ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ?

ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSGનું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSGના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSGનું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSGનું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને NSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSGના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે.
ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ઉમેરો કરવાનો છે. વિદેશી યુરેનિયમ મેળવ્યા વિના એ શક્ય નથી. બીજી તરફ અણુઊર્જાની બાબતે ભારત વૈશ્વિક લેવલે જ્ઞાતિબહાર મૂકાયેલો દેશ છે. મે ૧૮, ૧૯૭૪ના રોજ ભારતે પોકરણ ખાતે પહેલો અણુધડાકો કર્યા પછી જગતભરમાં હોબાળો મચ્યો. ૧૯૭૫માં અમેરિકાની સરદારી નીચે એ દેશોના પ્રતિનિધિઓ લંડનમાં ભેગા મળ્યા કે જેઓ અણુઊર્જાને લગતો સરંજામ નિકાસ કરે છે. ભારત પર તહોમત એ મૂકાયું કે અમેરિકાએ તથા કેનેડાએ તેને જે યુરેનિયમ તથા અણુરિએક્ટર વેચ્યાં તેમનો ઉપયોગ તેણે અણુબોમ્બ બનાવવા માટે કર્યો. આ દેશોએ તાબડતોબ ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નામનું મોનોપલી જૂથ રચી દીધું. જૂથે સર્વસંમતિએ ઠરાવ્યું કે ભારત જેવા ‘આડે પાટે’ ગયેલા કે જાય તેવા દેશોને યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સમૃદ્ધિકરણ માટેનાં સાધનો ઇત્યાદિ વેચવા નહિ.

આમ, ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG વાસ્તવમાં અણુક્ષેત્રે મુખ્યત્વે ભારતના હુક્કાપાણી બંધ કરાવાના આશયે રચાયેલું બહુરાષ્ટ્રીય સંગઠન છે. આજે તે સંગઠનમાં ચીન સહિત કુલ ૪૮ સભ્યદેશો છે, પણ ભારત નથી. અગાઉની કેંદ્ર સરકારોએ સભ્યપદ માટે કોશિશો પણ કરી નથી. વર્તમાન સરકારે ઝુંબેશ ઉપાડી અને રશિયા, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે અગ્રગણ્ય દેશોને ભારતની તરફેણમાં લાવી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તરે ડિપ્લોમેટિક અભિયાન મુખ્ય ત્રણ કારણોસર ચલાવ્યું :

(૧) ભારત NSGનું સભ્ય થાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ તેને મળે, જે પ્રતિબંધોને લીધે છેલ્લાં ચાલીસેક વર્ષ થયે મળ્યો નથી. 

(૨) અણુશક્તિની બાબતમાં આવશ્યક તમામ પ્રણાલી-પુરવઠો છૂટથી ઉપલબ્ધ થયા બાદ ભારત પરમાણુ શસ્ત્રોની રેસમાં પાકિસ્તાન કરતાં આગળ નીકળી શકે અને વખત જતાં ચીનનું સમોવડિયું બની શકે તે NSGનું સભ્યપદ હાંસલ કર્યાનો બીજો ફાયદો છે. ભારતની સરખામણીએ પાકિસ્તાન હાલ વધુ અણુશસ્ત્રો ધરાવે છે. અમેરિકી સૂત્રો મુજબ પાકિસ્તાન વર્ષેદહાડે ૨૦ અણુશસ્ત્રો તૈયાર કરી રહ્યું છે, જ્યારે ભારત ફક્ત ૫ બનાવે છે. આપણને તંગી યુરેનિયમની વરતાય છે. અણુપ્રસારને રોકતી સંધિ પર આપણે સહી કરી નથી, માટે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમ ખરીદી શકતા નથી. ભારત NSGનું સભ્ય થાય તો મુક્ત રીતે યુરોનિયમની ખરીદી થઇ શકે. 

(૩) લાત્વિયા અને બેલારૂસ જેવા ચિલ્લર દેશો પણ NSGના સભ્યો છે. નવાઇ તો એ કે અમુક સભ્યદેશો અણુકાર્યક્રમ ધરાવતા જ નથી. આ દેશોના પ્રતિનિધિઓ NSGની બેઠકમાં મંત્રણના રાઉન્ડ ટેબલ ફરતે ગોઠવાયેલા હોય અને બીજી તરફ એશિયન સુપરપાવરના દરજ્જે ઝડપભેર પહોંચવા માંડેલા ભારતે દરવાજાની બહાર રહેવું પડે એ સ્થિતિ માનભરી નથી. દુનિયાના ૪૮ જેટલા દેશોના વિશિષ્ટ જૂથમાં ભારતની ગણના ન થવાને લીધે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિભા તેમજ પ્રભાવ બેયને ધક્કો પહોંચ્યો છે.

આ જૂથમાં છેવટે ભારતને પ્રવેશ ન મળ્યો, કારણ કે એશિયામાં પોતાની રાજકીય તથા લશ્કરી વગ જાળવી રાખવા માગતું (અને ભારતને યુરેનિયમથી વંચિત રાખવા માગતું) ચીન અડચણો નાખ્યા વિના ન રહ્યું. આમ છતાં ભારતે કૂટનીતિની લાંબી કસરત એટલા માટે કરી કે વિશ્વમતને પોતાની તરફેણમાં લાવવો હતો અને ચીનને એકલું પાડી દેવું હતું. ટૂંકમાં, ભારતે (સફળતાપૂર્વક) માંડેલો ખેલ ડિપ્લોમેટિક હતો. એ વાત જુદી કે દેશનું બહુધા મીડિઆ તે ખેલ સમજી ન શક્યું અને ચીને ભારતનું સૂરસૂરિયું કરી નાખ્યાના ન્યૂઝ સાથે તેણે મામલો ચગાવ્યો.

Comments

  1. Great information, thank you team safari.

    ReplyDelete
  2. Samaysar and deshdaz sathe Satya nu samanvay etle SAFARI

    ReplyDelete
  3. અણૂ ઉર્જાને લગતી ટેક્નોલોજી, એન્જિનીયરીંગ અને સાધનોનાં ઉત્પાદન બાબતે અત્યાર સુધી આપણો અભિગમ આપણાં આ વિષયનાં રાષ્ટ્રીય સંસ્થાનો પૂરતો મર્યાદિત રહ્યો. જેમ જેમ આ સંસ્થાનોએ પોતાનું કાર્યક્ષેત્ર વિકસાવ્યું તેમ તેમ ખાનગી ક્ષેત્ર માટે પણ તે વિષેનાં ઉત્પાદનોમાં હિસ્સો લેવાનું શક્ય બનતું ગયું.આમ આ ક્ષેત્ર હવે વિકાસને એક મહ્હ્ત્વ્વના તિભેટે આવી પહોંચ્યો છે.
    આજે હવે જો આપણા પ્રયાસોને વિશ્વ સ્તરે મૂકવામાં આવે તો આપણો ખૂદનો વિકાસ પણ વિશ્વ સ્તરનો બની શકે. એ રીતે ભારતને એક નવાં જ ક્ષેત્રમાં વિકસવા માટેનું બજાર પણ મળે.
    ચીનને આ પણ ન પોષાય એ તો દીવા જેવી વાત છે. તેમાં વળી આંતરરાષ્ટ્રીય રાજકારણનો રંગ ઉમેરાય એટલે આપણો આ પ્રયાસ આપણામાંના જ કેટલાકને હાસ્યાસ્પદ લાગે.
    પણ એ અભિગમ દુઃખદ છે.
    આપના એ લેખ દ્વારા સામાન્ય લોકો સુધી આ સંકુલ વિષય સહેલાઈથી પહોંચી શકશે તે ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસનાં વિવિધ પાસાંઓ સમજવા માટે સમાજમાં જે જાગૃતિ જોઈએ તે દિશામાં બહુ મોટું યોગદાન નીવડશે..

    ReplyDelete
  4. I've always loved your insightful articles Harshal Sir and that would always the be the first thing I look forward to reading with Safari in my hands.

    ReplyDelete
  5. Interpretation of news is more important than just read and criticize it.Our media has become dumb now.They only sell the news.But Safari,You are doing great job to show us another side of a coin with meaningful details...

    ReplyDelete
  6. very insightful article as you write the serious issues with very lucid and meticulous way always...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya