ભારતની ભૂગોળ 'નવેસરથી' આંકતાં મહારાષ્‍ટ્રનાં પાઠ્યપુસ્‍તકો

શાન દિશામાં આવેલો ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટરનો તેમજ લગભગ ૧૧ લાખની આબાદીવાળો અરુણાચલ પ્રદેશ નામનો ભૌગોલિક ટુકડો છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઇટમ તરીકે વારંવાર ચમકે છે. ન્યૂઝનો વિષય સામાન્ય રીતે એ રાજ્યની સરહદે ચીની લશ્કરની હિલચાલનો તેમજ ઘૂસણખોરીનો હોય, પણ ગયા મહિને અરુણાચલ પ્રદેશનું નામ અલગ મુદ્દે ન્યૂઝ આઇટમ બનીને છાપાઓમાં ચમક્યું.

થયું એવું કે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે દસમા ધોરણના ભૂગોળની તેમજ અર્થશાસ્ત્રની નવી, અપડેટેડ ટેક્સ્ટબૂક બહાર પાડી, જેમાં બહુ મોટો છબરડો તેણે વાળ્યો. બેઉ વિષયોના પાઠ્યપુસ્તકમાં ભારતનો એવો ભૌગોલિક નકશો છપાયો કે જેમાં અરુણાચલ પ્રદેશનો નામોલ્લેખ ન હતો. ભારતના નકશામાંથી રાજ્ય બાકાત હતું; પડોશી દેશ ચીનના ભૌગોલિક મેપમાં તેને દર્શાવાયું હતું. આ ભૂલભરેલો નકશો ૧૭ લાખ પાઠ્યપુસ્તકોમાં મુદ્રણ પામ્યો. નવાઇ તો એ કે પુસ્તકોનું છાપકામ હાથ ધરાયું એ પહેલાં તેનાં તમામ પૃષ્ઠોનું ચકાસણીના નામે એકાદ-બે નહિ, પણ છ વખત પ્રૂફ-રીડિંગ થયું હતું. ડિઝાઇનિંગ, પ્રૂફ-રીડિંગ અને પ્રિન્ટિંગ એ ત્રણેય તબક્કે ભૂલના નામે આખેઆખો હાથી નીકળી ગયો અને અડધોઅડધ નકલોનું વિતરણ થઇ ચૂક્યું ત્યાર પછી જ છાપભૂલ તરફ ધ્યાન પડ્યું. મામલો છેવટે Maharashtra board text book leaves Arunachal Pradesh out of India એવા મથાળા સાથે છાપે ચડ્યો ત્યારે મહારાષ્ટ્રનું શિક્ષણખાતું અટેન્શનમાં આવ્યું. ભૂલભરેલા નકશાવાળાં પાઠ્યપુસ્તકોના વિતરણ પર તેણે રોક લગાવી અને કેટલાંક પુસ્તકોને બજારમાંથી પાછાં ખેંચી લીધાં. દરમ્યાન ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળાં લાખો પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી ચૂક્યાં હતાં.


આ છબરડો છાપે ચડ્યા પછી મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળમાં ખળભળાટ મચવો સ્વાભાવિક હતો. ‘આ પ્રકારની ભૂલ કેમ થઇ ?’ અને ‘કોણ તે માટે જવાબદાર ?’ વગેરે જેવા ક્ષુલ્લક પ્રશ્નોના કારણો તેમજ તારણો શોધવામાં અધિકારીઓ વ્યસ્ત બન્યા. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પાઠ્યપુસ્તક મંડળમાં ભૂગોળના નિષ્ણાતોની કમિટીને ખોરવી નાખી અને ભૂગોળનાં તથા અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં નકશામાં રહી ગયેલી ભૂલમાં સુધારો કર્યા બાદ તેમને ફરી વેચાણમાં મૂકવાની તજવીજો આરંભી. આ આઘાતજનક મામલો થાળે પડ્યો અને રાજ્ય સરકારે માંડ નિરાંતનો દમ લીધો ત્યાં બે દિવસ પછી મહારાષ્ટ્રના શિક્ષણખાતાની લાપરવાહીનો વધુ એક નમૂનો બહાર આવ્યો. આ વખતે ધોરણ ૧૦ના જ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં ભારતનો રાજકીય નકશો ભૂલભરેલો છપાયેલો હોવાનું મીડિઆની જાણમાં આવ્યું. આ નકશામાં લક્ષદ્વીપ તથા આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ગાયબ હતા. આ બન્ને કેંદ્રશાસિત પ્રદેશો ભારતનો રાજકીય તેમજ ભૌગોલિક હિસ્સો ગણાય, એટલે ભારતનો પોલિટિકલ મેપ દર્શાવતી વખતે એમાં તેમને સ્થાન આપવું જ રહ્યું. આમ છતાં મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકે બેઉ ટાપુસમૂહોને બાકાત રાખી છૂટછાટ લીધી. આ તેનો બીજો ગંભીર છબરડો હતો. ખરેખર તો અક્ષમ્ય હતો.

અહીં નોંધવું રહ્યું કે દેશનો ભૂલભરેલો નકશો ચિત્રના યા રેખાંકનના સ્વરૂપે દર્શાવવો, એવા નકશાનું વિતરણ કરવું અગર તો તેને રાખવો એ ભારતના Criminal Law Amendment Act 1961 કાયદાની કલમ હેઠળ ત્રણ વર્ષની સજાપાત્ર ફોજદારી ગુનો છે. આમ, તે કાયદાની રૂએ ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળી ટેક્સ્ટબૂક છાપનાર અને તેનું વિતરણ કરનાર મહારાષ્ટ્રનું પાઠ્યપુસ્તક મંડળ તો ઠીક, એ ટેક્સ્ટબૂક વસાવનાર લાખો વિદ્યાર્થીઓ સુદ્ધાં ગુનેગાર ઠરે. 

ઘણાં વર્ષ પહેલાં ઉદ્યોગપતિ નવીન જિંદાલે તેમના કાર્યાલયના મકાન પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે એ ‘ગુના’ બદલ તેમની સામે કેંદ્ર સરકારે કાનૂની પગલાં લીધાં. ભારતનો ભૂલભરેલો નકશો પ્રગટ કરવા બદલ કેંદ્ર સરકારે મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ સામે હજી કોઇ કાયદાકીય પગલાં કેમ લીધાં નથી ? આખી ચર્ચાનો ટૂંક સાર છેવટે તો એ કે આઝાદીનાં ૬૬ વર્ષ પછીયે આપણે આપણા દેશનો સાચો નકશો દોરી શકતા નથી. ભારતનું પરીક્ષાલક્ષી શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓના માર્ક્સની એટલે કે ગુણની બાબતે ઊંચા શિખરે બિરાજેલું ભલે જણાય, પરંતુ ગુણવત્તાની બાબતે ઊંડી ખાઇમાં જઇ બેઠું છે.

Comments

  1. પાઠ્યપુસ્તક સર્જનને સરકારી રાહે "છાપી" નાખવાના ઉપક્ર્મ થાય ત્યાં આવી (જ) ભૂલો તો થવાની. આવી (ગંભીર) ભૂલો ઉપરાંત તેના દ્વારા શીખવાડાતાં શિક્ષણના હાલ કેવા બેહાલ થઇ ગયા છે, તે તો બધાંને દેખાય છે. સરકારી તંત્ર પહોંચી નહીં વળે તેમ ગણીને જ્યાં "ખાનગી" ક્ષેત્રના પ્રયાસોને "છૂટ" અપાઇ, ત્યાં તે ક્ષેત્રની "ટૂંકી" નજરે દાટ વાળ્યો છે.આમ બકરૂં કાઢવા જતાં ઊંટ પેસી ગયા જેવો તાલ થયો છે.
    એક સારા નાગરીક તરીકે, સાવ નિરાશાજનક સૂર કાઢીને બેસી રહેવું તે ઇચ્છનીય નથી તેમ જાણવા છતાં, ક્યારેક એવી ગુંચવણ થાય કે, હશે, જે થવું હશે તે થશે, જેવી શાહમૃગી વૃત્તિ અપનાવી લેવાની ભૂલ કરી બેસાય છે.

    ReplyDelete
  2. Not agree with your last line. Just because of a mistake u cant judge the whole education system.

    ReplyDelete
  3. પ્રિય હર્શલભાઈ,
    એક ઓફ ટોપિક વાત

    જો સફારી iPad પર વાંચવા મળે તો મજા પડી જાય. અભિયાન અને ચિત્રલેખા જેમ magzter નો ઉપયોગ કરે છે તેવું કૈક ના કરાય?

    આભાર.

    ReplyDelete
  4. Dear Bhumish, its only an example of our education system. The reality is no matter how high marks or ranks a student gets, when it comes to practice, job or life, he cannot apply his own subject's knowledge. Actually, our education system delivers only information and not knowledge.

    ReplyDelete
  5. હેવ તો લાગે છે કે ભારતનો ઈતહાસ ,ભૂગોળ ,વગેરે લખવાનું કામ જો સફારીની ટીમને આપવામાં આવે તો જ આપણી નવી પેઢીનું સાચા અર્થમાં ભણતર/ગણતર/ચણતર થશે!

    ReplyDelete
  6. આ ભુલ નહીં પણ જાણીજોઈને કરવામાં આવેલો ગુનો હોય એવું લાગે છે

    ReplyDelete
  7. another hilarious mistake...
    when will this stop..my belly hurts..

    ReplyDelete
  8. નમસ્કાર!
    આપનો બ્લોગ ”એક નજર આ તરફ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya