ગીરનારનો રોપ-વે ગીરનારી ગીધ માટે 'સ્‍વર્ગની સીડી' બની જશે ?

રામાયણના જટાયુને બાદ કરો તો મડદાં પર નભનારાં ગીધને આપણે ત્યાં ખાસ આદરભરી નજરે જોવાતાં નથી, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમ્યાન તેમનાં માનપાન અને માવજત વધ્યાં છે. વધવાનું કારણ તેમની વસ્તીમાં ચિંતાજનક હદે થયેલો ઘટાડો છે. ૧૯૮૦ના દસકામાં ભારતનાં ૬ સ્પીસિસનાં ગીધોનો કુલ વસ્તીઆંક જ્યાં આઠેક કરોડ જેટલો ગણાતો ત્યાં આજે તે થોડાક હજાર પર આવી ગયો છે. ગુજરાતની વાત કરો તો ૨૦૦૫માં ફક્ત ૨,૬૫૦ ગીધ બચ્યાં અને હવે તો આબાદી ૧,૪૦૦ કરતાં પણ ઓછી છે.

આ તારાજી પાલતું ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડાઇક્લોફેનેક નામની દવાને આભારી છે. દવાનું C22H38O5 એવું રાસાયણિક બંધારણ ઢોરોનાં મડદાં ખાનાર ગીધોની કિડનીને ખુવાર કરી નાખે છે, એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેંદ્ર સરકારે ૨૦૦૬માં ડાઇક્લોફેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં તેના વેચાણમાં તથા વપરાશમાં ખાસ ફરક પડ્યો નથી. પરિણામે કુદરતના સફાઇ કામદાર જેવાં ગીધોનો સફાયો ચાલુ છે. સૌથી વધુ ઘટાડો Long-billed vulture/ગીરનારી ગીધની સંખ્યામાં થયો છે. ખુદ ગીરનારના ૧૮૦ ચોરસ કિલોમીટરના જંગલમાં એ સ્પીસિસનાં ગીધ દુર્લભ બન્યાં છે. એક સમયે તેઓ એટલી મબલખ સંખ્યામાં જોવા મળતાં કે તેમનું નામ લાંબી ચાંચનાં ગીધને બદલે ગીરનારી ગીધ પડ્યું.
 આ ગીધ કેટલાંક વર્ષ થયે ચર્ચામાં છે. આજકાલ તો ચર્ચાસ્પદ પણ છે, કેમ કે તેને Z+ સિક્યોરિટી આપવાના મુદ્દા પર ગુજરાત સરકાર અને કેંદ્ર સરકાર વચ્ચે ઘર્ષણ જામ્યું છે. ઘર્ષણના મૂળમાં રોપ-વેનો સૂચિત પ્રોજેક્ટ છે, જેના અમલીકરણ માટે કેંદ્રનું પર્યાવરણ મંત્રાલય બિનશરતી મંજૂરી આપતું નથી. ગીરનારની તળેટીના ભવનાથ મંદિરથી શરૂ કરીને ૧,૦૩૫ મીટર ઊંચેના શિખરે અંબાજી મંદિર સુધી લગભગ ૫,૦૦૦ પગથિયાં ચડવાનો પરિશ્રમ યાત્રાળુ લોકોએ ન કરવો પડે એ રોપ-વે પ્રોજેક્ટનો મૂળભૂત હેતુ છે. ઊડનખટોલા કહેવાતો પ્રોજેક્ટ નક્કી કરાયો તો છેક ૧૯૬૮માં, પરંતુ ટેક્નિકલ કારણોસર યોજના અમલી ન બની. અંતે ૨૦૦૮માં બાંધકામ માટે ૧૨૦ કરોડનું બજેટ ફાળવી શિલારોપણ કરાયું અને ઉષા બ્રેકો કંપનીને રોપવેનો કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે ગીરનારી ગીધની સુરક્ષાનો મુદ્દો વચ્ચે આવ્યો. એકંદરે કાળાશ પડતાં રાખોડી પીછાંવાળાં ગીધને રોપ-વેના કારણે ખલેલ પહોંચે એ ન ચાલે.

તળેટીથી ટોચ સુધી રોપ-વે માટે નક્કી થયેલા માર્ગ નીચે તથા નજીકમાં વૃક્ષો પર ગીરનારી ગીધનાં ૨૨ માળા છે, જેમાં કુલ ૪૭ ગીધ વસે છે. આ પક્ષીઓ મુખ્યત્વે વન્ય જનાવરોનાં મૃતદેહો પર નભે છે, જેમનાં માંસમાં ડાઇક્લોફેનેક હોતું નથી. રોપ-વેના અવિરત ટ્રાફિક દ્વારા ખલેલ પડવાને લીધે તમામ ગીધ પોતાના માળા તજી ગ્રામ્ય વિસ્તાર તરફ જતાં રહે એ મોટું જોખમ છે. પાલતું ઢોરોનાં ડાઇક્લોફેનેક વડે દૂષિત મડદાંનો આહાર ત્યાર પછી તેમને જીવતાં રહેવા ન દે. આથી કેંદ્રના પર્યાવરણ મંત્રાલયે રોપ-વે માટે પરવાનગી આપવાની બાબતે શરત મૂકી છે કે દોરડાની ગરગડીનો દરેક મિનારો ખાસ્સો ઊંચો હોવો જોઇએ અને માળામાં પક્ષીની આવનજાવન થતી દેખાય એ વખતે cable car/પેસેન્જર કેબિનોના ટ્રાફિકને સ્થગિત કરી દેવો જોઇએ. ઉપરાંત ગીધો માટે સલામત ભોજનની સ્થાનિક ‘રેસ્ટોરન્ટ’ ખોલાય એ જરૂરી છે.

આ શરતો મૂકાયા પછીયે ૨.૩ કિલોમીટર લાંબા રોપ-વેના માર્ગનું પર્યાવરણના દ્રષ્ટિકોણે સર્વેક્ષણ હજી ચાલુ છે. પર્યાવરણના નામે કરાતી આવી લાંબી પળોજણ પાછળનું લોજિક સમજાતું નથી. કુદરતનાં સફાઇ કામદારોની ભૂમિકા અદા કરતાં ગીધો પાસે અપેક્ષા તો એ રખાય છે કે તેઓ ઢોરઢાંખરોનાં મડદાંને થાળે પાડી દે, જેથી બદબો અને બિમારી ફેલાય નહિ. ડાઇક્લોફેનેકનું જોખમ ધ્યાનમાં લેતાં સફાઇનું એ કામ જ તેમની પાસે ન કરાવવાનું હોય તો તેમનાં રક્ષણ માટે આટલી જફા કર્યાનો મતલબ શો ? સરકારે ડાઇક્લોફેનેકના પ્રતિબંધનું કડક રીતે પાલન કરાવવું જોઇએ, પણ સરકારના કમનસીબે તે મક્કમ નિર્ધાર અને નિષ્ઠા માગી લેનારું કાર્ય છે.

Comments

  1. ભરત કુમારJanuary 13, 2012 at 2:06 PM

    રાજકારણીઓને એમ કે વારેતહેવારે કરાતા ભાવવધારા ને ભ્રષ્ટાચારની તિક્ષ્ણ ચાંચોથી અમે જીવતાજાગતા લોકોને ય ચૂંથી ખાતા હોઈએ તો મડદા થોડા છોડીશું? હવે ગીધની જરુર શું છે? અમે જ પૂરતા છીએ.

    ReplyDelete
  2. very true bharatbhai.

    ReplyDelete
  3. આપણે ઘણી વખત વિજ્ઞાનના magazine વાંચતા હોઈએ ત્યારે એવું વાંચવા મળે કે કુદરતે ફલાણા પ્રાણીને એના દુશ્મનોથી બચવા એને ફલાણા અંગ-ઉપાંગઆપ્યા છે. હવે આ લેખકો માટે કુદરત એ ઈશ્વર નથી. કુદરતનો મતલબ મોટેભાગે ઉત્ક્રાંતિ થતો હોય છે. આ ગીધોના કિસ્સામાં આપણે આશા રાખીએ કે 'કુદરત' એમને એવી કઈ સુવિધા કરી આપે કે જેથી એમની વસ્તી ટકી જાય. normally લોકો નો pushback એવો હોય છે કે ઉત્ક્રાંતિ માટે તો લાખો-કરોડો વર્ષો લાગે, આવી રીતે થોડા દસકા માં જોવા ના મળે. પણ એની સામે એવા દાખલા આપવામાં આવે છે કે જેમાં ઉત્ક્રાંતિ થોડા વર્ષો ના ગાળા માં જોવા મળી હોય. દા.ત, જયારે industrialization ના લીધે કોઈ શહેરની ઘણી બધી દીવાલો ઝાંખી પડી ગયી ત્યારે ફૂદાઓએ એની સાથે અનુકુલન સાધવા પોતાનો રંગ બદલ્યો હતો. બીજા એક કાસેમાં, કોઈ જળચર ની ચાંચ નાની કે મોટી થઇ હતી. આ જ પ્રમાણે આપણે આશા રાખીએ કે ઉત્ક્રાંતિ દ્વારા ગીધોમાં કોઈ special ફેરફાર થાય કે જેથી કરીને એમની વસ્તી ટકી જાય.
    જો કે ઉત્ક્રાંતિના ઘણા વિવેચકોના મત પ્રમાણે "survival of the fittest " ની theory વડે ફક્ત એ જ સમજી શકાય છે કે જુદુજુદી species નું કેવી રીતે નિકંદન નીકળી ગયું. એ theory વડે એ નથી સાબિત થતું કે નવી species કેવી રીતે બને છે. આ ગીધોના case માં એમની વાત ઘણે અંશે વ્યાજબી લાગે છે. ગીધોની life માં મારણમાં એક ખાસ chemical આવવાનું શરુ થયું. અને ગીધો એ chemical ને નથી પચાવી શકતા અને મૃત્યુ પામે છે. આ રીતે ગીધોની આખી species ખતમ થઇ જાય છે. જો ગીધો માં કઈ ફેરફાર થાય અને તેઓ બચી જાય તો survival of fittest વડે નવી species પેદા થઇ શકે એ સાબિત થાય.

    ReplyDelete
  4. આટલાં વર્ષોથી પૃથ્વીની પાછળ પડી ગયેલ માનવી કાંઇ આવુમ હૃદયદ્રાવક વાંચીને સુધર્યો હોત તો આ દિવસ આવત જ નહીં ને>>>>>>

    ReplyDelete
  5. Read these

    http://www.indiawilds.com/diary/indiawilds-newsletter-vol-3-issue-ii/

    http://www.indiawilds.com/forums/showthread.php?t=2228

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya