1896નો પ્લેગઃ રોગચાળાએ જ્યારે આઝાદીની ચળવળનો તણખો વેર્યો
મહામારીમાં સરકારને લોકડાઉન જેવાં નિર્ણયોની સત્તા આપતા કાયદાના મૂળમાં રહેલી અજાણી કથા 1896ની પ્લેગ મહામારીને કાબૂમાં લેવા ગોરી સરકારે Epidemic Diseases Act 1897 નામનો જે કાયદો ઘડ્યો તેના અમાનુષી અમલીકરણે ચાફેકર બંધુઓને શસ્ત્ર ઉપાડવા માટે ફરજ પાડી. ૧૮પપનું વર્ષ હતું. કોરોના, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, સાર્સ વગેરે મહામારીઓના મેટરનીટી હોમ જેવા ચીનમાં ત્યારે બ્યુબોનિક પ્લેગ નામના રોગચાળાનું ઘોડિયું બંધાયું હતું. આ અસાધ્ય રોગ ચીનના યુનાન પ્રાંતમાં એક ગામે ઉદ્ભવ્યો અને ત્યાંથી આસ્તે આસ્તે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો હતો. દરરોજ સેંકડો ચીના જીવ ગુમાવતા હતા. પચ્ચીસેક વર્ષમાં મૃત્યુઆંક લાખોમાં પહોંચ્યો અને મહામારી પોતે ૧,૪૦૦ કિલોમીટર છેટે સાગરકાંઠે વસેલા હોંગ કોંગ સુધી પહોંચી. ભારત અને ચીન વચ્ચે ત્યારે અફીણ, સિલ્ક, ખાંડ, ચા વગેરેનો દરિયાઈ વેપાર ચાલતો હતો અને હોંગ કોંગ તે વેપારનું મુખ્ય કેંદ્ર હતું. ૧૮૮૪માં એક માલવાહક જહાજ હોંગ કોંગથી મુંબઈ જવા નીકળ્યું ત્યારે તેના ફાલકામાં માલ ઉપરાંત પ્લેગના કારક મૂષકો પણ હતા. ઉંદરના શરીરમાં રહેલા યેર્સિનીયા પેસ્ટીસ નામના બેક્ટીરિઆ જૂ તથા ઇતડી...