આયુર્વેદઃ કોરોનાએ ફરી પ્રકાશમાં આણેલી પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ
આયુષ મંત્રાલયે કોવિડ-19 સામે સૂચવેલાં આયુર્વેદિક ઓસડિયાંમાં કયાં ઔષધીય ગુણ છે? ભારતીય ઉપખંડમાં થતી હજારો પ્રકારની ઔષધીય વનસ્પતિઅોનો ઉલ્લેખ ‘ચરકસંહિતા’માં તેમજ ‘સુશ્રુતસંહિતા’માં કરાયો છે. કયા રોગ પર કઈ ઔષધિ કેવી રીતે અજમાવવી તેનો પણ નિર્દેશ તે ગ્રંથોમાં ટુ-ધ-પોઇન્ટ છે. ત્રણેક દાયકા પહેલાંની વાત છે. તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે ભારતના અર્થતંત્ર માટે ઉદાર આર્થિક નીતિનું મોડલ અપનાવ્યાને જૂજ વર્ષ વીત્યાં હતાં. કેટલીક પરદેશી કંપનીઓએ ભારતમાં તેમનો કારોબાર શરૂ કરી દીધો હતો; બીજી કેટલીક તૈયારીમાં હતી. વૈશ્વિક બજાર માટે ભારતે દ્વાર ખોલ્યાં તેનાં સારાં પરિણામો આવ્યાં તેમ આડઅસરો પણ જોવા મળી. ઉદાહરણ તરીકે યુરોપ-અમેરિકાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હળદર, કડવો લીમડો, હરડે, કુંવારપાઠું (એલો વેરા), સર્પગંધા, બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્પતિઓ પર પોતાના પેટન્ટ હક્કો જમાવી દીધા. દવાઓનું મોટા પાયે ઉત્પાદન કરતી એક યુરોપિયન કંપનીએ બ્રાહ્મી નામની વનસ્પતિને પેટન્ટ વડે પોતાની ખાનગી જાગીર જાહેર કરી દીધી. આ સ્થિતિ ભારત માટે ખતરનાક હતી, કેમ કે હળદરથી લઈને બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્પતિઓ પર જેના પેટન્ટ હ...