અંકુશરેખા પર ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે કોરોનાવાઇરસની પેશકદમીના પાકિસ્તાની ષડયંત્ર સામે...
🇮🇳 ભારતીય લશ્કરનું કાબીલે તારીફ તડ ને ફડ 💪
અંકુશરેખાની પેલે પાર પાકિસ્તાનનાં દેખી ન શકાતાં લક્ષ્યાંકોનું મોતી ભારતીય તોપચીઓ કેવી રીતે વીંધી નાખે છે?
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
માર્ચ, ૨૦૨૦થી આખું જગત જ્યારે કોરોનાવાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાને ભારત માટે લડાઈનો વધુ એક મોરચો ખોલી દીધો છે. એક મહિનાથી પાકિસ્તાની ખુશ્કીદળ જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થતી અંકુશરેખા (લાઇન ઓફ કન્ટ્રોલ) પર તૈનાત આપણી લશ્કરી ચોકીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારો તરફ ભીષણ તોપમારો તથા ગોળીબાર કરી રહ્યું છે.
અંકુશરેખા પર આમેય બે દેશો વચ્ચે ગરમાગરમીનો માહોલ હોય, પરંતુ મહિના દિવસથી પાકિસ્તાને ફાયરિંગ વધારી દીધા પછી રીતસર ધમાચકડી મચી છે. આપણા જવાનો દુશ્મનને બહુ કઠોર અને કરારો જવાબ આપી ચૂક્યા છે. હજી આપી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય કે આખું જગત જ્યારે કોવિડ-૧૯ના ભરડામાં સપડાયું છે ત્યારે પાકિસ્તાને અંકુશરેખા પર ઓચિંતું ફાયરિંગ શા માટે વધારી દીધું?
થોડીક પૂર્વભૂમિકા સાથે આનો જવાબ તપાસીએ. જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૨માં અંકાયેલી બહુચર્ચિત અંકુશરેખા છેલ્લા પાંચેક દાયકાથી બેઉ દેશો વચ્ચે રાજકીય વિવાદનો અને લશ્કરી વિખવાદનો મુદ્દો રહી છે. મુદ્દાનું બીજ રોપાયું ઓક્ટોબર, ૧૯૪૭માં કે જ્યારે પાકિસ્તાને કાશ્મીરના ઉત્તરી તથા પશ્ચિમી પ્રદેશો પર આક્રમણ કર્યું. ભારતના હાથમાંથી કાશ્મીર કદાચ ગયું હોત, પણ ભલું થાય ભારતીય લશ્કરના બહાદુર જવાનોનું કે જેઓ અણીના મોકે કાશ્મીર આવી પહોંચ્યા. પાક હુમલાખોરોને મારી હટાવવા વીરતાપૂર્વક લડ્યા અને ગુમાવેલો ­પ્રદેશ ફરી હસ્તગત કરવા લાગ્યા. યુદ્ધમાં આપણું પલ્લું વજનદાર હતું એટલું જ નહિ, રણભૂમિ પર પોતાનું લોહી રેડીને ભારતનો વિજયધ્વજ ખોડ્યે જતા જવાનોની વીરતાના ફળસ્વરૂપે પલ્લું પ્રતિદિન ભારે બની રહ્યું હતું. આમ છતાં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ નં. ૧૩ મુજબ જાન્યુઆરી ૧, ૧૯૪૯ની મધરાતે આપણે યુદ્ધવિરામ સ્વીકારી લીધો. જમ્મુ-કાશ્મીરનો ચાલીસેક ટકા પ્ર­દેશ ત્યારે પાકિસ્તાનના કબજામાં હતો.
***અંકુશરેખા કે નિરંકુશરેખા?***
અકાળે જાહેર કરાયેલા યુદ્ધવિરામે પાક હસ્તકના કાશ્મીર પ્રદેશને જીતી લેવાની તક ભારતના હાથમાંથી ખૂંચવી લીધી. જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ બન્ને દેશોનાં લશ્કરો યુદ્ધભૂમિ પર જ્યાં હતાં ત્યાંથી યુદ્ધવિરામ રેખા અમલમાં આવી. જો કે તે રેખા અસ્પષ્ટ હતી. અક્ષાંશ-રેખાંશના સંદર્ભે વ્યવસ્થિત રીતે અંકાયેલી ન હોવાથી જમ્મુ-કાશ્મીરના નકશામાં તેને સ્પષ્ટ દર્શાવી શકાતી નહોતી. આખરે ૧૯૭૧ના યુદ્ધ પછી યુદ્ધવિરામ રેખાને નવેસરથી આંકવામાં આવી અને તે અંકુશરેખા (લાઇન ઓફ કન્ટ્રોલ) તરીકે ઓળખાવા લાગી.
લગભગ ૭૪૦ કિલોમીટર લાંબી અંકુશરેખા ભારત માટે અત્યંત સેન્સિટિવ ક્ષેત્ર છે, કેમ કે
(૧) એ લાંબા પ્રવેશદ્વાર મારફત પાકિસ્તાન તેના સશસ્ત્ર આતંકખોરોને ભારતના કાશ્મીરમાં ઘુસાડે છે અને
(૨) આતંકવાદીઓ ઘૂસી શકે એ માટે પાકિસ્તાની લશ્કર તોપમારો કરી અંકુશરેખાની ચોકીઓમાં તૈનાત ભારતીય સૈનિકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.
શાંતિકાળ દરમ્યાન અંકુશરેખા પર ફાયરિંગ ન કરવું એ પ્રકારની દ્વિપક્ષી સમજૂતી ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૦૦૩ની સાલમાં થઈ હતી. છતાં પાકિસ્તાની લશ્કરે તે સંધિની ઐસીતૈસી કરી તેને કાગળ પૂરતી જ સીમિત રાખી છે. માન્યું કે અંકુશરેખા પર ગોલંદાજી તેમજ ગોળીબાર બન્ને દેશો કરે છે, પરંતુ પહેલ હંમેશાં પાકિસ્તાન તરફથી થતી હોય છે. શત્રુ તરફથી વારંવાર કનડગત થાય ત્યાર પછી ભારત ‘એક લુહાર કી’ જેવો સણસણતો જવાબ દે છે. ભૂતકાળમાં એવું બનતું આવ્યું છે. તાજેતરમાં પણ એમ જ બની રહ્યું છે.
***પાકિસ્તાને ફાયરિંગ કેમ વધાર્યું?***
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાને ૩૬૭ વખત ભારતીય દળો પર ફાયરિંગ કર્યું. ફેબ્રુઆરી માસનો ફિગર ૩૬૬ રહ્યો, જ્યારે માર્ચમાં વધીને ૪૧૧ સુધી પહોંચ્યો. અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા કરાતા ફાયરિંગના વધતા બનાવો જોતાં એપ્રિલ માસનો ફિગર પણ ઊંચો રહેવાનો એ નક્કી માનજો, કેમ કે તોપમારાની આડમાં શક્ય એટલા વધુ આતંકવાદીઓને (અને તેમની સાથે કોરોનાવાઇરસને) ભારતમાં ઘૂસાડવાનો પાકિસ્તાને કારસો રચ્યો છે. આથી જ અંકુશરેખા પર તૈનાત ભારતીય ખુશ્કીદળની ૧પમી કોરના સેનાપતિ લેફ્ટનન્ટ-જનરલ બી. એસ. રાજુએ તેમના લશ્કરી દળને વધુ સતર્ક કરી દીધું છે. પાકિસ્તાની ફાયરિંગનો જવાબ આપણે ફાયરિંગ વડે (ક્યારેક બમણાથી વધારે તીવ્ર ફાયરિંગ વડે) આપી રહ્યા છીએ એટલું જ નહિ, પણ અત્યાર સુધી ૪૧ આતંકીઓનો ખાતમો બોલાવી ચૂક્યા છીએ.
આમાંના પાંચ આતંકીઓને તો આપણા બહાદુર યોદ્ધાઓએ એપ્રિલ, ૨૦૨૦ના આરંભે એકાદ અઠવાડિયા લાંબી સંતાકૂકડી બાદ શોધીને ઠાર માર્યા હતા. બન્યું એવું કે માર્ચ, ૨૦૨૦ની આખરમાં પાક લશ્કરે નીલમ ખીણપ્રદેશના કેરન ક્ષેત્ર ખાતે ભારતીય છાવણીઓ તરફ ગોળીઓ તથા તોપગોળા દાગવા શરૂ કર્યા. આપણા જવાનો પ્રતિકારમાં પરોવાયેલા રહ્યા એ દરમ્યાન પાંચ આતંકવાદીઓ અંકુશરેખા પાર કરીને ઘૂસી આવ્યા. બીજે દિવસે ભારતીય જવાનોની એક પેટ્રોલિંગ ટુકડીને અંકુશરેખા પાસે તારની વાડ પાસેના હિમમાં પગલાંની છાપ જોવા મળી. ફૂટપ્રિન્ટના આધારે ઘૂસણખોરોની સંખ્યાનો અંદાજ બાંધવામાં આવ્યો અને તેમનું તલાશી અભિયાન શરૂ કરાયું.
ત્રણ દિવસ તેમના ઠામ-ઠેકાણાની બાતમી મેળવવામાં લાગ્યા. જાણકારી મળી કે પાંચે પાંચ આતંકવાદીઓ કુપવાડામાં સંતાયેલા છે. ચોથા દિવસે ભારતના સ્પેશ્યલ ફોર્સિસ જવાનોની બે ટીમોને આતંકવાદીઓને પડકારવા માટે રવાના કરી દેવામાં આવી. એપ્રિલ પ, ૨૦૨૦ના રોજ આપણા જવાનોએ કમરબૂડ હિમમાં તલાશી અભિયાન ચલાવીને પાંચેય આતંકવાદીઓને શોધી કાઢ્યા અને તેમને આંતર્યા. આત્મસમર્પણ કરવા જણાવ્યું, પણ બદલામાં આતંકીઓએ ગોળી વરસાવી. મોડી સાંજે શરૂ થયેલી મૂઠભેડ બીજે દિવસે સવાર સુધી ચાલી, જે દરમ્યાન પાંચ પૈકી ચાર આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા હતા. પાંચમો નાસી છૂટ્યો. જો કે અંકુશરેખા નજીક તેને પણ ગોળીએ દેવાયો.
***શત્રુને ભારતનો સણસણતો જવાબ***
મિશન સફળ રહ્યું, પણ તેની આકરી કિંમત ભારતે ચૂકવવી પડી. સ્પેશ્યલ ફોર્સિસના પાંચ કમાન્ડો સૂબેદાર સંજીવ કુમાર, પેરાટ્રુપર બાલ કૃષ્ણ, પેરાટ્રુપર છત્રપાલ સિંહ, હવાલદાર દેવેન્દ્ર સિંહ અને પેરાટ્રુપર અમિત કુમાર શહીદ થયા હતા.
આ સપૂતોનું બલિદાન એળે જાય એ તો કેમ ચાલે? આથી ત્રણ દિવસ પછી કુપવાડા ક્ષેત્રની ભારતીય છાવણીઓ પાંચેય શહીદ કમાન્ડોના લોહીનો બદલો વાળવા મેદાને પડી. તોપચીઓએ ભીષણ ગોલંદાજી કરીને પાકિસ્તાની ચોકીઓના મશીન ગન બંકરોના ભૂકા બોલાવી દીધા. નીલમ ખીણના કેરન ક્ષેત્રમાં આવેલી આતંકવાદી છાવણીના પણ છાલગોટલા કાઢી નાખ્યા. શત્રુને આટઆટલી ધોલધપાટો માર્યા પછી પણ આપણા જવાનો અટક્યા નહિ. બલકે, આગામી ત્રણ દિવસ સુધી પાકિસ્તાન હસ્તક કાશ્મીરના ચિરિકોટ, શકરગઢ, શાહકોટ જેવા ક્ષેત્રોમાં તોપગોળા વરસાવ્યા. આ પ્રકારનું જલદ રિએક્શન આપીને ભારતે તેના શત્રુને સંદેશો પાઠવ્યો કે અમારી તરફ આંગળી ઊંચી કરશો તો તમારું બાવડું ખેરવી દેવાનું અમારામાં સામર્થ્ય છે. વ્યૂહાત્મક રીતે આવું આક્રમક વલણ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. દુશ્મન તેને કારણે જરા કાબૂમાં રહે છે. આખરે તો ‘ભય વડે શાંતિ’ એ સંરક્ષણની વણલખી રણનીતિ છે.
આ સંદર્ભે એક દાખલો તપાસવા જેવો છે. માર્ચ ૩, ૨૦૨૦ના રોજ પાકિસ્તાની દળે મધરાત પછી ૦૩ઃ૦૦ વાગ્યે પુંચ નજીક આપણી મનકોટ અને મેન્ધાર ચોકીઓ પર હેવી મશીન ગન વડે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. મોર્ટાર તોપના ગોળાઓ પણ દાગ્યા. આપણા જવાનોએ રાબેતા મુજબ ફાયરિંગ વડે જવાબ દીધો, છતાં પાકિસ્તાન તરફથી લાગલગાટ ૨ કલાક ધડબડાટી બોલતી રહી. ભારતના પક્ષે જાનહાનિ તો ન થઈ, પણ સરહદી વિસ્તારમાં રહેતા ગામલોકોનાં મકાનોને નુકસાન પહોંચ્યું. આપણી ચોકીઓને પણ ફટકા વેઠવા પડ્યા. વ્યૂહાત્મક રીતે જોતાં પાકિસ્તાની લશ્કરની હરકત સામે ભારતે જરા મોળો જવાબ આપેલો. નતીજારૂપે પછીના દિવસે પાકિસ્તાન તરફથી વધુ તીવ્ર ફાયરિંગ આવ્યું. આખરે ભારતે દુર્વાસા મિજાજ ધારણ કરવો પડ્યો. માર્ચ પ, ૨૦૨૦ના રોજ કૂપવાડા ક્ષેત્રમાં તૈનાત ભારતીય દળોએ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો દાગી પાકિસ્તાનના લશ્કરી બંકરોના ફુરચા ઉડાવી દીધા. આ ગડદાપાટુ ખાધા પછી પાકિસ્તાની એ છાવણીમાં થોડા વખત પૂરતો શાંતિનો માહોલ રહ્યો. જો કે પેલી વાંકી પૂંછડીવાળી ઉક્તિ આપણા શત્રુને શબ્દશઃ લાગુ પડે છે. આથી તેણે થોડા વખતમાં ફરી ગોલંદાજી અને ગોળીબાર શરૂ કરી દીધા.
***લક્ષ્યાંકનો મત્સ્યવેધ કરતા ‘અર્જુનો’***
લગભગ સાડા સાતસો કિલોમીટર લાંબી અંકુશરેખા પર અનેક સ્થળોએ તોપગોળાનું આદાનપ્રદાન આજની તારીખેય ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રદેશ હિમાલયના પર્વતોનો છે. અંકુશરેખા પર ભારતે અને પાકિસ્તાને પોતપોતાની ચોકીઓ પર્વતો પર રાખી છે. આથી અનેક ચોકીઓ એવી છે જેને નજરોનજર દેખી શકાતી નથી. પાક હસ્તકના કાશ્મીરમાં આવેલાં આતંકવાદી જૂથોનાં લોન્ચપેડ કહેવાતાં મથકો પણ એકાદ પર્વતની આડશ પાછળ છે, તો પછી નજરે ન દેખી શકાતાં એવાં લક્ષ્યાંકોની આંખ આપણા ખુશ્કીદળના ‘બાણાવળી અર્જુનો’ કેવી રીતે વીંધી બતાવે છે?
વાંચો ટૂંકી, પણ ટુ-ધ-પોઇન્ટ સમજૂતી. નિશાન દૂર હોય અને નજરોનજર દેખાતું ન હોય ત્યારે આંધળાનો ઘા પાંસરો ગણીને તો ગોલંદાજી કરવાનું પાલવે નહિ. દરેક તોપગોળાનો ભાવ આસમાની હોય ત્યારે તો કદાપિ નહિ. આથી અર્વાચીન યુદ્ધો માટે એર-ઓબ્ઝર્વેશન પોસ્ટનું આયોજન કરાય છે, જેમાં ખુશ્કીદળનું વિમાન કે હેલિકોપ્ટર આકાશમાં કેટલાક મીટરના લેવલે રહીને શત્રુ તરફ સતત નજર રાખે છે. બોફર્સ જેવી તોપના મુખમાંથી નીકળેલો ગોળો લક્ષ્યાંકની કેટલે નજીક અથવા દૂર પડ્યો તેની ગણતરી હેલિકોપ્ટરમાં બેઠેલો ગનર ઓફિસર જોતજોતામાં માંડે છે અને પછી નિશાનને વીંધી નાખવા માટે ગોળાના દિશામાર્ગમાં કેટલો ફરક કરવો તેની માહિતી તોપચીને પહોંચાડે છે.
આ માહિતીના આધારે તોપચી તરત જ તોપના નાળચાનો ખૂણો બદલે છે અથવા નાળચાને ડાબે યા જમણે ઘુમાવે છે. બીજા પ્રયાસે ધાર્યું નિશાન આવે કે ન પણ આવે, પરંતુ ત્રીજા-ચોથા પ્રયાસે તો લક્ષ્યાંકનો મત્સ્યવેધ થયા વિના રહેતો નથી. પાકિસ્તાન સામે ૧૯૬૨નાં, અને ૧૯૭૧નાં યુદ્ધોમાં ભારતે ‘કૃષક’ નામનાં ટચૂકડાં વિમાનો એર-ઓબ્ઝર્વેશન પોસ્ટ તરીકે વાપર્યાં. પરંતુ ત્યાર બાદ ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ‘ચિત્તા’ અને ‘ચેતક’ નામનાં હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો.
અલબત્ત, એર-ઓબ્ઝર્વેશન પોસ્ટ માટે હેલિકોપ્ટરોનો ઉપયોગ માત્ર યુદ્ધ પૂરતો સીમિત હોય છે. અંકુશરેખા પર જ્યાં રોજેરોજ ફાયરિંગ થતું હોય ત્યારે રોજિંદા ધોરણે હેલિકોપ્ટરોને ઊડતાં રાખવાં આર્થિક રીતે ઉચિત નથી. વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ નહિ, કેમ કે અંકુશરેખા પર સામાન્ય રીતે ફાયરિંગનો જવાબ ફાયરિંગ વડે જ આપવાનો હોય છે. એકાદ લક્ષ્યાંકને વીંધવાનો તકાદો રોજિંદા ધોરણે ન હોય. પરંતુ એવી જરૂરિયાત ઊભી થાય ત્યારે ભારતીય લશ્કર UAV પ્રકારનાં અમાનવ જાસૂસી વિમાનની મદદ લે છે. આ પાઇલટ રહિત વિમાન અંકુશરેખા ઉપરના આકાશમાં હજારો ફીટ ઊંચે ઊડતું રહી દુશ્મન લક્ષ્યાંકોને પિન પોઇન્ટ કરી બતાવે છે. આપણા તોપચી એ લક્ષ્યાંક તરફ ગોળો દાગે ત્યારે ગોળો કેટલો ડાબે-જમણે યા આગળ-પાછળ પડ્યો તેનાં લાઇવ દૃશ્યો UAV પોતાના કેમેરામાં ઝીલીને તત્કાળ તોપચી ટુકડીને મોકલી દે છે. નવો પ્રહાર ત્યાર પછી એ માહિતીના આધારે કરવામાં આવે, એટલે નજરે ન દેખાતા લક્ષ્યાંકનોય ખુરદો વળ્યા વિના રહેતો નથી. તાજેતરમાં એ જ રીતે આપણા તોપચીઓએ પાકિસ્તાની બંકરોનો તેમજ આતંકવાદી અડ્ડાઓનો ઘડોલાડવો કર્યો હતો.
આ બધું વાંચીને એક ભારતીય તરીકે આપણું શેર લોહી ચડે—અને ચડવું પણ જોઈએ. પરંતુ આપણે એવી લાગણી અનુભવી શકીએ તે માટે અંકુશરેખા પર દેશના સપૂતો શત્રુના પ્રતિકારમાં લોહી-પસીનો એક કરતા ઊભા છે. કોરોનાવાઇરસ સામેની હજી તો માંડ ૩૦ દિવસની લડતમાં આપણે મોળા પડવા લાગ્યા છીએ ત્યારે એ નરબંકાઓને યાદ રાખીએ કે જેમને માટે નથી લડતનો અંત આવતો કે નથી લડતમાં તેઓ મોળા પડતા. સલામ છે એ ગુમનામ સપૂતોને! ■

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya