ધારો કે આવતી કાલે ભારત-ચીન વચ્‍ચે યુદ્ધ સળગ્યું...

લદ્દાખનો લશ્‍કરી તણાવ યુદ્ધનો તણખો બનવાની સંભાવના પાંખી છે, છતાં ચીન આપણને ધરાર યુદ્ધમાં ઘસડે તો?


મહામારીના અને મહામંદીના સંજોગોમાં યુદ્ધ ખેલી આર્થિક ભારણ વધારવું ભારતને પોસાય તેમ નથી. બીજી તરફ લદ્દાખમાં ચીની કાંકરીચાળાનો જવાબ ઇંટથી આપવો હોય તો આપણે કેટલા સક્ષમ છીએ?

આલેખનઃ હર્ષલ પુષ્‍કર્ણા

બોલો, શું લાગે છે? લદ્દાખમાં તૈનાત આપણા લશ્‍કર માટે છેલ્‍લા એકાદ મહિનાથી માથાનો દુખાવો બનેલા ચીનને પાંસરું દોર કરી દેવા એકાદ સશસ્‍ત્ર યુદ્ધ ખેલી નાખવું જોઈએ?

દાંત ભીડીને તથા મુઠ્ઠી પછાડીને જવાબ ‘હા’માં આપવાનું મન થાય તેવો લોભામણો સવાલ છે. આપણા લદ્દાખમાં ચીન ખુલ્લેઆમ લશ્કરી છાવણીઓ સ્થાપે, રડારમથકો ઊભાં કરે, પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને ચીની સૈનિકો પેટ્રોલિંગના નામે લદ્દાખના દૌલત બેગ ઓલ્‍ડી, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક જેવાં ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી આવે ત્‍યારે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવો વિચાર દેશના સરેરાશ નાગરિકના મનમાં આવવો સ્‍વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીમાં ‘બાણ’ અને ‘યુદ્ધ’ બન્‍નેની વ્‍યાખ્યા ધરમૂળથી બદલાઈ ચૂકી છે. યુદ્ધ કરીને દેશનું કલ્‍યાણ તો જાણે થવાથી રહ્યું, ઊલટું અર્થતંત્રનો કચ્‍ચરઘાણ નીકળી જાય એટલું નક્કી!

આનું કારણ છે. આધુનિક યુગનાં શસ્‍ત્રો જેટલાં ખૂંખાર છે એટલાં જ ખર્ચાળ પણ છે. જેમ કે, ફ્રાન્‍સની દસોલ કંપની પાસેથી ખરીદવામાં આવેલાં આધુનિક સુપરફાઇટર રફાલ વિમાન માટે ભારતે નંગદીઠ ₨૧,૬૦૦ કરોડ ચૂકવ્યા છે. યુદ્ધ દરમ્‍યાન શત્રુનું એકાદ મિસાઇલ સોળસો કરોડ રૂપિયાને ભરઆકાશે ભસ્‍મ કરી દેવા માટે પૂરતું થઈ પડે.

ધ્‍યાનમાં લેવા જેવી બીજી મહત્ત્વની વાસ્‍તવિકતાઃ યુદ્ધમાં જે દેશ વધારે દિવસો સુધી આર્થિક નુકસાન વેઠીને લડી શકે તેનો જ અંતે તો વિજય થાય. ૧૯૬પના ભારત-પાક યુદ્ધનું ઉદાહરણ ટાંકીને વાત કરીએ. પાકિસ્‍તાની સરમુખત્‍યાર જનરલ અયુબ ખાનનું લશ્‍કર ભારત સામે લગાતાર ૨૨ દિવસ લડ્યું. યુદ્ધ કદાચ વધુ લાંબું ચાલ્યું હોત, પણ અયુબ ખાને યુદ્ધવિરામ સ્વીકારી લીધો. ભારત સામે ૨૨ દિવસ લડ્યા પછી પાકિસ્‍તાન સરકારની ડાબલીછાપ તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું હતું. પાક ખુશ્‍કીદળ પાસે તોપગોળા રહ્યા નહોતા—અને નવા ગોળા ખરીદવા માટે પાક સરકાર પાસે ફાજલ નાણાં બચ્‍યાં નહોતાં.

ઉપરોક્ત ઉદાહરણ પરથી એટલો નિષ્કર્ષ કાઢી શકાય કે આવતી કાલે ધારો કે ભારત-ચીન યુદ્ધ ફાટી નીકળે તો આર્થિક મામલે શત્રુનું પલ્‍લું આપણા દેશના પલ્‍લાં કરતાં ક્યાંય વજનદાર રહે. બે કારણો તે માટે જવાબદાર છેઃ (૧) ભારતના આશરે ૩,૦૦૦ અબજ ડોલરના અર્થતંત્ર સામે ચીનનું ૧૪,૦૦૦ અબજ ડોલર છે—સાડા ચાર ગણું વધારે મોટું! (૨) આપણું સંરક્ષણ બજેટ ૬૧ અબજ ડોલર, જ્યારે ચીનનું ડિફેન્‍સ બજેટ ૨૩૭ અબજ ડોલર છે—પોણા ચાર ગણું વધારે!

જો કે રાષ્‍ટ્રહિત, દેશદાઝ અને સ્‍વમાનની વાત હોય ત્‍યારે તેની સામે આર્થિક લેખાંજોખાં ગૌણ બની જતાં હોય છે. દેશની ભૂમિ પર પગદંડો જમાવવા માગતો શત્રુ જ્યારે લડવાના મૂડમાં હોય ત્‍યારે આપણે પલાંઠી લગાવી શાંતિજાપ કરતા બેસી રહીએ તે માત્ર કાયરતાનું જ નહિ, સરાસર રાજદ્રોહનું પણ વલણ કહેવાય. આ જાતનું નઠારું વલણ કોઈ દેશને કદાપિ શોભે નહિ. આથી મે પ-૬, ૨૦૨૦ના રોજ જ્યારે લદ્દાખમાં ચીની સૈનિકોનો પેસારો શરૂ થયો ત્‍યારે આપણા જવાનોએ ‘જનની જન્‍મભૂમિ’ની રક્ષા કાજે બાહુબળનો ઉપયોગ કરી ઘૂસણખોરોને તગેડી મૂક્યા.

આ ઘટના પછી ચીને કેટલાક દિવસ શાંતિ જાળવી, પણ હવે ફરી તે હરકતમાં આવ્યું છે. લદ્દાખના જુદા જુદા મોરચે સામાન્‍ય રીતે ચીની લશ્‍કરના કુલ મળીને ૧,પ૦૦ સૈનિકો ડ્યૂટી પર હોય. થોડા દિવસ પહેલાં ચીને વધુ પ,૦૦૦ સૈનિકો મોકલી આપ્‍યા. ઉત્તરાખંડ રાજ્યની સરદહને સ્‍પર્શતા Ngari/ ન્‍ગારી નામના તિબેટી (હવે ચીની) પ્રાંતમાં ચીની વાયુ સેનાએ શેંગયાંગ J-16 પ્રકારનાં ફાઇટર વિમાનોનો ગુપચુપ જમાવડો કરી દીધો છે. આના પ્રત્‍યુત્તરમાં ભારતીય વાયુ સેનાએ પણ લદ્દાખમાં ફાઇટર વિમાનો તથા હેલિકોપ્ટરો ઉતાર્યાં, તો આપણા ખુશ્‍કીદળે ગલવાન, દૌલત બેગ ઓલ્‍ડી, પેંગોંગ સરોવર, દેમચોક વગેરે લદ્દાખી વિસ્‍તારોમાં સૈનિકબળ વધારી દીધું છે. તાજા રિપોર્ટ અનુસાર ચીને લદ્દાખમાં અક્સાઇ ચીન નજીક ભારે તથા મધ્‍યમ તોપોની હરોળ રચી દીધી છે.

આ તણાવભર્યા સંજોગોમાં ધારો કે લદ્દાખના એકાદ મોરચે બે દેશોના સૈનિકો વચ્‍ચે સશસ્‍ત્ર છમકલું થાય તો? વ્‍યૂહાત્‍મક ઘટનાક્રમ કેવોક હોઈ શકે? અને ભારતનાં લશ્‍કરી દળોએ શો રોલ ભજવવાનો થાય?


***વાયુસેનાની ભૂમિકા***

સામાન્‍ય રીતે યુદ્ધનો ઉદ્દેશ શત્રુનો ભૌગોલિક પ્રદેશ મેળવવાનો હોય, એટલે યુદ્ધની ચિનગારી પણ મોટે ભાગે જમીન પર ચંપાય છે—અને તેની શરૂઆત ઘણું કરીને તોપોના ધૂમધડાકા વડે થાય. જો કે એ પરંપરાગત રણનીતિમાં ક્યારેક બદલાવ આવે પણ ખરો. એકવીસમી સદીમાં યુદ્ધનાં વ્યૂહાત્‍મક પાસાં બદલાયાં છે. સૈનિકોનો મિનિમમ ભોગ લેવાય અને શત્રુ પ્રદેશમાં મહત્તમ ખાનાખરાબી સર્જી શકાય એ ખાતર ફાઇટર વિમાનો યુદ્ધનું રણશિંગું ફૂંકતાં થયાં છે. ભૂમિમોરચે શત્રુ ખુશ્કીદળની બ્રિગેડ તરફ (૧ બ્રિગેડ = ૩,૦૦૦ સૈનિકો) દિવસો સુધી તોપમારો ચલાવ્યા પછી અને બદલામાં કેટલાક સૈનિકોનો ભોગ પણ આપ્યા પછી કદાચ બ્રિગેડનો ખુરદો કાઢી શકે. પરંતુ લડાયક વિમાનનો પાઇલટ ભીષણ બોમ્બવર્ષા કરીને ચંદ મિનિટોમાં શત્રુ બ્રિગેડનો ઘડોલાડવો કરી શકે છે.



આ રણનીતિ અપનાવીને ધારો કે ચીની વાયુસેનાનાં શેંગયાંગ J-16  વિમાનો Ngari/ ન્‍ગારી ખાતેના રનવેથી ટેક ઓફ કરી ગલવાનની ભારતીય ચોકી તરફ આગળ ધપે છે. આ મારકણાં વિમાનોને ભરઆકાશે ‘પોંખવા’ માટે આપણી વાયુસેનાએ સમયસર કેટલાંક લડાયક વિમાનો સામાં મોકલવાં રહ્યાં. આ ઉદ્દેશથી આપણે મિરાજ-2000 તથા સુખોઇ-30 જેવાં ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ વિમાનો વસાવ્યાં છે. ચીનનાં શેંગયાંગ J-16ને આપણા હવાબાજો આકાશી દ્વંદ્વયુદ્ધમાં પડકારે છે. બળાબળની દૃષ્‍ટિએ આપણું સુખોઇ-30 ચીનના J-16નું સમોવડિયું ગણાય, પરંતુ મિરાજ-2000 સામે શેંગયાંગ J-16નો ગજ વાગતો નથી. પાવરફુલ એન્‍જિનથી સજ્જ મિરાજ-2000 ડોગફાઇટ કહેવાતા આકાશી યુદ્ધમાં શેંગયાંગ J-16ને ભારે પડી શકે છે. 

ફરી ધારી લો કે આપણા બાહોશ પાઇલટો એર-ટુ-એર મિસાઇલ દાગીને હુમલાખોર ચીની વિમાનોને ફૂંકી માર્યા પછી એર-ટુ-સરફેસ મિસાઇલ વડે શત્રુની એકાદ બ્રિગેડનો ખુરદો કાઢી નાખે છે. આપણાં મિરાજ-200 તથા સુખોઇ-30 વિમાનો માટે એમ કરવું મુશ્કેલ નથી. પરંતુ ભારતનાં વિમાનોની ખબર લેવા માટે ચીન તેનાં અત્‍યાધુનિક ચેંગદુ J-20 વિમાનો રવાના કરી શકે છે. આકાશમાં આટાપાટા ખેલવામાં, તીવ્ર વળાંકો લેવામાં અને લક્ષ્‍યાંકનું મોતી વીંધવામાં J-20નો જવાબ નથી. અમેરિકાને બાદ કરતાં બીજા એકેય દેશ પાસે ચેંગદુ J-20 જેવું ડંખીલું વિમાન નથી. ચીની બ્રિગેડને ફૂંકી મારવા નીકળેલાં ભારતનાં વિમાનો પૈકી એકાદ પણ રખે ચેંગદુ J-20ના એર-ટુ-એર મિસાઇલની અડફેટે ચડ્યું તો મિરાજ-2000ના કેસમાં ₨૧૬૭ કરોડનું અને સુખોઇ-30ના કેસમાં ₨૩૫૦ કરોડનું નુકસાન!

આકાશી યુદ્ધમાં સામસામે પક્ષે વિમાનો ગુમાવવાનાં ન થાય એ તો શક્ય જ નથી. આમ છતાં જરા આશાવાદી બનીને માની લો કે લદ્દાખમાં ચીન સામે સંભવિત યુદ્ધમાં ભારતે એક પણ વિમાન ગુમાવવાનું થતું નથી. યુદ્ધખર્ચનું મીટર તો છતાં પણ ફરતું રહે, કારણ કે દુશ્મન વિમાનોને તેમજ લક્ષ્યાંકોને ધ્વંસ કરવા માટે એર-ટુ-એર, એર-ટુ-સરફેસ તથા એન્ટિ-રેડાર જેવાં મિસાઇલ્સ અને લેસર ગાઇડેડ બોમ્બ, રનવે નાશક ક્લસ્ટર બોમ્બ જેવાં વિવિધ જાતનાં ભસ્માસુર વાપરવાં પડે છે. આવું દરેક શસ્ત્ર લાખોની કિંમતનું હોય અને યુદ્ધ દરમ્યાન સેંકડોની સંખ્યામાં તેમનો ઉપયોગ થાય, માટે ખર્ચનો આંકડો મોટો બને છે. આ આંકડામાં વિમાનોના તેમજ હેલિકોપ્ટરોના ઉડ્ડયનમાં વપરાતા બળતણનું બિલ પણ ઉમેરવું પડે, જે પણ જેવું તેવું તો હોતું નથી.


***ખુશ્‍કીદળની ભૂમિકા***

આધુનિક ભૂમિયુદ્ધમાં હોવિટ્ઝર તોપનો રોલ નિર્ણાયક હોય છે. બખ્તરિયા વાહનો, ટેન્‍ક (રણગાડી) તેમજ પાયદળના સૈનિકો દુશ્મન પર હલ્લો બોલાવે તે પહેલાં કાળમુખી હોવિટ્ઝર તોપો લગાતાર ગોલંદાજી કરી તેમને માટે રસ્તો મોકળો કરી આપે છે. પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં આપણી બોફર્સ તોપોએ ગોલંદાજી વડે દુશ્મન સૈન્યની હરોળ ભાંગી નાખી ત્યાર પછી જ ભારતના જવાનો માટે આગેકૂચ કરીને એક પછી એક શિખરો કબજે લેવાનું શક્ય બન્યું હતું. હોવિટ્ઝરના તોપગોળા ૨૪થી ૪૦ કિલોમીટર છેટે દુશ્મનનાં લશ્કરી મથકો, ઓઇલ ડેપો, પુલો, રેલવેલાઇન વગેરે લક્ષ્યાંકોને ધમરોળી નાખે એ પછી રણગાડી, બખ્તરિયા વાહનો તેમજ સૈનિકો દુશ્મન પ્રદેશમાં ઊંડે સુધી ઘૂસી શકે છે. આ વ્યૂહાત્મક મુદ્દો ધ્યાનમાં લેતાં ભારતના તોપખાનાએ સ્‍વીડિશ, બ્રિટિશ, રશિયન, ઇઝરાયલી જેવી વિદેશી અને ‘ધનુષ’ જેવી સ્‍વદેશી તોપો વસાવી છે. 

આ તોપો શત્રુ તરફ રોજના સેંકડો ગોળા વરસાવી શક્ય એટલી તોડફોડ મચાવતી હોય ત્‍યારે એક તરફ શત્રુછાવણીને મરણતોલ ફટકા લાગે, તો બીજી બાજુ આપણને આર્થિક ફટકા વેઠવાના થાય છે. એક જાણીતા અંગ્રેજી ન્‍યૂઝ સામયિકે ટાંકેલા આંકડા મુજબ બોફર્સ તોપના આયાતી ગોળાનો નંગદીઠ ભાવ ₨૧૦,૦૦,૦૦૦ છે. સ્‍વદેશી ‘ધનુષ’ના સ્‍વદેશી ગોળાનું પડતર મૂલ્ય ₨૧,૦૦,૦૦૦ની આસપાસ છે. (ઘરઆંગણે શસ્‍ત્રઉત્‍પાદન કરવું કેમ જરૂરી હોય તે સમજાયું?) આ માતબર ખર્ચ વેઠીને પણ જો આપણું તોપખાનું દુશ્‍મન હરોળમાં ધડબડાટી બોલાવી દે, તો ત્‍યાર પછી T-90 ‘ભીષ્‍મ’, T-72 ‘અજેય’ તથા ‘અર્જુન’ જેવી રણગાડીઅો તેમજ બખ્તરિયા વાહનો આક્રમણ માટે રવાના થાય છે. નોંધઃ લદ્દાખમાં ચીનની પેશકદમી પામીને ભારતીય લશ્‍કરે ત્રણેક વર્ષ પહેલાં અક્સાઇ ચીન નજીક T-72 ‘અજેય’ ટેન્‍કનો મોટો કાફલો ઉતારી દીધો હતો.

ભારતીય રણગાડીઓની આગેકૂચ અટકાવવા માટે ચીન પાસે Type-96 તથા Type-99 પ્રકારની ટેન્‍ક છે, જે તેણે ઘરઆંગણે બનાવી છે. વળી જથ્‍થાબંધ બનાવી છે, એટલે દરેકનું પડતર મૂલ્‍ય ઓછું છે. બીજી તરફ આપણી મૂળ રશિયન T-72 ‘અજેય’નું મૂલ્‍ય ₨૧૪ કરોડ, T-90 ‘ભીષ્‍મ’નું ₨૩૦ કરોડ અને ‘અર્જુન’નું તો ₨પપ કરોડ છે. વધુ એક વખત આશાવાદી બની ધારી લઈએ કે આપણી રણગાડીઓ ચીનની અકેક ટેન્‍કને વીણીચૂંટીને ખતમ કરી દે છે. આગામી ભૂમિકા બખ્તરિયા વાહનોની છે, જેમનું કામ હળવી તોપ તથા હેવી મશીન ગન વડે દુશ્મનના શસ્ત્રસજ્જ સૈનિકોનો સફાયો કરી નાખવાનું છે. અહીં પણ એક સમસ્‍યા છે. ચીની ખુશ્‍કીદળ પાસે ૩૩,૦૦૦ જેટલાં બખ્‍તરિયા વાહનો છે. (જુઓ, કોઠો). આમાંનાં દસ ટકા વાહનોને પણ જો ચીન યુદ્ધમોરચે ઉતારે તો વિગ્રહનો તખ્‍તો પલટાયા વિના રહે નહિ.



***નૌકાદળની ભૂમિકા***

ચૂલા પર ગરમ કરવા મૂકેલા દૂધનો ઊભરો ક્યારેક તપેલીની બહાર નીકળી આવે તેમ એકાદ ભૂમિમોરચે સળગેલા યુદ્ધનાં તણખાં ઘણી વાર અન્‍ય સ્‍થળે વેરાય છે. લશ્‍કરી પરિભાષામાં એ સ્‍થિતિ war spillover/ વોર સ્‍પિલઓવર તરીકે ઓળખાય છે. લદ્દાખથી નજીકમાં નજીક દરિયાકાંઠો પણ લગભગ ૩,૦૦૦ કિલોમીટર દૂર છે. આથી પ્રશ્ન થાય કે ચીન સામેના સંભવિત યુદ્ધમાં નૌકાદળની શી ભૂમિકા હોઈ શકે? આ રહ્યો જવાબઃ

વિવિધ દેશો સાથે ચીનનો અબજો ડોલરનો વિદેશ વ્‍યાપાર જહાજો મારફત ચાલે છે—અને જહાજી ટ્રાફિક વાયા મલક્કાના અખાત થઈને હિંદી મહાસાગરમાંથી પસાર થતો હોય છે. અહીં આપણાં નૌકાદળનાં જહાજો તેમજ સબમરીનો ચીનનાં વ્‍યાપારી જહાજો માટે નાકાબંદી રચી દે તો વિદેશ વ્‍યાપાર ખોરવાતા ચીનને ભારે આર્થિક ફટકા લાગે. સંભવ છે ત્‍યાર પછી બીજિંગ સરકાર શાંતિસુલેહ પર આવે અને લદ્દાખમાં તેનું લશ્‍કર યુદ્ધવિરામ સ્‍વીકારી લે.

શક્યતા એ પણ ખરી કે ભારતીય નૌકાદળનો ઘેરો તોડવા માટે ચીન પોતાનાં બળુકાં જહાજો હિંદી મહાસાગરમાં મોકલે અને ત્‍યાં ઘમસાણ મચે. ચીનની નૌકાતાકાત જોતાં એ શક્યતા વધુ જણાય છે. (જુઓ, કોઠો). ૧૯૭૧ના યુદ્ધ વખતે ભારતીય નૌકાદળની ૮ રશિયન સબમરીનોનું કુલ મૂલ્ય ₨૧પ૦ કરોડ કરતાં વધુ નહોતું, જ્યારે હમણાં ઘરઆંગણે બનેલી પ્રથમ અર્વાચીન ‘કલ્‍વારી’ સબમરીનનો પડતર ભાવ ₨૩,૧૩૩ કરોડ છે. મઝગાઁવ ગોદીમાં તૈયાર થયેલી ‘કોલકાતા’ વર્ગની પ્રત્યેક વિનાશિકા ₨૩,૯૦૦ કરોડની છે. વિમાનવાહક જહાજ ‘વિક્રમાદિત્ય’ તો માટે ₨૧૭૭ અબજનું છે.

ભારતના એક નિવૃત્ત લેફ્ટનન્ટ-જનરલ કહે છે કે, ‘આવતી કાલના યુદ્ધમાં ભારતે બીજાં શસ્ત્રો પર મદાર રાખવાને બદલે ફક્ત શોર્ટ-કટને ખાતર મિસાઇલો વાપરવાં જોઈએ. યુદ્ધ એકાદ અઠવાડિયામાં અને વળી ધાર્યા પરિણામ સાથે પૂરું થવાનું હોય તો જ ભારતે તેના શત્રુ સામે યુદ્ધની જામગરી ફોડવી જોઈએ.’

મુદ્દાની વાત છે. એક તરફ આધુનિક શસ્ત્રો અતિશય મોંઘાં હોય અને ભીષણ યુદ્ધ વખતે તેમનો મોટે પાયે કચ્ચરઘાણ નીકળતો હોય ત્‍યારે મિસાઇલ કારગત અને પ્રમાણમાં સસ્‍તું નીવડતું શસ્‍ત્ર છે. ભારતનાં ભાથામાં ‘પૃથ્વી’, ‘અગ્નિ’ તથા ‘બ્રહ્મોસ’ નામનાં મારકણાં મિસાઇલ્સ છે. 

આ લાંબી ચર્ચાનો ફાઇનલ નિચોડઃ લદ્દાખમાં ચીન સામે યુદ્ધ ખેલવું આપણા માટે આર્થિક રીતે હિતાવહ નથી. યુદ્ધ જો ધરાર કરવું પડે તો મિનિમમ સમયગાળામાં તેનો ફેસલો (બેશક, ભારતની તરફેણમાં) આવી જવો જોઈએ. સરહદ પર ચીનની દાદાગીરી સામે ચુમાઈને બેસી રહેવાનો તો સવાલ જ નથી—અભી નહીં, ઔર કભી નહીં. ઊલટું આજ દિન સુધી ચીની લશ્‍કરે અખત્‍યાર કરેલી માઓ ઝેદોંગની રણનીતિ ભારતે પણ અપનાવવાની જરૂર છે. આ કોલમના એક લેખમાં નોંધ્‍યું હતું તેમ માઓની રણનીતિ આમ છેઃ સરહદ ઓળંગીને શત્રુભૂમિમાં બે ડગલાં પેસારો કરો...દુશ્‍મન રોકકળ મચાવે તો એક ડગલું પાછળ ખસી જાવ...થોડા દિવસ બાદ ફરી બે ડગલાં આગળ વધો અને શત્રુ આંખો લાલ કરે તો એક ડગલું પીછેહઠ કરો. આમને આમ દુશ્‍મનની ભૂમિમાં પેસતા રહી તેનો મોટો પ્રદેશ એડી નીચે લાવી દો.

ચીની બનાવટની અસંખ્‍ય ચીજવસ્‍તુઓ આપણે અપનાવી ચૂક્યા છીઅે ત્‍યારે નથી લાગતું કે આપણા લશ્‍કરે માઓ ઝેદોંગની બે ડગલાં આગળ ને એક પાછળ રણનીતિ અપનાવી જોઈએ? ચીને પચાવી પાડેલો લદ્દાખનો ભારતીય પ્રદેશ ધીમે ધીમે પાછો લેવાની એ બેસ્‍ટ રીત છે. યુદ્ધ હંમેશાં બળથી ખેલવું જરૂરી નથી. ઘણી વાર બુદ્ધિ વડે સાઇલન્‍ટ યુદ્ધ કારગત નીવડે છે.■

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya