'અોપરેશન બ્રાસટેક્સ' : પા‌ક‌િસ્‍તાનને પાસરું કરવાનું સ્વપ્ન, જે અકાળે તૂટી ગયું !

૧૯૭૧માં ભારતીય લશ્કરે પાકિસ્તાન સામે ભીષણ યુદ્ધ ખેલીને એ દેશના બે ટુકડા કર્યા ત્યારે એમ જણાતું હતું કે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગલા દેશ) નામની એક પાંખ ગુમાવી દીધા પછી પાક લશ્કરી સરમુખત્યારો ચુમાઇને બેસી રહેશે. ભવિષ્યમાં ભારતને છંછેડવાની ગુસ્તાખી નહિ કરે, માટે ભારતીય ઉપખંડમાં કાયમી શાંતિ સ્થપાશે. આ ધારણા ખોટી પડી. ખરેખર તો ૧૯૭૧માં ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનની માફક સિંધ પ્રાંતને પણ એ જ વખતે છૂટું પાડી દેવાની જરૂર હતી. પાંખ અને પગ વગરનું શેષ બચેલું પાકિસ્તાન ભવિષ્યમાં કદી ભારતને પડકારી શકત નહિ. પરંતુ ભારતે એ મોકો જતો કર્યો.

બીજો મોકો બરાબર ૧૫ વર્ષ પછી ૧૯૮૬માં આવ્યો કે જ્યારે આપણા આક્રમક મિજાજવાળા સેનાપતિ જનરલ કે. એસ. સુંદરજીએ શસ્ત્રો વડે સિંધનું સર્જીકલ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. સિંધ-રાજસ્થાન સરહદે તેમણે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની અત્યંત જંગી પાયે લશ્કરી કવાયત યોજી. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્કોનો અને તોપોનો કાફલો ગોઠવાયો. કુલ ૧૩ લશ્કરી ડિવિઝનો એકઠી થઇ. (એક ડિવિઝન = ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ સેનિકો). બીજા વિશ્વયુદ્ધ પછીની એ મોટામાં મોટી લશ્કરી જમાવટ હતી, જેણે કેટલાય દેશોના લશ્કરી અફસરોને ચકરાવામાં નાખી દીધા. આ કવાયત વધુ પડતી શંકા ન જગાડે તે માટે જનરલ સુંદરજીએ જાહેર કર્યું કે, ‘ભારતનાં પાયદળ, તોપદળ અને બખ્તરિયા દળ કદી સંયુક્ત કમાન્ડ નીચે રહીને લડ્યાં નથી. વિદ્યુતવેગી આક્રમણ કરવાનો અથવા તો વિદ્યુતવેગી આક્રમણને મારી હટાવવાનો પ્રપ્રેક્ટિકલ અનુભવ પણ તેમને નથી, માટે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ દ્વારા તેમને મહાવરો આપવો જરૂરી હતો.’
'અોપરેશન બ્રાસટેક્સ'ના બહાને પાક‌િસ્તાનને માસ્ટર સ્ટ્રોક મારવાનો પ્લાન ઘડનાર ખુશ્કી સેનાપત‌િ જનરલ સુંદરજી
આ સરાસર બહાનું હતું, જેની ઓથે જનરલ સુંદરજીનો સિક્રેટ પ્લાન એકાએક સરહદ ઓળંગીને પાકિસ્તાનની અંદર રોજના ૬૦ કિલોમીટરનો પેસારો કરી ત્રણ દિવસમાં મિરપુર ખાસનો તથા પાંચ દિવસમાં પાકિસ્તાન ખાતેના હૈદરાબાદનો કબજો લેવાનો હતો. આ બન્ને શહેરોને જીત્યા બાદ સિંધને તેઓ બાકીના પાકિસ્તાનથી છૂટું પાડી દેવા માગતા હતા. સિંધની પ્રપ્રજાને આમેય પાકિસ્તાનની પંજાબી અને બલુચી પ્રપ્રજા સામે અસંતોષ હતો. વર્ષોથી ત્યાં ‘જિયે સિંધ’ની ચળવળ પણ ચાલતી હતી, જેનો ઉદ્દેશ સિંધ પ્રપ્રાંતને બાંગલા દેશની જેમ અલગ રાષ્ટ્રમાં ફેરવવાનો હતો. આથી ભારતનું લશ્કરી પીઠબળ મળે તો બાંગલા દેશમાં બન્યું તેમ સિંધમાં પણ સ્થાનિક પ્રપ્રજા ઇસ્લામાબાદ સામે વિદ્રોહે ચડે અને સિંધ પ્રાંતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરે એવી જનરલ સુંદરજીની ગણતરી હતી. આ ગણતરીને મૂર્ત સ્વરૂપ આપવા જ તેમણે પાક સરહદે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની લશ્કરી કવાયત હાથ ધરી હતી.

અફસોસ કે જનરલની ગણતરી પાર ન ઉતરી. ખુશ્કી સેનાપતિ કશુંક છૂપાવતા હોવાની ગંધ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને પહોંચી કે તરત તેમણે બધી ડિવિઝનોને પાક સરહદેથી પાછી ખેંચી લેવાનો હુકમ આપ્યો. પત્યું ! સિંધ નામનું સફરજન ખેરવી લેવાનો ભાગ્યે જ મળે એવો ગોલ્ડન ચાન્સ હાથમાં આવીને સરી ગયો. સૈન્યમાં હતાશા ફરી વળી. જનરલ સુંદરજી તે સમયે જો પોતાનું ધાર્યું કરી શક્યા હોત તો આપણે કાશ્મીરમાં આટલો લોહિયાળ ત્રાસવાદ વેઠવાના દિવસો કદાચ આવત નહિ. કારણ કે સિંધ નામનું બાવડું ગુમાવ્યા પછી PAKISTAN શબ્દમાંથી S નાબૂદ થયાના આઘાતે પાક સત્તાધીશોના બધા અભરખા દૂર કરી દીધા હોત. સાગરકાંઠો ધરાવતું સિંધ ગુમાવ્યા પછી બાકીનું પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મૂકાયું હોત અને જળમાર્ગે ચાલતો તેનો આયાત-નિકાસ વેપાર ઠપ્પ થઇ જતાં અર્થતંત્રને મોટો ફટકો વાગ્યો હોત.

નથી લાગતું કે જનરલ સુંદરજીનો જુગારી દાવ ભારતે ખરેખર રમવાલાયક હતો ? પાકિસ્તાનની લશ્કરી તાકાત આજે છે તેટલી ૧૯૮૬ના તે સમયે ન હતી. પાકિસ્તાનના ખુશ્કીદળમાં રેડાર ગાઇડેડ તોપો ન હતી, જે આજે છે. હવાઇદળમાં ચીની બનાવટનાં કેટલાંક વિમાનો ન હતાં, જે આજે છે. નૌકાદળમાં કેટલીક મિસાઇલ સજ્જ મનવારો તેમજ આધુનિક સબમરીનો ન હતી, જે આજે છે. આજે તેની પાસે અણુબોમ્બ છે અને વળી તે અણુબોમ્બ ફેંકવા માટે ચીની બનાવટનાં મિસાઇલો છે, જે ૧૯૮૬માં ન હતાં. આથી પાકિસ્તાનને હંમેશ માટે પાંસરુ કરી દેવા માટે જનરલ સુંદરજીએ શોધેલો મોકો ભારત માટે કદાચ છેલ્લો હતો. આ મોકો ગુમાવ્યાનાં અનેક માઠાં પરિણામો ભારત ૧૯૮૬થી આજ દિન સુધી ભોગવી ચૂક્યું છે. ગયે મહિને કાશ્મીરના ઉરી પર થયેલો આતંકવાદી હુમલો તેનો વધુ એક દાખલો છે.

Comments

  1. નમસ્તે સર
    આપને વિનંતી છે કે એક મહિનામાં એક કરતા વધારે બ્લોગ લખવાનુ રાખો.
    હુ જાણુ છુ કે "સફારી"ના કામમાંથી ઓછો સમય મળતો હશે પણ પ્લીઝ બને તો પ્રયત્ન કરજો.

    સફારી અનેકાનેક સીમાચિહ્નો પૂર્ણ કરે તેવી આપને શુભેચ્છા

    મિતુલ (વિદ્યા સહાયક)
    મોટાસેબલિયા પ્રાથમિક શાળા
    તા. પોશીના
    જિ. સા.કા.

    ReplyDelete
  2. પાકિસ્તાન ના પરમ મિત્ર અને રક્ષક એવા ચિન વિશે બહુ ભ્રમ છે. તો ચિન ના ભુતકાળ અને વર્તમાન વિશે વિસ્તાર થી માહીતી આપશો એવી વિનંતી છે..

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya