આહાર-ઉપવાસ-એનેમાઃ અલ્ટિમેટ ઇમ્યુનિટી બૂસ્ટર
પાચનતંત્રની ખરાબીને કારણે શરીરમાં થતી રોગરૂપી ખાનાખરાબી અટકાવવાનો ‘થ્રી-ડી’ ઉપચાર મોરારજી દેસાઈ ભારતના વડા પ્રધાન હતા ત્યારે તેમણે કોમનવેલ્થ સભ્યોની મીટિંગમાં હાજરી આપવા આફ્રિકી દેશ ઝૈર પ્રજાસત્તાક જવાનું થયું હતું. મોરારજી ભાઈ જેટલા ચુસ્ત ગાંધીવાદી હતા એટલા જ ચુસ્ત ‘સ્વાસ્થ્યવાદી’ પણ ખરા. માનવજાત ખોરાક રાંધતી થઈ ત્યારથી અનેકવિધ માંદગીમાં સપડાતી થઈ એવા મતલબની કદાચ તેમની માન્યતા હતી, એટલે રાંધ્યા વિનાનો ખોરાક લેવાની તેમણે આદત કેળવી હતી. ભારતમાં તો જાણે એવો ખોરાક મળી રહે, પરંતુ ઝૈર પ્રજાસત્તાકમાં યોજાનારી મીટિંગમાં મોરારજી ભાઈને માફક આવતા ભોજનની સગવડ ન સચવાય એ નક્કી હતું. મીટિંગમાં વળી રાજકીય આગેવાનો સાથે બેસીને ભોજન લીધા વિના પણ ન ચાલે. આથી મોરારજી ભાઈએ પોતાનું મેન્યુ-કાર્ડ જાતે તૈયાર કર્યું અને વિદેશ મંત્રી નટવર સિંહ મારફત ઝૈર પ્રજાસત્તાકની સરકારને મોકલી આપ્યું. આ રહી મેન્યુ-કાર્ડની ‘વાનગીઓ’ઃ સવારનો નાસ્તોઃ લાલ, મીઠાં અને રસાળ ગાજરનો જ્યૂસ. બપોરનું ભોજનઃ કાચા લસણની પાંચ પેશીઓ, અડધો લિટર ગાયનું મોળું દૂધ, ગાયના દૂધનું પ૦ ગ્રામ પનીર, કેળાં, લીચી, કેરી, સફરજન, પપૈયું જેવાં ફળો...