પાક જેલોમાં સબડતા ફૂટ્યાં કરમના ૫૪ ભારતીય સરફરોશો

એક ચોંકાવનારો પ્રસંગ વર્ણવતા પહેલાં વર્ષ જણાવી દઇએ: ૧૯૭૯નું હતું. ‘સફારી’ના તંત્રી એ સમયે ‘ફ્લેશ’ નામનું સામયિક ચલાવતા હતા, જેનું સ્લોગન ‘માંડીને વાત કરતું મેગેઝિન’ એવું હતું--અને સાથે જ તેમાં દરેક ઘટનાત્મક વિષય અંગે ‘સફારી’ની જેમ વિગતવાર લેખો અપાતા હતા. સામયિકના ચાર ખબરપત્રીઓ દિલ્લી ખાતે હતા જેઓ અસલમાં તો ‘ધ સ્ટેટ્સમેન’ અને ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સ્ટાફ રિપોર્ટર્સ હતા. એક ખબરપત્રીએ ૧૯૭૯માં તંત્રીની દિલ્લીની મુલાકાત દરમ્યાન જણાવ્યું : ‘આજે રાત્રે તમારો ભેટો દાણચોર સાથે કરાવવાનો છે.’ પ્રસ્તાવ નકારી કાઢવા જેવો હતો, કેમ કે લેખક-પત્રકારે દાણચોર સાથે અછડતી પણ લેવાદેવા રાખવાની હોય નહિ. આમ છતાં પોતાના આગ્રહને વળગી રહેલા ખબરપત્રીએ ફોડ પાડ્યો કે મામલો દાણચોરી અંગેનો ન હતો. કંઇક જુદી જ વાત હતી.

રાત્રે ચાંદની ચોક નજીકની પેશાવરી લાલાની રેસ્ટોરન્ટમાં ૩ જણા ભોજનના બહાને મળ્યા. દેખાવે પડછંદ છતાં પહેરવેશે લઘરા જણાતા દાણચોરે પંજાબી લઢણવાળી હિંદીમાં કેટલીક નિરર્થક વાતો કર્યા બાદ પોતાનો જે સાચો અનુભવ વર્ણવ્યો તે આશ્ચર્યની તેમજ આઘાતની મિશ્રિત લાગણી જન્માવે તેવો હતો. આ રીઢો દાણચોર જેમાં વધુ બરકત જણાય એવી ભારતીય ચીજોની પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ સોદાગરો માટે હેરાફેરી કરતો હતો. સરહદે પાકિસ્તાની રેન્જર ફોર્સના સૈનિકોના હાથ ‘ગરમ’ કર્યા પછી ઘૂસણખોરીનું કામ સરળ બનતું હતું. એકવાર જો કે રુશ્વતની બાબતે રકઝક થતાં મેળ જામ્યો નહિ, એટલે તેને લાહોર ખાતેની કોટ લખપત જેલમાં પૂરી દેવામાં આવ્યો. જેલની લંબચોરસ કોટડીમાં સળિયા પાછળ કેદ થયા બાદ તેણે જે પહેલું દ્રશ્ય જોયું તે અકલ્પ્ય હતું. એક સરદારજી કાળા પથ્થરના ટુકડા વડે પોતાના સંતાનનું નામ ફરી ફરીને લખી રહ્યા હતા. સારી એવી દિવાલને તેમણે એ નામ વડે ભરી દીધી હતી. દાણચોરને પૂછપરછ દ્વારા જાણવા મળ્યું કે સંતાનની યાદમાં ઝૂરતા એ શિખ ડિસેમ્બર, ૧૯૭૧ના યુદ્ધ દરમ્યાન પકડાયેલા ભારતીય યુદ્ધકેદી હતા, જેમને પાકિસ્તાને હજી જેલમાં ગોંધી રાખ્યા હતા. કોટડીમાં બીજા ભારતીય યુદ્ધકેદીઓ પણ હતા.

આ જાણકારી બાદ ‘સફારી’ના તંત્રીએ વધુ માહિતી એકઠી કરી. સૌથી વધુ બાતમી જેમણે આપી તે દેશપ્રેમી તો ખુદ ભૂતપૂર્વ ફૌજી અફસર હતા અને ૧૯૭૧ના યુદ્ધમાં છામ્બ-જુરિયા મોરચે લડ્યા હતા. જિનિવા કરારથી માંડીને ભારતના લશ્કરી કાયદાકાનૂનો સહિત અનેક પાસાં તેમણે સ્પષ્ટ કર્યાં, જે યુદ્ધકેદીઓને સ્પર્શતાં હતાં. (કેટલાક સમય પછી અમુક વિગતો દિલ્લીના ‘ધ સ્ટેટ્સમેન’ દૈનિકે પણ મેળવી હતી). દરમ્યાન પાક જેલોમાં ભારતીય યુદ્ધકેદીઓની તેમજ ભારતમાં તેમનાં પરિવારજનોની હૃદયદ્રાવક સ્થિતિને વર્ણવતો અને દેશના શાસકોની દેશદ્રોહ જેવી બેફિકરાઇને ખુલ્લી પાડતો તીખી શૈલીનો જે લેખ ‘ફ્લેશ’ સામયિકમાં પ્રગટ કરાયો તેણે વાચકોને ચોંકાવી દીધા. પહેલીવાર તેમણે જાણ્યું કે વતનનો સાદ પડ્યે જેઓ રણમોરચે ધસી ગયા એવા ભારત માતાના કેટલાય વીરસપૂતો પાક જેલોમાં હજી સબડતા હતા. ‘ફ્લેશ’નો લેખ વાંચ્યા બાદ એક વાચકે પ્રતિભાવ દર્શાવતું પરબીડિયું મોકલ્યું. અંદરના કાગળ પર લખ્યું હતું : ‘મારો આત્મા શરીરમાં ક્યાં વસે છે તે મને ખબર નથી, પણ લોહી વિશે જાણું છું. આંગળીના રક્તબિંદુઓ કાઢી બે શબ્દો લખી મોકલ્યા છે.’ શબ્દો હતા : ‘ધન્યવાદ’ અને ‘જય હિંદ’.

૧૯૭૧નું યુદ્ધ ખેલાયાને આજે ૪૦ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પાકિસ્તાનની જેલમાં પૂરાયેલા અને પાશવી અત્યાચારો વેઠી રહેલા ૫૪ ભારતીય જવાનોઅફસરોની નામાવલિ સંરક્ષણ મંત્રાલયની ફાઇલ પર છે. (ફાઇલ નં. 11 (120)/98-D (AG), Ministry of Defence). આમ છતાં તેમને ક્યારનાં મૃત્યુ પામી ચૂકેલા જાહેર કરી દેવાયા છે. સવાલ એ કે નામાવલિ જો નજર સામે હોય તો યુદ્ધકેદીઓની અદલાબદલી વખતે તેમની વાપસીનો આગ્રહ કેમ રખાયો નહિ ?

સિમ્પલ જવાબ : ઇન્દિરા ગાંધી સૌથી મોટાં કસૂરવાર હતાં, જેમને મન આપણા રણવીરો કરતાં રાજકારણ વધુ મહત્ત્વનું હતું. ઇન્દિરાનો જેમણે વિરોધ કર્યો એવા નાયબ સેનાપતિ લેફ્ટનન્ટ-જનરલ પી. એસ. ભગત સીનિયોરિટી મુજબ સેનાપતિ ન થાય એ માટે તત્કાલીન સેનાપતિ જનરલ બેવૂરની મુદત ૧૫ દિવસ વધારી દેવામાં આવી, જે દરમ્યાન ભગતની નિવૃત્તી માટેની તારીખ આવી પહોંચે. ઇન્દિરાની દ્રષ્ટિએ ભગતનો બીજો પણ ‘વાંક’ હતો. સિમલા કરાર મુજબ ૧૯૭૧ની યુદ્ધવિરામ રેખાને Line Of Control/LOC/અંકુશરેખામાં ફેરવવાની હતી. સીમાંકનનું કામ જેને સોંપાયું તે ભારતીય ટીમના સૂત્રધાર ભગત હતા. ઇન્દિરા માત્ર નકશા પર આંકણી કરાવી સિમલા કરારનો સુખરૂપ અને ઝડપી અમલ થયાનું દર્શાવવા માગતાં હતાં. ભગતે તે પ્રસ્તાવનો વિરોધ કર્યો, કેમ કે સામસામા કબજા હેઠળના પ્રદેશો વચ્ચેની ભેદરેખા હંમેશાં જમીન પર આંકીને ત્યાં પથ્થરના માર્કર્સ ગોઠવવા જોઇએ. રાષ્ટ્રહિતમાં આવી તકેદારી લેવાનો આગ્રહ રાખ્યા બદલ લેફ્ટનન્ટ-જનરલ પી. એસ. ભગત સેનાપતિના પદે ન પહોંચી શક્યા.
ઇન્દિરા ગાંધીએ લશ્કરી વડાઓને આડકતરો સંદેશો એ આપ્યો કે સરકારના ખોટા નિર્ણયને રાષ્ટ્રહિતમાં પણ કદી પડકારો નહિ. યુદ્ધકેદીઓની બાબતમાં પણ તેમનો એ જ પરોક્ષ સંકેત હતો. વડા પ્રધાનના નિર્ણયનો વિરોધ ન કરનાર જનરલ માણેકશાને ફિલ્ડમાર્શલનો શિરપાવ મળ્યો અને બેવૂરને સરકારે ડેન્માર્ક ખાતે રાજદૂત તરીકે નીમ્યા. હવાઇદળના પાયલટોની વાપસી બાબતે અડગ ન રહેલાં એર ચીફ માર્શલ ઓ. પી. મહેરા નિવૃત્તિ બાદ મહારાષ્ટ્રના અને ત્યાર પછી રાજસ્થાનના ગવર્નરનો હોદ્દો પામ્યા. નિવૃત્ત સેનાપતિઓને ગવર્નર કે રાજદૂત તરીકે નીમવાનો ધારો ત્યાર પછી તો કાયમી બન્યો. અમુક સેનાપતિઓ ઘણીવાર સરકારના ખોટા નિર્ણયને પણ નિવૃત્તિ પછીના હોદ્દાને ખાતર સ્વીકારી લેવા માટે લલચાય તેમાં રાષ્ટ્રીય સુરક્ષા ક્યારેક જોખમાય તેમ હતી.

 અહીં વિષય જો કે યુદ્ધકેદીઓને લગતો છે. તાજેતરનાં વર્ષોમાં ભારતીય યુદ્ધકેદીઓ વિશે પ્રાપ્ત થયેલી અનેક વિગતોએ આખી વાતને નવા પરિપેક્ષમાં મૂકી છે. ‘સફારી’ના જુલાઈ માસના અંકમાં ‘એક વખત એવું બન્યું...’ વિભાગમાં એ તમામ વિગતોને આવરી લેતી કથા રજૂ કરી છે. વાંચ્યા પછી લોહી તપી જવા ઉપરાંત આંખો પણ ભીની થાય એ બનવાજોગ છે.

Comments

  1. હદયસ્પર્શી લેખ.. ભારત ના નમાલા અને નપુંશક અને પ્રજા ના પૈસે એશોઆરામ માં ડૂબેલા નફ્ફટ રાજકારણીઓ ને કારણે છેલ્લાં ૪૦ વરસ થી પાકિસ્તાનની જેલ માં સબડી રહ્યા ૫૪ યુદ્ધકેદીઓ ને છોડાવવા ભારતની આજ સુધી ની એક પણ સરકારે કઈ નથી કર્યું એ અત્યંત ધૃણાસ્પદ અને લોહી ઉકળાવી દેનાર છે..

    હર્ષલજી અને આ બ્લોગ ના બધા વાંચકો ને નમ્ર વિનંતી છે કે આ લેખ ને જેટલો શક્ય હોય તેટલો ફેલાવો.. અને પ્રજા ને આ બાબત ની જાણ કરીને જાગૃત કરો..

    ReplyDelete
  2. Really its very shameful matter for us. Very true said by someone, that "Indians are People and not Civilian".
    I have read this matter too many times and even in the book "War-71", Chapter "Jo Laut Ke Ghar Na Aaye", and it makes us with tearful eyes.
    BUT everyone knows "TEARS HAVING NO VALUE UNLESS ITS CONVERTED IN ACTION"
    Please Harshal Jee, Suggest also in your article that what should a civilian do for this matter? We neither do like soldiers that we can go to border by holding rifle in our hand nor a part of government.
    WHAT ARE THE ACTIONS AFTER SUCH BURNING? OR JUST TEARS???????

    ReplyDelete
  3. ધવલભાઈ નો સવાલ સાચો છે. એક સામાન્ય માણસે આંસુઓ ને એક્શન માં કેમ બદલવા? ભારત ની તમામે તમામ સરકારો ને જોતા કોઈ પક્ષ પર ભરોસો કરાય એમ નથી. ભારત માં સંપૂર્ણ ક્રાંતિ ની જરૂર છે અને એનો સમય પણ પાક્યો છે. પણ એ ક્યારે થાય એ ભારત ની પ્રજા પર આધાર રાખે છે.
    -જય હિન્દ.

    ReplyDelete
  4. I ALSO AGREE WITH DHAVAL JOSHI. THIS IS SHAME FOR OUR COUNTRY BCOZ OF OUR POLITICIANS.
    SALUTE TO THOSE SOLDIERS AND YOUR TEAM.
    JAI HIND...
    VANDE MATARAM...

    ReplyDelete
  5. Please advise where is this article available in ENGLISH language? I Want to spread this to many many people.

    ReplyDelete
    Replies
    1. Safari English version- July 2012 Issue is the solution
      go ahead

      Delete
  6. WANT TO FILE AN RTI TO INDIAN GOVT TO ANSWER THIS.........

    ReplyDelete
  7. Harshalbhai me aa aakho article ek j bethak ma vachi lidho ane pehli vaar aapna politicians ni desh prtaye ni durbhavna aatli had sudhi jai sake che te khabar padi, banne lekho jandar rahya tamne ane Nagendrabhai ne abhinandan uprant hamna je ek tha tiger movie bane che teni story pan vachva mali je pan aapni politics no ek durbhavnano namuno che

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya