રાજકારણના ટોરપિડોનું ટારગેટ બનતું 'વિક્રાંત' જહાજ

દેશની સુરક્ષા માટે લેવાતાં પગલાં બાબતે આપણા રાજકીય શાસકો બોલે તે કરતાં વધુ તો તેમનાં નસકોરાં બોલતાં હોય છે. દક્ષિણ ચીની સમુદ્રમાં પેટ્રોલિયમની તથા નેચરલ ગેસની કાયદેસર શોધ ચલાવી રહેલાં આપણાં જહાજોની ચીનના નૌકાદળ દ્વારા થતી રંજાડ જોતાં તેમના રક્ષણ માટે ભારતે નૌકાકાફલો મોકલવો જોઇએ. આમ છતાં વડા પ્રધાને ગયે મહિને કમજોરીના પ્રદર્શન જેવી સ્પષ્ટતા કરી કે ભારત મધદરિયે ચીન જોડે ઘર્ષણમાં આવવા માગતું નથી.

ઠંડીગાર વાસ્તવિકતા એ છે કે ચીન જોડે સંઘર્ષમાં આવવા જેટલી ભારતીય નૌકાદળમાં ત્રેવડ જ નથી. ડિફેન્સના ક્ષેત્રે બળપ્રદર્શન માટે કાયમી પ્રથા અનુસાર જે નૌકાકાફલો રચવો પડે તેમાં કેંદ્રસ્થાને હુકમના પત્તા જેવું સંખ્યાબંધ લડાયક વિમાનો ધરાવતું વિમાનવાહક જહાજ હોય છે. આજુબાજુ તથા આગળપાછળ સંરક્ષક ડિસ્ટ્રોયર તથા ફ્રિગેટ મનવારો હંકારે છે, જ્યારે સાગરસપાટી નીચે શસ્ત્રસજ્જ સબમરિનો કાફલા સાથે પ્રવાસ ખેડતી હોય છે. એન્ટિ-સબમરિન હેલિકોપ્ટરો પેટ્રોલિંગ માટે હવામાં તૈનાત રહે છે. કાફલાને બળતણનો પુરવઠો આપવા ટેન્કર જહાજો પણ સાથે હંકારે છે. રોજનો સરેરાશ ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખતા આવા પરિપૂર્ણ અને પ્રબળ નૌકાબેડાને પડકારવો એ પ્રતિસ્પર્ધી દેશના નૌકાદળ માટે સહેલી વાત નથી.

આ જાતનો કાફલો ભારત દક્ષિણ ચીની સમુદ્ર માટે રચી શકે તેમ નથી. એક તો રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે અને બીજો અભાવ વિમાનવાહક જહાજોનો છે. અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર એમ બે મોરચા સંભાળતા ભારતીય નૌકાદળ પાસે ઓછાંમાં ઓછાં બે વિમાનવાહક જહાજો હોવાં જોઇએ, પરંતુ તેને બદલે એકમાત્ર ‘વિરાટ’ છેઅને તે પણ ૫૩ વર્ષ જૂનું છે. બીજા વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ને ૧૯૯૭માં રિટાયર કરી દેવાયા પછી આજ દિન સુધી નવા જહાજ વડે તેની ખોટ પૂરવામાં આવી નથી.

હવે લેટેસ્ટ ન્યૂઝ, જે બેડ ન્યૂઝ છે. ‘વિક્રાંત’નું સ્થાન લેવા માટે એ જ નામવાળા ૪૦,૦૦૦ ટનના અને ૨૬૦ મીટર લાંબા જે વિમાનવાહક જહાજના બાંધકામ માટે જાન્યુઆરી, ૨૦૦૩માં ગ્રીન સિગ્નલ અપાયું હતું તે ૨૦૧૭ પહેલાં બની રહેવાનું નથી. અત્યારે ‘વિક્રાંત’નું ફક્ત ૧૪,૦૦૦ ટન જેટલું બાંધકામ થયું છે. નૌકાદળને આવશ્યકતા તો ૬૫,૦૦૦ ટનના વિમાનવાહક જહાજની છે, પણ મુંબઇના મઝગાંવ જહાજવાડામાં તથા કોચિનના જહાજવાડામાં તેનું બાંધકામ હાથ ધરવા માટે જગ્યાની એટલી મોકળાશ નથી. આથી મઝગાંવના વહીવટીતંત્રએ નૌકાદળનો પ્રસ્તાવ સ્વીકારી ગુજરાતના ખાનગી માલિકીના બંદર પીપાવાવ જોડે સહયોગ કર્યો. આ બંદર ૫૦૦ એકરમાં પથરાયેલું છે અને બાંધકામ માટેની ગોદી પૂરા ૬૮૦ મીટર લાંબી તેમજ ૬૨ મીટર પહોળી છે. વિમાનવાહક જહાજનો રૂપિયા ૨,૯૭૫ કરોડનો ઓર્ડર મળ્યો, એટલે ગોદીના મેનેજમેન્ટે તેને ઓર વિકસાવવા કરોડો ડોલર હોમી દીધા. અંતે તો ખર્ચ વ્યર્થ ગયો, કેમ કે સપ્ટેમ્બર, ૨૦૧૧માં સંરક્ષણ મંત્રાલયે પીપાવાવ-મઝગાંવના પ્રોજેક્ટને અટકાવી દીધો.

પ્રશ્ન એ થાય કે ૬૫,૦૦૦ ટનનું વિરાટ કદ ધરાવતું વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ બાંધવા માટેની ઢાંચાગત વ્યવસ્થા એકમાત્ર પીપાવાવ ખાતે હોય તો બાંધકામ તાત્કાલિક શરૂ ન કરી દેવું જોઇએ ? અને કયું એવું કારણ છે કે જે દેશના સંરક્ષણ કરતાં પણ વધુ મહત્ત્વનું હોવાને લીધે બાંધકામ રોકી પાડવું રહ્યું ? રાજકારણ સિવાય બીજું એકેય કારણ દેખાતું નથી. પીપાવાવ ગુજરાતમાં છે. દેશનું તે પહેલું ખાનગી ક્ષેત્રનું બંદર છે, જેનો હજી પણ ભારતભરમાં જોટો નથી. વિમાનવાહક જહાજનું પીપાવાવ ખાતે સર્જન થાય અને ગુજરાતના વિકાસમાં તે નવું છોગું ગણાય એ કદાચ દિલ્લી સરકારને કઠે છે. 

બીજી તરફ ધારો કે પીપાવાવ-મઝગાંવના કોન્ટ્રાક્ટમાં સ્થાપિત નિયમોનો ભંગ થયો હોય તો પુનર્સમીક્ષા દ્વારા નીવેડો લાવી બાંધકામ તરત શરૂ કરી દેવું જોઇએ. સંરક્ષણના ક્ષેત્રમાં રાજકારણ માટે સ્થાન ન હોવું જોઇએ, પરંતુ રાજકીય હિત સાચવવામાં પડેલા આગેવાનોએ રાષ્ટ્રહિતને દાવ પર મૂકી દીધું છે.

Comments

  1. It is wrong.India is building indigeniously
    two aircraft carrier
    INS Vikrant would come in 2014 and its work is in completion Its weight is 45000 tonnes and 262 m long
    INS Vishal would come in 2017-19 and would weight 65000 tonne and would be similiar to USS Enterprise

    ReplyDelete
    Replies
    1. Tanmay,

      Please go through following links....and update your information.

      http://www.deccanherald.com/content/270024/navys-aircraft-carrier-not-ready.html

      http://articles.timesofindia.indiatimes.com/2012-07-16/india/32697935_1_iac-cbgs-aircraft-carrier

      Delete
  2. I wonder why India needs to spend this much on defense. Be sure that no other country needs to attack us, because our country is already sold to foreigners (which includes USA, Europe on economic front and China, Pakistan on military fronts, which is very clear from leaked secret documents caught from various spies, terrorists and caught red-handed traitors in Indian Army) by corrupt leaders and bureaucrats.

    ReplyDelete
  3. hello Pushkarna ji .. i have been waiting for yr next blog since 72 hrs... would u please let us know when it'll be posted ..?? The vendor has still not delivered me the current issue of safari... so need to read the editorial article here only..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya