledge (Gyansagar). His Q&A columns were very popular. A separate Blog on VIJAYGUPT MOURYA GYANSAGAR (Or GYANBHANDAR)can be started by his son or other followers in form of Q & A which will be useful to and can enhance the knowledge of the people.

    Dinesh Pandya

    ReplyDelete
  9. renish patel, 9825215650August 12, 2009 at 2:29 AM

    i am reader of safari.I like ur blog.

    ReplyDelete
  10. HATS OFF TO VIJAYJI/NAGENDRAJI/HARSHALJI/......
    PLEASE SUGGEST THE RESOURCES WHERE CAN WE FIND THE PRECIOUS WORKS OF VIJAYJI.....
    THANK YOU FOR THE KNOWLEDGE YOU PROVIDE THROUGH 'SAFARI'..........

    ReplyDelete
  11. I was a fan of Shri Vijaygupt Mauryaji and still remember my addiction to Akhand Anand's Gyangoshthi.I was quite young then and his name with Maurya as last name always espoused respect with awe for him. Hats off to the three generations of Karmyogis.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya