આલમ આરાઃ શ..શ..શ..! સાંભળો..સાંભળો! આ ફિલ્‍મનાં પાત્રો તો બોલે છે!


22-07-2020. ગુજરાત સમાચાર. શતદલ પૂર્તિમાં પ્રગટ થયેલો લેખ.

કોલમનું નામઃ એક નજર આ તરફ... by હર્ષલ પુષ્‍કર્ણા (તંત્રીઃ ‘જિપ્સી’ મેગેઝિન www.iamgypsy.in)


સાઇલન્ટ ફિલ્‍મના યુગમાં આવેલી ભારતની પ્રથમ બોલતી ફિલ્‍મના નિર્માણની કથા

આલમ આરાઃ શ..શ..શ..! સાંભળો..સાંભળો! આ ફિલ્‍મનાં પાત્રો તો બોલે છે!

ઇ.સ. ૬પ૧માં આરબોએ પર્શિયા (વર્તમાન ઈરાન) જીતી લીધું અને ત્‍યાંના મૂળ વતની પારસીઓ પર ભારે જિજિયા વેરો નાખી તેમનું આર્થિક શોષણ શરૂ કર્યું ત્‍યારે અનેક પારસીઓ દેશાંતર કરી ગયા. આઠમી સદીમાં કેટલાક પારસીઓ દીવના કાંઠે આવ્યા. અહીંથી દક્ષિણ ગુજરાતના સંજાણમાં તેમનું આગમન થયું, જ્યાંના રાજા જદદી રાણાએ પારસીઓને પનાહ દીધી. કેટલાંક વર્ષમાં તો એ મિલનસાર મહેમાનો સુરત, નવસારી, ઉદવાડા, મુંબઈ, પુણે, દહાણુ, અમદાવાદ વગેરે શહેરો-નગરોમાં વસી સ્‍થાનિક પ્રજા જોડે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ.
જમશેદજી તાતા, રતન તાતા, ફીલ્‍ડ માર્શલ સામ બહાદુર માણેકશા, દિનશા માણેકજી પેતિત, સાયરસ પુનાવાલા, કાવસજી જહાઁગીર, અર્દેશર ગોદરેજ, લવજી નસરવાનજી વાડિયા, રુસી મોદી, હોમી જહાઁગીર ભાભા જેવા અનેક ખ્યાતનામ પારસી મહારથીઓ ભારતભૂમિ પર પાક્યા છે. આવા દિગ્‍ગજોના લિસ્‍ટમાં એક આગળ પડતું નામ અર્દેશર ઈરાનીનું કે જેમણે મૌનીબાબા ભારતીય સિનેમાને પહેલી વાર વાચા આપી.

પર્શિયાથી આવેલા અને પૂણેમાં વસેલા એક પારસી કુટુંબમાં ડિસેમ્‍બર પ, ૧૮૮૬ના રોજ અર્દેશર ઈરાનીનો જન્‍મ થયો. કેટલાંક વર્ષ પૂણેમાં વીતાવ્‍યા પછી તેઓ પરિવાર સાથે મુંબઈ આવ્યા અને ત્‍યાં સંગીતનાં વાજિંત્રોની દુકાનમાં પિતાને હાથવાટકો કરાવ્યો. અર્દેશરનો મૂળ જીવ સિનેમાનો, પણ એકાદ ફિલ્‍મ બનાવવા માટે જરૂરી નાણાં ક્યાંથી લાવવા એ સવાલે તેમને મ્‍યૂઝિક શોપના ‘ખીલે’ બંધાયેલા રહેવા મજબૂર કર્યા. અલબત્ત, થોડાં જ વર્ષમાં નસીબ આડેનું પાંદડું ખસ્યું. યુવાન અર્દેશરને રૂપિયા ૧૪,૦૦૦ની લોટરી લાગી. વીસમી સદીના આરંભે તે રકમનું મૂલ્‍ય જોતાં રીતસર જેકપોટ લાગ્યો એમ કહેવું જોઈએ.

આ નાણાંએ મ્‍યૂઝિક શોપ સાથે ખૂંપેલો ‘ખીલો’ ઉખાડી આપ્યો અને અર્દેશર ઈરાનીએ સિનેમાના વ્‍યવસાયમાં ઝંપલાવ્યું. પ્રોજેક્ટર અને સરકસના તંબૂ જેવો ટેન્‍ટ ખરીદી મુંબઈમાં ટેન્‍ટ સિનેમા શરૂ કર્યું. એકથી બીજા ઠેકાણે ખસેડી શકાતા આવા પોર્ટેબલ સિનેમામાં સાઇલન્‍ટ ફિલ્‍મો રજૂ થાય ત્‍યારે પડદા પર હલનચલન કરતા પાત્રોને દર્શકો દિગ્‍મૂઢ નજરે જોતા રહી જતા. સુખદ આઘાતનો ૪૪૦ વોલ્‍ટ આંચકો તેમને લાગતો તેનું સ્‍વાભાવિક કારણ હતું. અગાઉ ભેળપુરીના ખૂમચા જેવા બાયોસ્‍કોપમાં ડોકિયું કરીને માંડ ત્રણ-ચાર મિનિટનાં દૃશ્‍યો તેઓ જોઈ શકતાં હતાં. દૃશ્‍યો પાછાં ચલચિત્રો નહિ, બલકે સ્‍થિર તસવીરરૂપી હોય. બાયોસ્‍કોપના નાના અમસ્‍તા ગોખલામાંથી અંદર ડોકિયું કરવા માટે જમીન પર ઘૂંટણિયે બેસવું પડે, જ્યારે અર્દેશર ઈરાનીનું ટેન્‍ટ સિનેમા દર્શકોને તંબૂરૂપી થિએટરની અંદર પલાંઠી વાળીને બેસવાની અભૂતપૂર્વ લક્ઝરી આપતું હતું.

■ ■ ■

ઈ.સ. ૧૯૧૩માં ભારતની પહેલી સુપરહિટ ફિલ્‍મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બની અને તેની સફળતાના પગલે બીજી જે પણ સંખ્‍યાબંધ ફિલ્‍મોનું નિર્માણ થયું તેમાં એક જરૂરી પાસું ખૂટતું હતુંઃ સાઉન્‍ડ એટલે કે અવાજ! બધી જ ‌િફલ્‍મો મૂક હતી, કેમ કે ફિલ્‍મી કચકડા પર સાઉન્‍ડ અંકિત કરવાની સુવિધા જ એ જમાનામાં નહોતી. અમેરિકાના લી દ ફોરેસ્‍ટ નામના વિજ્ઞાનીએ ૧૯૨૩ના અરસામાં ફિલ્‍મી પટ્ટી પર દૃશ્‍ય સાથે અવાજ પણ રેકોર્ડ કરવાની ફોનોફિલ્‍મ તરકીબ શોધી કાઢી તેનાં થોડાં જ વર્ષમાં અમેરિકાના હોલિવુડમાં બોલતી ફિલ્‍મનો યુગ શરૂ થયો. ૧૯૨૯માં Show Boat નામની ટોકી મૂવી (બોલતી ફિલ્‍મ) બની. કુલ ૧૪૬ મિનિટ લાંબી તે ફિલ્‍મમાં ગણીને ફક્ત ૩૦ મિનિટ ગીત-સંગીત તેમજ સંવાદો હતા—અને છતાં એ અડધો કલાક પ્રેક્ષકોને જલસો પાડી દેતો હતો.

■ ■ ■

એપ્રિલ, ૧૯૨૯માં અમેરિકા ખાતે રિલીઝ થયેલી Show Boat જ્યારે મુંબઈના એક્સલસીઅર ‌થિએટરમાં આવી ત્‍યારે તેને જોયા પછી અર્દેશર ઈરાનીને ભારતમાં પણ ટોકી મૂવી યાને કે બોલતી ફિલ્‍મ બનાવવાનો વિચાર આવ્યો. પરદેશથી તેમણે Bell and Howell બ્રાન્‍ડનો કેમેરા આયાત કર્યો, જે ફિલ્‍મી કચકડા પર દૃશ્‍ય સાથે અવાજનું પણ રેકોર્ડિંગ કરી શકતો હતો. આ પ્રાથમિક જરૂરિયાત પૂરી થયા પછી ફિલ્‍મ શેના પર બનાવવી તેના ખાંખાંખોળા શરૂ થયાં. બોલતી ફિલ્‍મમાં સંવાદ આવે અને સંવાદ માટે સારી વારતા જરૂરી જ નહિ, બલકે અનિવાર્ય થઈ પડે.


ઘણી શોધખોળ ચલાવ્યા પછી  મુંબઈના યહૂદી નાટ્યકાર જોસેફ ડેવિડ લિખિત નાટક ‘આલમ આરા’ પર પસંદગી ઉતારવામાં આવી. કુમારપુર નામના કલ્‍પિત રજવાડાના રાજા, તેમની બે પત્‍નીઓ દિલબહાર અને નવબહાર, કુમારપુરના સેનાપતિ આદિલ તથા તેની પુત્રી આલમ આરા જેવાં પાત્રોની ઇર્દગિર્દ વીંટળાયેલી કહાણી પર આધારિત નાટક ફિલ્‍મ બનાવવા માટે આદર્શ હતું. ફિલ્‍મનું શીર્ષક પણ ‘આલમ આરા’ રાખવામાં આવ્યું. દેશભરના લોકો તેને જોઈ-સમજી શકે તે ખાતર ઈરાનીએ તમામ સંવાદ હિંદી-ઉર્દૂ મિશ્રિત હિંદુસ્‍તાની રાખવાનું નક્કી કર્યું. 

અહીં એક અડચણ હતી. અગાઉ બનેલી તમામ સાઇલન્‍ટ ફિલ્‍મોમાં નાયક-નાયિકાનો રોલ યહૂદી અને/અથવા જેના માતા કે પિતા અંગ્રેજ હોય તેવા એંગ્લો ઇન્‍ડિયન ભજવતા હતા. શ્‍યામવર્ણા ભારતીયો કરતાં યહૂદીનો તથા એંગ્લો ઇન્‍ડિયનનો વાન ખાસ્‍સો ઊજળો હોય, એટલે સિનેમાના પડદે તેમનો વધુ પ્રભાવ પડતો હોવાનું તત્‍કાલીન દિગ્‍દર્શકોનું માનવું હતું. આ માન્‍યતા સાથે અર્દેશર ઈરાની પણ ચાલવા માગતા હોત તોય તેમણે વિચાર પડતો મૂકવો પડત, કેમ કે યહૂદી અને એંગ્લો ઇન્‍ડિયન કલાકારોને કડકડાટ હિંદુસ્‍તાની બોલવાનું ફાવતું નહિ. મૂંગી ફિલ્‍મમાં ડાયલોગ બોલવાના ન હોવાથી તેમજ માત્ર ચહેરાના હાવભાવ વડે પ્રેમ, હતાશા, આનંદ, ક્રોધ જેવી લાગણીઓ વ્યક્ત કરવાની હોવાથી તેમનું ગાડું બગડી જાય, પણ બોલતી ફિલ્‍મમાં તેમનું ઉટપટાંગ ઉચ્ચારણવાળું ભાંગ્યુંતૂટ્યું હિંદુસ્‍તાની દર્શકોને પેટ પકડીને હસાવે અને ફિલ્‍મનો ફિયાસ્કો થાય એ નક્કી હતું. આથી અર્દેશર ઇરાનીએ સાઇલન્ટ ફિલ્‍મોનાં યહૂદી સુપરસ્‍ટાર રૂબી માયર્સ (ઉર્ફે સુલોચના)ની અવેજીમાં ઝુબૈદા નામનાં ભારતીય નાયિકાની પસંદગી કરી. નાયકનો રોલ મરાઠી સ્‍ટંટ માસ્‍ટર વિઠ્ઠલને આપ્‍યો. વિલનની ભૂમિકા ભજવનાર પાત્રનું નામઃ પૃથ્‍વીરાજ  કપૂર!

■ ■ ■

બોલતી ફિલ્‍મના શૂટિંગની એક ટેક્નિકલ મર્યાદા હતીઃ ફિલ્મી પટ્ટી પર ફક્ત એક સાઉન્ડ ટ્રેક હોય, એટલે તેના પર સંવાદ, ગીત અને સંગીત ત્રણેયનો સમાવેશ એક જ સમયે કરી દેવો પડે. પહેલાં સંવાદનું રેકોર્ડિંગ કરી લેવું અને પછી એ જ ફિલ્‍મ પર ગીત-સંગીતનું ધ્‍વનિમુદ્રણ થાય નહિ.

આ મર્યાદાને ધ્‍યાનમાં લેતાં ફિલ્‍મના શૂટિંગ દરમ્યાન કલાકારો સંવાદો બોલતા જાય તેમ સાજિંદાઓએ હાર્મોનિયમ, તબલા, પખાવજ, સિતાર જેવાં વિવિધ વાજિંત્રોની ધૂન છેડી બેકગ્રાઉન્‍ડ મ્યુઝિક આપતા રહેવું પડે. બહારના ખુલ્લા વાતાવરણમાં બિનજરૂરી અવાજોની ખલેલ વચ્‍ચે સાઉન્‍ડ રેકોર્ડિંગ ન થઈ શકે, એટલે  ‘આલમ આરા’ માટે આઉટડોર શૂટિંગનો વિચાર પડતો મૂકી તમામ ફિલ્મીકરણ મુંબઈના ગ્રાન્‍ટ રોડ વિસ્‍તારમાં ઇમ્પીરિયલ સ્‍ટુડિઓની ચાર દીવાલો વચ્‍ચે કરવાનું તય થયું. અહીં વળી એક સમસ્‍યા હતી. સ્‍ટુડિઓ નજીકના રેલવે ટ્રેક પરથી દર થોડી વારે પસાર થતી ટ્રેનની ધમધમાટીનો અવાજ સ્‍ટુડિઓના માઇક્રોફોનમાં ઝિલાતો હતો અને તે ન્‍યૂસન્‍સ શૂટિંગને વારંવાર ખોરંભે પાડી દેતું હતું. ટ્રેનના નોઇસ પોલ્‍યુશનથી છુટકારો મેળવવા અર્દેશર ઇરાનીએ શૂટિંગનું ચોઘડિયું દિવસને બદલે રાતનું કરવું પડ્યું. મોડી રાતે લોકલ ટ્રેનની આવનજાવન બંધ થાય એ સાથે ઇમ્પીરિયલ સ્‍ટુડિઓનાં દરવાજા ખૂલે અને નીરવ શાંતિ વચ્‍ચે રાતભર શૂટિંગ ચાલે. 

૧૯૨૨થી લઈને ૧૯૨૭ સુધીમાં અડધો ડઝન કરતાં વધુ સાઇલન્‍ટ ફિલ્‍મો બનાવી ચૂકેલા અર્દેશર ઈરાનીએ ‘આલમ આરા’ના નિર્માણ વખતે આવા તો બીજા ઘણા પડકારો સામે ઝઝૂમવું પડ્યું. જેમ કે, ૧૯૩૦-૩૧ના એ જમાનામાં માઇક્રોફોનનું કદ સારું એવું મોટું હતું, એટલે ડાયલોગ બોલતા કલાકારોનો અવાજ ઝીલવા માટે માઇકને ફૂલદાનીમાં, મેજ પર મૂકેલી કોઈ ચીજવસ્‍તુની પાછળ તેમજ બારીના પડદાની પાછળ મૂકવાનાં થતાં હતાં. આવી આડશ હાથવગી ન હોય ત્‍યારે કલાકારોએ માઇક્રોફોનને પોતાનાં વસ્‍ત્રોમાં સંતાડેલું રાખી ઉપરથી એકાદ શાલ કે ખેસ નાખવો પડતો.

બેકગ્રાઉન્‍ડ સંગીત આપનાર સાજિંદાઓને એવી રીતે બેસાડવા પડતા હતા કે જેથી માઇક્રોફોનમાં તેમની સૂરાવલિ ઝિલાય, પણ ખુદ સાજિંદાઓ કેમેરામાં ન પકડાય. આ માટે ઈરાનીએ બહારથી કાપી લવાયેલાં વૃક્ષો, ઝાડી-ઝાંખરા તેમજ ફર્નિચર જેવી એકાદ આડશ ઓથે સંગીતકારોને બેસાડવાના થયા.

ત્રીજી સમસ્‍યા ટાઇમિંગ એટલે કે સમયસૂચકતાની હતી. શૂટિંગ વખતે કલાકાર ગીત લલકારવાનું શરૂ કરે ત્યારે અને તે જ ક્ષણે સ્ટુડિઅોમાં હાજર આેર્કેસ્ટ્રાએ સૂરાવલિ છેડી ગીતને તર્જબદ્ધ કરવું આવશ્યક હતું. ગીતના શબ્‍દો અને સંગીત વચ્‍ચે તાલમેળ ખોરવાય એ તો બિલકુલ ન ચાલે.

ચોથું હર્ડલ પરદેશથી આવેલો Bell and Howell બ્રાન્‍ડનો કેમેરા પોતે હતો. શૂટિંગ વખતે માઇક્રોફોનનાં કેબલ તેની સાથે જોડી દેવાયા પછી સેકન્ડની ૨૪ ફ્રેમ લેખે રીલ ફરતું જાય તેમ કચકડા પર દૃશ્‍યો ભેગો અવાજ પણ અંકિત થતો હતો. આની સામે તકલીફ એ હતી કે વિદ્યુત મોટર વડે ફરતી રીલનો ખર...ખર... અવાજ સ્‍ટુડિઓનાં માઇક્રોફોનમાં પકડાતો હતો. ચાલુ ફિલ્‍મે આવી ખરખરાટી પ્રેક્ષકોને ત્રાસદાયક જણાય અને કાનના પડદાને સતત ભોંકાતા તે અવાજથી છુટકારો મેળવવા તેઓ થિએટરમાંથી બહાર નીકળી આવે તો બધી મહેનત પાણીમાં! 

કેમેરાનો અવાજ તો જાણે બંધ થવાનો નહોતો, એટલે અર્દેશર ઈરાનીએ પારદર્શક કાચની સાઉન્‍ડપ્રૂફ કેબિન બનાવડાવી કેમેરામેનને તેમાં ‘બંધ’ કર્યો. સ્‍ટુડિઓમાં અહીં તહીં ગોઠવેલાં તેમજ કલાકારોએ વસ્‍ત્રોમાં સંતાડેલાં માઇક કાચવાળી કેબિનની બહાર હોય, એટલે કેમેરાનો ખર..ખર.. અવાજ તેમાં રેકોર્ડ થાય નહિ. 

કેટલો સિમ્‍પલ અને કારગત ઉપાય! પરંતુ તે ઉપાયે અર્દેશર ઈરાની માટે વળી નવો પ્રોબ્‍લેમ ઊભો કર્યોઃ કેમેરાની મૂવમેન્‍ટ સ્‍થગિત બની. ધાતુના પાટા પર કેમેરાને અહીંથી તહીં સરકાવવાનું અશક્ય બન્યું, એટલે કેમેરાવાળી કેબિન જ્યાં હોય તેની સામે રહીને જ કલાકારોએ ડાયલોગની કે ગીતની ડિલિવરી કરવાની થઈ. 

આવા તો બીજા અનેક પ્રોબ્લેમ્‍સ સાથે સતત માથાપચ્‍ચી કરતા રહીને અર્દેશર ઈરાનીએ ફક્ત ચાર મહિનાના ટૂંકા સમયગાળામાં ‘આલમ આરા’નું શૂટિંગ પતાવી નાખ્‍યું. બે કલાકની ફિલ્મમાં કુલ મળી ૭ ગીતો હતાં, જે પૈકી એક ગીત ‘દે દે ખુદા કે નામ પર’ તો હિટ સાબિત થવાનું હતું. આ ફિલ્‍મ કોણે લલકાર્યું હતું? વઝીર અહમદ ખાને—અને વઝીર અહમદ ખાન એટલે કોણ? ઇમ્‍પીરિઅલ સ્‍ટુડિઓની નજીકના શેડમાં ફરજ બજાવતા રાત્રિ ચોકીદાર યાને વોચમેન, કે જેમનો જરા ઘોઘરો અવાજ અર્દેશર ઈરાનીને ફકીરના પાત્ર માટે બંધબેસતો જણાયો હતો.

રૂપિયા ૪૦,૦૦૦ના ખર્ચે બનેલી ‘આલમ આરા’ માર્ચ ૧૪, ૧૯૩૧ના રોજ રિલીઝ થઈ. ફિલ્‍મના પ્રમોશન માટે અર્દેશર ઈરાનીએ પસંદ કરેલી ટેગલાઇન આમ હતીઃ ‘All living. Breathing. 100 per cent talking’. 

ટેગલાઇને હિંદીમાં પણ રજૂ કરવામાં આવી. આ રીતેઃ ‘अठहत्तर मुर्दा इनसान जिंदा हो गए, उनको बोलते, बातें करते देखो’

મુંબઈના મેજિસ્ટિક થિએટરમાં  ‘આલમ આરા’ માર્ચ ૧૪, ૧૯૩૧ના દિવસે રજૂઆત પામી ત્યારે ભારતના લોકોએ પહેલી વાર સિનેમાના પડદે કલાકારોને બોલતા અને ગીતો લલકારતા સાંભળ્યા. બિલીવ ઇટ ઓર નોટ જેવો તે અનુભવ કરવા માટે લોકોની એટલી ભીડ જામવા લાગી કે ચાર આનાની ટિકિટ બ્લેકમાં પાંચ રૂપિયે વેચાવા લાગી—અને છતાં એ કમરતોડ ભાવ ચૂકવવા માટે લોકો પડાપડી કરતા હતા. મેજિસ્ટિક થિએટર જ્યાં આવેલું હતું તે કાલબાદેવી રોડ પર ચક્કાજામનાં દૃશ્‍યો સર્જાયાં. મેજિસ્ટિકમાં ‘આલમ આરા’ના શો લાગલગાટ સાત અઠવાડિયાં ચાલ્‍યા, જે ભારતીય ફિલ્મજગત માટે અભૂતપૂર્વ વિક્રમ હતો.

■ ■ ■

ભારતની પહેલી ટોકી મૂવી ‘આલમ આરા’એ દેશમાં સાઇલન્ટ ફિલ્‍મોના યુગનો અંત આણી દીધો તેમ રૂબી માયર્સ (સુલોચના) જેવા‌ હિંદી-ઉર્દૂ ન બોલી શકનાર યહૂદી તથા એંગ્લો ઇન્‍ડિયન કલાકારોની કારકિર્દીને પણ પૂર્ણવિરામ મૂકી દીધું. મૂક ફિલ્‍મોનાં સુપરસ્‍ટાર રૂબી માયર્સ એક સમયે માસિક રૂપિયા પાંચ હજારની માતબર રકમ કમાતાં હતાં અને શેવરોલે જેવી મોટરકારમાં ફરવાનો વૈભવ માણતાં હતાં. સાઇલન્ટ ફિલ્‍મો બનતી બંધ થતાં રૂબી માયર્સ (તેમજ સાઇલન્ટ ફિલ્‍મોના અન્‍ય કલાકારો) પાસે કામ ન રહ્યું.

બીજી તરફ ‘આલમ આરા’ના આગમન પછી બોલતી ફિલ્‍મોની બોલબાલા બેહદ વધી. ૧૯૩૧નું વર્ષ પૂરું થતા સુધીમાં તો હિંદી ભાષામાં બીજી ૨૩ ફિલ્‍મો બની. આગામી વર્ષે ૬૧ ટોકી મૂવી બની, તો ૧૯૩૩માં બોલતી ફિલ્‍મોનો આંકડો ૭૪ સુધી પહોંચ્‍યો. ડાયલોગ બોલવા ઉપરાંત મધુર ગીતો છેડી શકતા કલાકારોની ડિમાન્‍ડમાં જોરદાર ઉછાળો આવ્યો, જેણે કુંદન લાલ સહગલ, કાનન દેવી, સુરૈયા અને અશોક કુમાર જેવા ધૂરંધરો માટે કારકિર્દીના દરવાજા ખોલી દીધા. ગીત-સંગીત હિંદી સિનેમાનું અવિભાજ્ય અંગ બની ગયું એટલું જ નહિ, તેનું પોતાનું અલાયદું બજાર ઊભું થયા પછી આજે તે રૂપિયા ૧,૧૦૦ કરોડના આંકડાને પાર કરી ગયું છે. દેશનો ફિલ્‍મ ઉદ્યોગ તો ૯૩ અબજ રૂપિયાનો થયો છે.

આ સુપરજાયન્‍ટ બિઝનેસનો શ્રેય અર્દેશર ઈરાનીને જાય કે જેમણે ભારતીય સિનેમાના મૌનીબાબા કલાકારોના મોઢામાં મગને બદલે શબ્‍દો મૂક્યા! ■
©Harshal Pushkarna
©કોપીરાઇટેડ મટીરીઅલ. લેખકની પરવાનગી વિના લખાણનો કે તેના ભાગનો ઉપયોગ કરવો નહિ.

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya