ગલવાનમાં ચીનની ‘પીછેહઠ’ઃ ઘાત ટળી છે, ખતરો નહિ

દુશ્મન તરફ દબાતા પગલે જવું અને પછી ઓચિંતી ભીંસ લેવી ચીની ડ્રેગનની રણનીતિ છે

લદ્દાખમાં નિયંત્રણ રેખાના મુદ્દે ભારત-ચીન વચ્‍ચેનો મતભેદ ૧૯પ૬થી ચાલ્‍યો આવે છે. નવા અને બન્‍ને પક્ષે મંજૂર હોય તેવા નકશા નહિ બને ત્‍યાં સુધી સરહદી તણાવની તલવાર લટકતી રહેવાની છે


શેરીના પેધે પડી ગયેલા ડાઘિયા કૂતરાને ધૂંકાર કરીને હાંકી કાઢો, છતાં તે અમુક કલાકોમાં વળી પાછું શેરીમાં આંટા મારતું જોવા મળે તેવો જ કેસ અરુણાચલ- લદ્દાખમાં આંટો મારી જતા ચીની સૈનિકોનો છે. આપણા જવાનો વાતો (ક્યારેક લાતો) વડે તેમને પાછા ધકેલે, પણ જક્કી ચીના થોડા વખતમાં બૂમરેંગની જેમ રિટર્ન વીથ થેંક્સ પરત આવે છે. 

એપ્રિલ, ૨૦૨૦ના આરંભથી લઈને જૂન, ૨૦૨૦ના મધ્યાહ્ન સુધીમાં ચીની સૈનિકો લદ્દાખના ગલવાન ખીણપ્રદેશમાં એક કરતાં વધુ પ્રસંગે દાખલ થયા. અક્સાઇ ચીનની લાઇન ઓફ એચ્‍યુઅલ કન્‍ટ્રોલ/ LAC પર તૈનાત આપણા જવાનોએ તેમને પડકાર્યા અને ખદેડી મૂક્યા. છતાં પેેલા શેરીના હઠીલા વક્રપુચ્‍છ જેવું ‘પૂંછડી વાંકી તે વાંકી’ વર્તન ધરાવતા ચીના વળી પાછા પ્રગટ થયા. જૂન, ૧પ-૧૬ના રોજ ગલવાનની ભૂમિ રણભૂમિ બની અને કેટલાક દિવસ પછી સરહદી વિવાદનો મુદ્દો મંત્રણાના ટેબલ પર આવ્યો. બન્‍ને દેશોએ પોતપોતાનાં લશ્‍કરને ચોક્કસ અંતરે પીછેહઠ કરાવવાનું મંજૂર રાખ્યું.

આ સમજૂતી કામચલાઉ છે એ નક્કી માનજો. પારકી ભૂમિમાં પગદંડો જમાવવા માટે ચીનીનું આયોજન બહુ ગણતરીપૂર્વકનું છે. Better do in inches than in yards/ વારમાં નહિ, ઇંચ ઇંચ લેખે આગળ વધો એવા મતલબની ચીની કહેવતને બીજિંગ સરકાર શબ્દશઃ અનુસરે છે. પરિણામે ગલવાનનું બટકું કાપી લેવા અથવા તો ત્‍યાં ભારતીય સડકનિર્માણના હવનમાં હાડકાં નાખવા માટે ચીન ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કર્યા વિના રહેવાનું નથી. 
                                                                                    ■
લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી સરહદે ભારત-ચીન વચ્‍ચે કુલ ૨૪ સ્‍થળો વિખવાદનું કેંદ્ર બન્‍યાં છે. ગલવાન ખીણપ્રદેશ તેમાંનો એક છે. આજથી લગભગ છ દાયકા અગાઉ ચીને પહેલી વાર ત્‍યાં ઘૂસણખોરી આદરી હતી. વર્ષ ૧૯૬૨નું અને મહિનો જુલાઈ હતો. ગલવાન ખીણમાં ભારતીય ચોકીઓમાં તૈનાત જવાનોને ત્‍યારે સશસ્‍ત્ર ચીના લગભગ રોજિંદા ધોરણે જોવા મળતા હતા. પ્રત્‍યેક ફેરે તેઓ અગાઉ કરતાં આપણી ચોકીની વધુ નજીક અાવીને પાછા વળી જાય, પણ જુલાઈ ૧૯, ૧૯૬૨ની સાંજે તો એક પેટ્રોલિંગ ટુકડી ઓચિંતી ચડી આવી. ચોકીના જવાનો જોડે  તેમનો eyeball to eyeball સંપર્ક થયો. કશી અનિચ્‍છનીય ઘટના ન બની અને થોડી વારમાં ચીની સૈનિકો પાછા વળી ગયા.

વાતને બઢાવી ચઢાવીને કહેવામાં રાજકારણીઓને કોઈ ન પહોંચે તેનો પુરાવો ત્રણેક દિવસ પછી બીજિંગ સરકારે આપ્યો. ચીનમાં ભારતીય દૂતાવાસને તેણે ખખડાવતો પત્ર લખી મોકલ્યો કે, ‘જુલાઈ ૧૯, ૧૯૬૨ની સાંજે સાડા પાંચ વાગ્યે ભારતીય સૈૈનિકો ગલવાન ખીણમાં ચીની પ્રદેશમાં ગેરકાયદે ઘૂસી આવ્યા અને અમારી પેટ્રોલ ટુકડી પર ફાયરિંગ કર્યું. ચીની ટુકડીના સૈૈનિકોએ જો શાંતિ-સંયમ ન રાખ્યા હોત તો સશસ્‍ત્ર ઝડપ થયા વિના ન રહેત.’

ઓત્તારી! આ તો ચોર કોટવાળને દંડે! ગલવાનમાં જે ઘટના બની જ નહોતી તેની મનઘડંત પટકથા લખવા પાછળ બીજિંગ સરકારનો ઇરાદો સાફ હતોઃ ગલવાન ખીણ પર ચીની હક્કદાવો માંડવાનો. 

ત્રણ દિવસ પછી દિલ્‍લી સરકારે વળતો જવાબ દીધો કે, ‘ગલવાનમાં તૈનાત ભારતીય ટુકડી છેલ્‍લા કેટલાક દિવસથી ચીની સૈનિકોની ઘૂસણખોરી જોતી આવી છે એટલું જ નહિ, પણ ત્‍યાં બંકર્સ અને ચોકીઓનું નિર્માણ થતું હોવાનું તેમણે નજરે જોયું છે. ૧૯પ૬માં ભારત-ચીન વચ્‍ચે જે નિયંત્રણ રેખા નક્કી કરી હતી તેનું બીજિંગ સરકારે ઉલ્‍લંઘન ન કરવું જોઈએ.’

લખાપટ્ટીનો દોર અહીંથી આગળ વધ્યો. ઓગસ્‍ટ ૪, ૧૯૬૨ના રોજ બીજિંગે એમ જણાવ્યું કે તેના સૈનિકો ૧૯પ૬ના નકશાને અનુસરી રહ્યા હતા. એક અગત્‍યની આડવાતઃ ૧૯પ૬માં પંડિત નહેરુ અને ચીનના વડા પ્રધાન જો એન-લાઇ સીમાંકનના નકશાની સમજૂતી માટે ભેગા મળ્યા હતા. જો એન-લાઇએ જે નકશો પ્રસ્‍તુત કર્યો હતો તેમાં ભારતના લદ્દાખ-અરુણાચલનો ૧,૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર પ્રદેશ ચીનમાં સામેલ કરેલો દર્શાવવામાં આવ્યો હતો. પંડિતજીએ તે અંગે જો એન-લાઇનું ધ્‍યાન દોર્યું. પરંતુ દગાબાજ ચીની વડા પ્રધાને પંડિતજીને એમ કહી ફોસલાવી દીધા કે, ‘આ તો નકશા દોરનારે કરેલી મામૂલી ભૂલ છે. આનું બહુ મહત્ત્વ નથી.’ હિંદી ચીની ભાઈ-ભાઈના ભ્રામક ખ્‍યાલમાં રાચતા પંડિતજીએ જો એન-લાઇ પર આંધળો વિશ્વાસ મૂકી દીધો એ તેમની અક્ષમ્‍ય ભૂલ હતી, જેની સજા ૧૯૬૨ના યુદ્ધમાં આપણા સપૂતોએ પોતાનું લોહી રેડીને ભોગવવાનો વારો આવ્યો.
આ આવશ્યક જાણકારી પછી ચર્ચાની ગાડીને વળી પાછી મૂળ પાટે લાવીએ. જુલાઈ ૧૯, ૧૯૬૨ના રોજ ગલવાનમાં ભારતીય સૈન્‍યએ સીમા ઉલ્‍લંઘન કર્યું હોવાના પુરાવા રૂપે (૧૯૬પમાં જો એન-લાઇએ પંડિત નેહરુને અગાઉ બતાવેલો) જે નકશો બીજિંગ સરકારે રજૂ કર્યો તે પાછો મૂળ સ્‍વરૂપે નહોતો. ચીને તેમાં ફેરફાર કરી નાખ્‍યા હતા, જે મુજબ ગલવાનનો ઘણોખરો પ્રદેશ તેની માલિકીનો હોવાનું (ખોટી રીતે) ફલિત થતું હતું. જૂઠાબોલાને કોઈ રીતે પહોંચી ન શકાય. છતાં તત્‍કાલીન ભારત સરકારે બીજિંગ જોડે પત્ર વ્યવહાર ચાલુ રાખીને ચીની નકશા સામે વિરોધ પ્રગટ કરતા મુદ્દા ઉઠાવ્યા. કેટલાક મહિના ફોતરાં ખાંડવામાં નીકળી ગયા. આખરે ઓક્ટોબર ૨૦, ૧૯૬૨ના રોજ ગલવાનમાં ભારતીય ચોકી પર ચીની આક્રમણની પસ્‍તાળ પડી. મોટા પાયે થયેલા ઝંઝાવાતી હુમલા સામે ભારતીય બહાદુરો વીરતાપૂર્વક લડ્યા. સંઘર્ષમાં ૩૬ જવાનોએ પ્રાણની આહુતિ આપી દીધી. બીજા ૩૨ જવાનોને ચીની સૈનિકોએ જીવતા પકડી તિબેટના કારાવાસમાં શારીરિક-માનસિક ત્રાસ ભોગવવા મોકલી દીધા.
                                                                                    ■
૧૯૬૨ના યુદ્ધ પછી પણ અક્સાઇ ચીનના સરહદી વિવાદનો મુદ્દો લટકતો રહ્યો. ઘણાં વર્ષે જૂન ૧૭, ૨૦૦૨ના રોજ ભારત અને ચીન લદ્દાખનું સરહદી કોકડું ઉકેલવા માટે મંત્રણાના ટેબલ પર આવ્યા ત્‍યારે ચીને જે નકશા રજૂ કર્યા તે વળી ૧૯૬૨ કરતાં જુદા હતા. મતલબ કે લદ્દાખનો વધુ પ્રદેશ ચીને (કમ સે કમ નકશા પર) ‘પચાવી’ પાડ્યો હતો. આ ભડકાવનારો નકશો જોઈને ભારતીય પ્રતિનિધિ ચોંકી ઊઠ્યા. ખોટા નકશા સામે તેમણે વાંધો રજૂ કર્યો, પણ કાનમાં પૂમડાં ભરાવીને આવેલા ચીની પ્રતિનિધિ કશું સાંભળવાના મૂડમાં નહોતા. મંત્રણા પડી ભાંગી. ગણીને વીસ મિનિટમાં તો બન્‍ને પ્રતિનિધિઓ છૂટા પડ્યા.

૧૯પ૬થી લઈને જૂન ૧પ-૧૬, ૨૦૨૦ની ઘટના સુધીનો સમયફલક નિરાંતે તપાસવા બેસો તો જણાય કે લદ્દાખને ગળી જવા વિના ચીની ડ્રેગનને ઓડકાર આવવાનો નથી. આથી હાલમાં ચીની લશ્‍કર બે ડગલાં પાછળ ભલે ખસી ગયું અને તેને બેકફૂટ પર જવા મજબૂર કર્યાનો આપણે આત્‍મસંતોષ ભલે લેતા હોઈએ, પણ એ લાગણી છેતરામણી સાબિત થાય તેમ છે. ચીની લશ્‍કર પલટીને વાર કર્યા વિના રહેવાનું નથી, એટલે સરહદના મુદ્દાઓ પણ આપણા રાજકીય આગેવાનો રાજનીતિ ખેલવાને બદલે વ્‍યૂહાત્‍મક રણનીતિ પર વધુ ધ્‍યાન દે એમાં જ દેશનું હિત જળવાયેલું છે.
                                                                                    
ગલવાનમાં બનેલી ઘટના પછી LAC પર જાસૂસી અને પેટ્રોલિંગ વધુ સઘન પહેલાં તો કરવા રહ્યા. લદ્દાખ જેવા એકાદ મોરચે ચીની સૈનિકો ઘૂસણખોરી કરે ત્‍યારે જે તે સ્‍થળે સ્‍થપાયેલી ઇન્‍ડો તિબેટિયન બોર્ડર પુલિસના/ ITBPના જવાનો તેમને પડકારે. પાકિસ્‍તાનને સ્‍પર્શતી રાજસ્‍થાન-પંજાબ સરહદે તેમજ બાંગલા દેશ સાથે આસામ, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ સરહદે જેમ બોર્ડર સિક્યોરિટી ફોર્સ/ BSF છે અને ભૂતાન-નેપાળ સરહદે જેમ સશસ્‍ત્ર સીમા બલ/ SSB છે તેમ અરુણાચલથી લઈને લદ્દાખ સુધીની ચીન સીમા પર ITBPને તૈનાત કરવામાં આવી છે. આ ત્રણેય અર્ધલશ્‍કરી દળોને ભારતની પ્રથમ સુરક્ષા હરોળ કહેવામાં આવે છે. ભારતીય ખુશ્‍કીદળ તે હરોળની પાછળ ફરજ બજાવે છે.

સુરક્ષાની પહેલી હરોળનું (જેમ કે ITBPનું) કાર્ય સરહદ પર થનારી દાણચોરી, ઘૂસણખોરી, અન્‍ય ગેરકાયદે પ્રવૃત્તિઓ વગેરે પર કડક જાપતો રાખવાનું છે. આ કાર્ય ITBP નિષ્‍ઠાપૂર્વક કરતું હોવા છતાં તેમાં કચાશ રહી જવા પામે છે. આથી અરુણાચલ તથા લદ્દાખ સરહદે ચીની સૈનિકો ઘૂસી આવ્યાના કિસ્‍સા વારેતહેવારે બનતા રહે છે. કેટલાક ચોંકાવનારા આંકડાઃ ૨૦૦૭ની સાલમાં ચીની લશ્કરે કુલ ૭૭૮ વખત અને ૨૦૦૮માં બધું મળી ૨૭૦ વખત સરહદભંગ કર્યો હતો. ૨૦૦૯માં તો ચીની સિપાહીઓ લદ્દાખમાં દોઢ કિલોમીટર અંદર પેસી ગયા અને પર્વતીય ખડકો પર ‘આ પ્રદેશ ચીનનો છે’ એવું લખાણ ચીતરી ગયા. ૨૦૧૬ની સાલમાં ઘૂસણખોરીનો આંકડો ૨૭૩, ૨૦૧૭માં ૪૨૬, ૨૦૧૮માં ૩૨૬, જ્યારે ત્‍યાર પછીના વર્ષે તો ૬૬૩ રહ્યો. આ ફિગર્સ આપણી સરહદી સુરક્ષા વ્યવસ્‍થામાં તેમજ જાસૂસી તંત્રમાં છીંડાં હોવાનો નિર્દેશ કરે છે. એપ્રિલ-મે, ૨૦૨૦ દરમ્‍યાન ચીની પેટ્રોલિંગ ટુકડી લદ્દાખના પેંગોંગ અને ગલવાન જેવા વિસ્‍તારોની ભારતીય ભૂમિમાં ઘૂસી આવી હતી એ પણ ભૂલવા જેવું નથી. જૂન, ૧પ-૧૬ના રોજ ગલવાનમાં ચીન સાથે ચકમક ઝરી ત્‍યાર પછી ભારતીય ખુશ્‍કીદળે ITBPનો વ્‍યૂહાત્‍મક કમાન્‍ડ પોતાના હસ્‍તક લેવાનો પ્રસ્‍તાવ ગૃહ મંત્રાલય સમક્ષ મૂક્યો. મતલબ કે સરહદી વિસ્‍તારોમાં ITBP દ્વારા થતું પેટ્રોલિંગ તેમજ જાસૂસી કાર્ય ખુશ્‍કીદળની આગેવાની અને દેખરેખ હેઠળ થાય તેવું વડા અધિકારીઓનું માનવું છે.

ગૃહ મંત્રાલય જે ફેસલો લે તે ખરો, પણ તે લદ્દાખ તેમજ અરુણાચલના મોરચે ભારતની સુરક્ષા-કમ-જાસૂસી વ્‍યવસ્‍થાની ઉન્‍નતિ માટેનો હોવો જોઈએ—નહિ કે પોલિટિકલ. દરમ્‍યાન રાહતનો દમ આપનારા સમાચાર એ કે લદ્દાખની ૧,પ૪૨ કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર ઇઝરાયલી બનાવટનાં જાસૂસી ડ્રોનને કામે લગાડી દેવામાં આવ્યાં છે. 
                                                                                    ■
ચીનનું ઘૂસપેઠિયું વલણ તેમજ વિસ્‍તારવાદી નીતિ જોતાં લદ્દાખમાં અત્‍યારે તેના લશ્‍કરે કરેલી ‘પીછેહઠ’ એક નવી, શક્તિશાળી આગેકૂચની ગુપ્‍ત તૈયારી હોય એ સંભવ છે. આથી ચીન જ્યાં સુધી ફરી કાંકરીચાળો નથી કરતું તે સમયગાળાનો સદુપયોગ કરી ભારતે લદ્દાખ LAC નજીક લશ્‍કરી મસલ પાવર અનેકગણો વધારી દેવો જોઈએ અને ૭૨ સૂચિત માર્ગો પૈકી જે શેષ બચ્‍યા છે તેમનું બાંધકામ આટોપી લેવું જોઈએ.

તિબેટના લ્‍હાસા સુધી જતો ૧૬,૬૦૦ ફીટ ઊંચો રેલમાર્ગ ચીન બાંધી ચૂક્યું છે. લદ્દાખમાં LAC નજીક ચીની લશ્‍કરની મજબૂત હરોળ ઊભી છે. હરોળનાં કેટલાંક ‘પ્યાદાં’ ભારતમાં ઘૂસતા રહે છે. તિબેટમાં ચીની વાયુ સેનાએ ૨૭ એર બેઝ સ્‍થાપી દીધાં છે. આ બધું જાણ્યા પછીયે આપણે ચીન સાથે મૈત્રી સંબંધો વિકસાવવાના ખ્‍યાલમાં રાચીએ અને ચીની મહેમાનોને હીંડોળે બેસાડી ‘પારણાં’ કરાવીએ ત્‍યારે રાષ્‍ટ્રનું સ્‍વમાન હણાય છે. ચીની સૈનિકોનો સામી છાતીએ મુકાબલો કરતી વખતે ભારતભૂમિ પર પોતાનું રક્ત રેડી દેનાર ૧૯૬૨ના વોર હિરો પરમવીર મેજર શૈતાન સિંહ ભાટીથી લઈને બિહાર રેજિમેન્‍ટના કર્નલ સંતોષ બાબુ જેવા હજારો વતનપરસ્‍ત ફૌજીઓના બલિદાનનો તો સરાસર અનાદર થાય છે. શરમથી આપણું શીશ ઝૂકી કેમ જતું નથી?■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya