પારકો કાગળ, પારકી લેખણ, પારકી શાહી ને મતું મારે માવજીભાઇ !

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત આખરે ૨૮ વર્ષે જીત્યું. બહુ મોટી સિદ્ધિ આપણા ખેલાડીઓએ હાંસલ કરી ગણાય. જીતનો પ્રસંગ બેશક ટીમ ઇન્ડિયા માટે તેમજ ભારતના સરેરાશ ક્રિકેટપ્રેમી માટે ઉજવણીનો હતો. અલબત્ત, ઉજવણીની આપણા દલા તરવાડી રાજકારણીઓએ અપનાવેલી પદ્ધતિ ભારે અતિશયોક્તિભરી હતી. ભારતે ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો એ પછી દિલ્હી સરકાર વતી ત્યાંનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ટીમ ઇન્ડિયાના કપ્તાન માટે રૂપિયા ૨ કરોડ તેમજ ચાર બીજા ખેલાડીઓ માટે અકેક કરોડ એમ કુલ રૂપિયા ૬ કરોડનું કેશ પ્રાઇઝ જાહેર કરી નાખ્યું. મહારાષ્ટ્રની રાજ્ય સરકારે બે ખેલાડીઓને અકેક કરોડની રોકડ રકમ ઇનામરૂપે આપી. પંજાબ સરકારે કુલ બે કરોડ રૂપિયાની લ્હાણી કરી, વર્લ્ડકપના નામે તામિલ નાડુની સરકારે પોતાની તિજોરીમાં રૂપિયા ૩ કરોડનું ગાબડું પાડ્યું, તો કર્ણાટકની સરકારે બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી દરેક ખેલાડી માટે અકેક રહેણાંક પ્લોટ ફાળવી આપ્યો. ભારતીય રેલવે ખાતાએ ટીમ ઇન્ડિયાના પ્રત્યેક ખેલાડી તેમજ તેના પરિવાર માટે ફર્સ્ટ ક્લાસ એરકંડિશન્ડ ક્લાસના આજીવન ફ્રી પ્રવાસની ઘોષણા કરી વર્લ્ડકપ જીત્યાની ખુશાલી મનાવી. 

રુપિયામાં(ટે) રમતો માણસ !

 કમાલ છે ! ખાનગી કંપનીઓ સેલ્સ પ્રમોશનના ભાગરૂપે ખેલાડીઓને મોટી રકમો તેમજ મોંઘી ભેટસોગાદો આપે તે સમજી શકાય, પણ રાજ્યની સરકારો ટીમ ઇન્ડિયાની જીતને બિરદાવવા માટે સરકારી તિજોરી બબ્બે હાથે ઉલેચી કાઢે એ કેમ ચાલે ?

વર્લ્ડકપની સ્પર્ધા રમવા માટે ટીમ ઇન્ડિયાને બી.સી.સી.આઇ. તરફથી તગડી મેચ ફી મળી હતી. વર્લ્ડકપ જીત્યાના માનમાં ટીમના પ્રત્યેક ખેલાડીને રૂપિયા ૧ કરોડનું પ્રાઇસ બી.સી.સી.આઇ. તરફથી અપાયું હતું. (ખેલાડીઓને ઇનામની રકમ ઓછી જણાતાં બી.સી.સી.આઇ.એ રકમ પછીથી ડબલ કરી નાખી હતી). ખાનગી કંપનીઓએ જે તે ખેલાડીને માતબર રકમ ચૂકવી હતી. વળી જાહેરાતના કોન્ટ્રેક્ટ્સ સાઇન કરીને બીજા કરોડોની આવક અમુક ખેલાડીઓ સુનિશ્ચિત કરી ચૂક્યા હતા. 

ટૂંકમાં, આર્થિક રીતે ટીમનો દરેક ખેલાડી માફકસરનું વળતર પામ્યો હતો. આમ છતાં ઘણાં ખરાં રાજ્યોની સરકારોએ રોકડ ઇનામોનો નાયાગરા ધોધ કેમ વરસાવ્યો એ સમજાતું નથી. સરકારનું કામ વહીવટી તંત્ર ચલાવવાનું છે. પ્રજા તરફથી વિવિધ જાતના કરવેરારૂપે થકી આવકમાંથી રોડરસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, સ્વાસ્થ્ય કેંદ્રો વગેરે જેવી સેવાઓ પૂરી પાડવાનું છે. પ્રજાનું હિત જેમાં ન જળવાતું હોય એવાં કાર્યો પાછળ જનતાના પૈસાનો ધુમાડો સરકારે કરવો ન જોઇએ. આ સંયમ (ગુજરાત અને ઉત્તર પ્રદેશને બાદ કરતાં) ઘણી ખરી રાજ્ય સરકારો ભૂલી અને વર્લ્ડકપની જીત બદલ ટીમ ઇન્ડિયામાં તેમણે પ્રજાના પૈસાની બેફામ લ્હાણી કરી.

આ છૂટછાટ લીધા પછી પણ વાત આટલેથી અટકી નહિ. ક્રિકેટ પાછળના ગાંડપણની હદ ત્યાર પછી આપણા રાજકર્તાઓએ વટાવી. વિજેતા ખેલાડીઓને ભેટરૂપે જે રકમ મળી તેને આવકવેરામાંથી તેમણે સો ટકા કરમુક્તિ અપાવી દીધી. Indian Income Tax Act ની ગિફ્ટ ટેક્સ કલમ મુજબ રૂપિયા ૫૦,૦૦૦ કરતાં વધુ રકમ ભેટ તરીકે મેળવનાર વ્યક્તિએ ગિફ્ટની રકમ પર ટેક્સ ભરવો પડે છે. માનો કે કોઇ વ્યક્તિને તેના મિત્ર તરફથી રૂપિયા ૩૦,૦૦,૦૦૦નું મકાન ભેટ સ્વરૂપે મળે છે, તો ઇન્કમ ટેક્સના કાયદા મુજબ તેણે ૩૦ ટકા લેખે ટેક્સ વત્તા સર્વિસ ચાર્જ એમ લગભગ રૂપિયા ૯,૨૭,૦૦૦નો વેરો ફરજિયાત ચૂકવવો રહ્યો. આ ચૂકવણું તે ન કરે તો આવકવેરા ખાતું તેનું મકાન ટાંચમાં લઇ શકે છે. ગિફ્ટ ટેક્સનો કાયદો ભારતના દરેક વ્યક્તિને સમાન ધોરણે લાગૂ પડતો હોય તો ટીમ ઇન્ડિયા તેમાં અપવાદ શા માટે ? ક્રિકેટ સિવાયની રમતોમાં કાઠું કાઢનાર ખેલાડીઓને આવા આર્થિક લાભો કેમ મળતા નથી ?

હુંસાતુંસીમાં ક્રિકેટરો માટે રાજ્યની નાણાંકોથળી ઢીલી મૂકી દેનાર ટૂંકી દ્રષ્ટિના રાજકારણીઓ પાસે આના જવાબની અપેક્ષા રાખી શકાય તેમ નથી. સરકારી તિજોરીમાં ગાબડાં પડે એમાં એમણે પોતાનાં ખિસ્સાંમાંથી ક્યાં કંઇ ગુમાવવાનું છે ? રહી વાત ટીમ ઇન્ડિયાએ દાખવેલા બેનમૂન પ્રદર્શનને વધાવવાની, તો વર્લ્ડકપ જીત્યા પછી લગભગ દરેક ઇન્ટરવ્યૂમાં ખેલાડીઓએ જણાવ્યું તેમ જો સૌ પોતાના ‘દેશ’ માટે રમ્યા હતા તો તેમનું સન્માન ભારતે ખણખણિયાંને બદલે ઉચ્ચ કોટિના રાષ્ટ્રીય ખિતાબો વડે કર્યું હોત તો એ વધુ મોભાદાર બની રહેત !

Comments

  1. Cricket is already the worst game of this earth. Moreover it has become a pollution in India. There are so many games other than cricket but only cricket is given importance by our media. Even a few persons have ever watched our national game. This is because they want to intrude between youngsters. Other games are not given importance because they dont make the media earn. & if talk about our polititians, they have already openly declared themselves how corrupt they are!

    ReplyDelete
  2. ખરેખર તો આ બધા ઇનામો એટલે જાહેર કરવામાં આવ્યા હતા જેથી ક્રિકેટરોએ વર્લ્ડ કપ વિજય દ્વારા કમાવેલી પોઝીટીવ ઈમેજમાં રાજકારણીઓ પણ ભાગ પડાવી શકે. વહેતી ગંગામાં હાથ ધોવા તે આનું નામ. હમણાં લાદેનની મૃત્યુ પછી વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણ એ જાહેર કર્યું કે લાદેનની મૃત્યુ એ આતંકવાદ સામેની લડાઈમાં બહુ મોટી જીત છે, પણ સેન્સેશન ઘેલી મીડિયાને આ સત્તાધીશોને એમ પુછવાનું ન સુજ્યું કે આમાં તમારા કેટલા ટકા? તમે કયા તીર મારેલા
    તે આને આતંકવાદ સામેની લડાઈમાં મોટી જીત ગણાવો છો. તમે તો પેલા અફઝલ ગુરુ જેને સુપ્રીમ કોર્ટે છેક ૨૦૦૪ માં ફાંસી સજા સંભળાવી દીધેલી તેની સજાની ફાઈલ પણ હજી સુધી ક્લીયર નથી કરી શક્યા. કસબ હજી સરકારી જમાઈ બનીને લીલા લહેર કરે છે અને આ ભોજીયા ભાઈઓ આતંકવાદ સામેની લડાઈમાં જીતના ફડાકા મારે છે. તમારું આ લેખનું ટાઈટલ ભારત સરકારને બિલકુલ ફીટ થાય છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya