સ‌િઅાચેનનો લશ્કરી મોરચો : જાનના ભોગે પણ સાચવવો જરૂરી કેમ?

ફેબ્રુઆરી ૩ના રોજ સિઆચેન ખાતે હિમપ્રપાતમાં ભારતના દસ જવાનો શહીદ થયા ત્યારે સમાચાર માધ્યમોમાં કેટલાક રાજકીય પંડિતોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે સિઆચેનમાંથી ભારતે તેની લશ્કરી ટુકડીઓ હવે કાયમી ધોરણે ખસેડી લેવી જોઇએ. હિમપહાડોમાં કુદરતી આફતો વચ્ચે અત્યાર સુધીમાં ભારતના સેંકડો જવાનોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. હજી આપણે બીજા કેટલા જવાનોની આહુતિ આપીશું ? વળી ૧૯૮૫થી સિઆચેનનું રખોપું કરવામાં ભારતીય લશ્કરે ઘણાં બલિદાનો આપ્યાં છતાં બદલામાં આપણે સિઆચેનમાં પાકિસ્તાન હસ્તકનો કેટલો પ્રદેશ મેળવી લેવામાં સફળ થયા ? એકાદ ઇંચ પણ નહિ ! તો પછી જ્યાં કદી કોઇ પણ પ્રકારનાં લશ્કરી છમકલાં અનુભવાતાં નથી તે સિઆચેનના પહાડોમાં આખરે આપણા જવાનોને જાનના જોખમ વચ્ચે તૈનાત શા માટે રાખવા જોઇએ ?

રાજકીય પંડિતોની દલીલો તર્કબદ્ધ છે. વિચાર માગી લે તેવી છે. આમ છતાં એક નક્કર વાસ્તવિકતાને તે બદલી શકે તેમ નથી--અને વાસ્તવિકતા એ કે સત્તાની જેમ શાંતિ પણ હંમેશાં બંદૂકની નાળમાંથી પ્રગટ થાય છે. વળી સિઆચેનને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વ એ વાતનું નથી કે ભારતે દુશ્મનનો કેટલો ભૌગોલિક પ્રદેશ મેળવ્યો, બલકે અગ્રિમ મુદ્દો એ છે કે ભારતે કેટલો પ્રદેશ દુશ્મનોના હાથમાં જતો બચાવી લીધો. પાક કબજાના કાશ્મીર અને અક્સાઇ ચીન વચ્ચે સિઆચેનનો પ્રદેશ બફર ઝોન છે. અગર તો એમ કહો કે રીતસરની ફાચર છે, જેણે પાક લશ્કરને લદ્દાખમાં પ્રવેશતું રોકી રાખ્યું છે. ફાચર રખે નીકળી જાય તો પાકિસ્તાન તેનું લશ્કર લદ્દાખની નુબ્રા ખીણમાં ઉતારીને ત્યાં જોતજોતામાં કબજો જમાવી લે. પાટનગર લેહનો વારો પણ વહેલોમોડો આવે. આમ, લગભગ ૮૬,૦૦૦ ચોરસ કિલોમીટરના લદ્દાખની સુરક્ષાનો બધો દારોમદાર સિઆચેનમાં તૈનાત આપણા જવાનોના શિરે છે. ‘સાવધાની હટી, તો દુર્ઘટના ઘટી’ એ જાણીતું વાક્ય સિઆચેનના કેસમાં ફિટ બેસે છે. આ વાક્યનો પ્રેક્ટિકલ પરચો વળી આપણે ૧૯૯૯માં મેળવી ચૂક્યા છીએ કે જ્યારે કારગિલ, દ્રાસ અને બટાલિકની ઉત્તુંગ ચોકીઓમાં તૈનાત ભારતીય જવાનો આકરા શિયાળાથી બચવા તેમની ચોકીઓ તજીને નીચે ઊતરી આવ્યા. ખાલી પડેલી ચોકીઓમાં ત્યારે પાક સૈનિકોએ કબજો જમાવી દીધો અને છેવટે ૭૨ દિવસ લાંબું યુદ્ધ ખેલીને (અને ૫૨૭ જવાનોને ગુમાવીને) ભારતે એ તમામ ચોકીઓ પાછી મેળવી.

સિઆચેન તેમજ તેની ઉત્તર-પૂર્વે કારાકોરમ ક્ષેત્રમાં આપણને પાકિસ્તાનનો જેટલો ખતરો છે એટલો ચીનનો પણ છે. એક હકીકત અહીં નોંધવી રહી કે ૧૯૫૦માં ચીને કારાકોરમ ક્ષેત્રમાં ભારતભૂમિ સોંસરવો ૧,૨૦૦ કિલોમીટર લાંબો માર્ગ બાંધ્યો હતો અને દિલ્લી સરકારને તે વાતની ગંધ સુધ્ધાં આવી નહોતી. ધોરીમાર્ગ વડે પાકિસ્તાનને (પાક હસ્તક કાશ્મીરને) ચીન સાથે જોડી દેવા માગતી બિજિંગ સરકારની ગહેરી ચાલ વિશે ભારતને જાણ થઇ ત્યાર પછી સિઆચેનના તેમજ કારાકોરમના મોરચે લશ્કરી નાકાબંદી રચી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ હકીકતને કેંદ્રમાં રાખીને હવે એ વિચારો કે છ દાયકા પહેલાં સામ્યવાદી ચીને જમ્મુ-કાશ્મીર રાજ્યની ઉત્તર-પૂર્વે નધણિયાતી ભારતભૂમિમાં રસ્તા બાંધ્યા, તો આજનું વિસ્તારવાદી ચીન ધારે તો ત્યાં શું ન કરી શકે ? ચીન પોતાના ભૌગોલિક સીમાડા બધી દિશામાં વધારી રહ્યું છે અને એમ કરવા જતાં ભારત સહિત બાવીસ દેશો સાથે સરહદી વિખવાદે પડ્યું છે. પરંતુ વિખવાદોની બિજિંગ સરકારને પડી નથી. દાદાગીરીના ધોરણે તે પોતાની વિસ્તારવાદી પ્રવૃત્તિ ચાલુ રાખે છે, જેનો એક તાજો દાખલો જુઓ ઃ દક્ષિણ ચીની સમુદ્રમાં ખનિજતેલથી સમૃદ્ધ વૂડી ટાપુ પર તાઇવાન અને વિએતનામ વર્ષો થયે પોતાની માલિકી જતાવી રહ્યા છે. બીજી તરફ ચીન વૂડી ટાપુને પોતાનો ભૌગોલિક પ્રદેશ ગણાવતું આવ્યું છે. ત્રણેય દેશો વચ્ચે વૂડી ટાપુને લઇ રાજકીય ખટરાગ ઘણાં વર્ષ ચાલ્યો. આખરે ફેબ્રુઆરી ૧૭, ૨૦૧૬ના રોજ બિજિંગ સરકારે એ ટાપુ પર વિમાનવિરોધી મિસાઇલોની જમાવટ કરીને ખટરાગનો કાયમી નિવેડો આણી દીધો. પત્યું! તાઇવાનની કે વિએતનામની હવે શી મજાલ કે વૂડી ટાપુના મુદ્દે ચીની ડ્રેગન સાથે તે બાથ ભીડે ?


છેલ્લે સિઆચેન-કારાકોરમ ક્ષેત્રને ફરી ચર્ચાના ફોકસમાં લાવીએ. અક્સાઇ ચીનને પાક હસ્તક કાશ્મીરના ગિલગિટ સાથે જોડતો ૧૦ મીટર પહોળો ધોરીમાર્ગ હાલ બિજિંગ સરકાર રૂા.૭૫૦ કરોડના ખર્ચે ૩૦ મીટરનો બનાવી રહી છે. ચીનની વિસ્તારવાદી નીતિ જોતાં સ્પષ્ટ વાત છે કે સિઆચેન-કારાકોરમ ક્ષેત્રમાં ચીન વહેલુંમોડું તેની લશ્કરી ગતિવિધિ વધારવાનું છે. આ તરફ પાકિસ્તાન (વાયા સિઆચેન) લદ્દાખમાં પેસારો કરવા તલપાપડ છે. આવા વખતે આપણા જવાનો લોખંડી દીવાલ બનીને સિઆચેનના મોરચે ઊભા હોય ત્યારે એ દીવાલ ખસેડી દેવાની તો વાત ભૂલી જાવ, તેમાં ફાંકું સુધ્ધાં  પડવું ન જોઇએ.

Comments

  1. If safari can understand this?
    Why our leaders can't?

    ReplyDelete
  2. હર્ષલ પુષ્કર્ણાજી,
    સફારી હુ નિયમિત વાંચુ છું.
    પણ એક નાની વાત કહેવાનુ મન થાય છે કે તમારા National sequarity ના લેખ મને હંમેશા કલાકો સુધી વિચારતો કરી દે છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya